મહારાષ્ટ્રથી લઈને સૌરાષ્ટ્ર સુધી હોય કે પછી અન્ય કોઈપણ રાજ્ય એક અનુભવ ખાનગી વાહન લઈને બહાર નીકળતાં સુરતીઓને હંમેશા પજવે છે. આ અનુભવ છે જીજે-5 જોઈને જ જાણે ઉઘરાણી માટે ભૂંરાટા બનતા પોલીસ ટોળાં. વાહનચાલકો પોતાના પરિવાર સાથે વતન જતાં હોય કે ફરવાના સ્થળોએ સુરત આરટીઓ પાસિંગની ગાડીઓ જોઈને તેમને લૂંટવામાં કોઈ કસર છોડવામાં નથી આવતી. ડાયમંડ અને ટેક્સટાઈલ ઉદ્યોગ સાથે સુરતની ઓળખ આ મુસીબતનું કારણ બની ગઈ છે. મોટાભાગના ખાનગી વાહનચાલકોના પરિવારને આ કડવો અનુભવ થઈ ચૂક્યો છે.
વરાછા વિસ્તારના ધારાસભ્ય કુમાર કાનાણીએ વાસદ ટોલનાકા પછી સૌરાષ્ટ્ર તરફ જતાં સુરત જીજે-5 પાસિંગની ખાનગી ફોર વ્હીલર્સના માલિકો સાથે ત્યાં ઊભી રહેતી પોલીસ દ્વારા ખોટી રીતે હેરાનગતિ થતી હોવાનો મુદ્દો રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી સમક્ષ ઊઠાવ્યો છે. હકીકતમાં આ હેરાનગતિ લગભગ દરેક પોઈન્ટ પર સુરતીઓને નડી રહી છે. એ મુંબઈ કે નાસિક-શિરડી જતાં વખતે પણ કેમ ન હોય. નિયમિત અવરજવર કરતાં કારચાલકો તો એ હદે એ ત્રાસથી ટેવાઈ ગયા છે કે, કારના અડધા ખુલેલા કાચમાંથી નોટ પકડાવીને ચાલું કારે જ આગળ વધી જાય છે. નવા અથવા તો કદી-મદી જતાં વાહનચાલકો ભેરવાઈ જાય છે અને તેમની પાસથી એટલા લાંબાટુંકા પૈસા પડાવી લેવા ધમાચકડી થતી હોય છે કે તેમનું પ્રવાસ બજેટ જ ખોરવાઈ જાય. આ ભ્રષ્ટ રસમ જીજે-5 સાથે જ ખાસ ભારપૂર્વક અજમાવાતી હોવાની ફરિયાદ ઘણાં વખતથી જોવા મળી રહી છે.
ધારાસભ્ય કુમાર કાનાણીએ જે રજૂઆત મુકી છે એ અંગે નજર કરીએ તો, તેમણે ગૃહમંત્રી હર્ષ સંઘવીને લેખિતમાં જણાવ્યું છે કે, સુરતથી સૌરાષ્ટ્ર તરફ જતી ખાનગી ફોર વ્હીલર્સના માલિકો સાથે વાસદ ટોલનાકા પછી આણંદ જિલ્લાની પોલીસ 15-20ના ટોળામાં સામે ઘેરીને અચૂક ઊભી હોય છે. પોલીસ એ પણ જોતી નથી કે કારમાં એક પરિવાર જેમાં મહિલાઓ દિકરીઓ બેઠી છે તેને હેરાન કરવાની નીતિમત્તા ન ગુમાવીએ અને ગાળા ગાળી કરી ગમે એ ભોગે હેરાન કરી ફક્ત ઊઘરાણાં પર જ ધ્યાન કેન્દ્રીત કરાતું હોય છે. આ હેરાનગતિ સહેજે સાંખી ન શકાય એ કક્ષાની હોય છે.
જો કોઈ ઈમરજન્સી જેવા કિસ્સામાં પણ વાહનચાલકો કોઈ રજૂઆત કરવા માંગે અથવા તો કોઈની સાથે વાત કરાવવાનો આગ્રહ રાખે તો પોલીસ તેમના મોબાઈલ સુધ્ધાં કબજે કરી લેતાં ક્ષોભ નથી અનુભવતી. પોલીસ જ્યારે સામાન્ય પ્રજા સાથે ગુનેગારો જેવું વર્તન કરે ત્યારે આ બાબતને અત્યંત ગંભીરતાપૂર્વક લઈ શિસ્તનો દાખલો સમાજ સમક્ષ લાવવો જરૂરી બને છે. ધારાસભ્યની આ માંગણી બાબતે યોગ્ય કાર્યવાહી થાય અને ખાસ કરીને જીજે-5 જોઈને કન઼ડગત કરવાનું જે શૂર ઉપડે છે એ જાણવાનો પ્રયાસ થાય એ જરૂરી છે.