કેન્દ્ર સરકારે કુદરતી ગેસની નવી ભાવ નીતિ જાહેર કર્યાના 24 કલાકમાં જ ગુજરાત સહિત દેશભરમાં સીએનજી અને પીએનજીના ભાવમાં નોંધપાત્ર ઘટાડો જાહેર કરવામાં આવ્યો છે. ગુજરાતમાં ગેસ પુરો પાડતી બે કંપનીઓ અદાણી ટોટલ ગેસ તથા ગુજરાત ગેસ કંપનીએ તાત્કાલીક અસરથી નવો ભાવ જાહેર કર્યો છે. હવે આ ભાવઘટાડાની ખાસ કરીને સીએનજીથી ચાલતા ટ્રાન્સપોર્ટેશનમાં ભાવઘટાડાનો લાભ લોકો સુધી ક્યારે પહોંચે છે એ અગત્યનું છે.
ગુજરાત સહિત અનેક રાજયોમાં ગેસ પુરો પાડતી રાજય સરકારની કંપની ગુજરાતે ગેસે આજે સીએનજી અને પીએનજીમાં નવા ઘટાડેલા ભાવ જાહેર કર્યા છે. જાહેરાત અનુસાર, સીએનજીમાં 6.ર6નો પ્રતિ કિલો ભાવ ઘટાડો થયો છે. અગાઉ રાજયમાં રૂા.78.52 પ્રતિ કિલોના ભાવે સીએનજી (વાહનો માટેનો ગેસ) જે વેચાતો હતો તે હવે રૂા.72.26 પ્રતિ કિલો વેચાશે. એ ઉપરાંત પાઇપલાઇન મારફત ઘરે ઘરે પૂરો પાડવામાં આવતા ગેસમાં પણ રૂ. 4નો ઘટાડો જાહેર થયો છે. પીએનજીનો નવો ભાવ રૂા.49 પ્રતિ યુનિટ જાહેર કરાયો છે. જે અગાઉ રૂા.53 હતો. આમ પીએનજીના ભાવમાં 4નો ઘટાડો થયો છે.
આ સાથે જ અદાણી ટોટલ ગેસ દ્વારા પણ સીએનજી અને પીએનજીના ભાવમાં ઘટાડો જાહેર કરવામાં આવ્યો છે. અદાણી ગેસ દ્વારા સીએનજીમાં પ્રતિ કિલો રૂા.8.13 અને પીએનજીમાં પ્રતિ ઘન સેન્ટિમીટર યુનિટ રૂા.5.06નો ઘટાડો જાહેર કરવામાં થયો છે. તમને એ પણ જણાવી દઈએ કે, આજે મધરાતથી જ નવો ભાવ લાગુ કરી દેવામાં આવ્યો છે.પાઇપલાઇન મારફત અપાતા ગેસના ભાવમાં ઘટાડો થતા ગૃહિણીઓ માટે રાહત થશે. જયારે વાહનો માટેના સીએનજીના ભાવમાં ઘટાડો થતા ટ્રાન્સપોર્ટેશન પણ સસ્તુ થાય તેના પર તંત્રએ ધ્યાન કેન્દ્રીત કરવું રહ્યું. પેટ્રોલ-ડીઝલ કે સીએનજીમાં ભાવવધારા સાથે જ કોઈપણ જાહેરાત વગર ટ્રાન્સપોર્ટેશન મોંઘું થઈ જતું હોય છે. હવે તેમાં લોકો સુધી ક્યારે નવા ભાવથીી રાહત પહોંચે છે એ જોવું રહ્યું.