ઉત્તરાખંડમાં સતત વરસાદ એક સમસ્યા બની રહ્યો છે. વરસાદ બાદ ભેખડો, વૃક્ષો વગેરે ધસીને માર્ગો પર આવવાને કારણે બદ્રીનાથ-કેદારનાથ હાઈવે ઘણી જગ્યાએ બંધ કરી દેવામાં આવ્યો છે. હાઈવે બંધ થવાથી ઠેરઠેર વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ છે અને મુસાફરો અનેક જગ્યાએ અટવાઈ પડ્યા છે. ભૂસ્ખલન બાદ રસ્તાઓ બંધ થવાને કારણે ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યો છે.
વહીવટીતંત્ર દ્વારા બંધ રસ્તાઓ ખોલવાની કામગીરી ચાલી રહી છે પરંતુ ખરાબ હવામાન અડચણરૂપ બની રહ્યું છે. રૂદ્રપ્રયાગ જિલ્લામાં મુશળધાર વરસાદ ચાલુ છે, જેના કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે. ધસી આવેલા વૃક્ષો અને મોટા પથ્થરોના કારણે સિરોબગઢ ખાતે બદ્રીનાથ નેશનલ હાઈવે બ્લોક થઈ ગયો છે. જ્યારે કેદારનાથ હાઈવે પણ નેલ અને અન્ય સ્થળોએ આ જ સ્થિતિને કારણે બંધ કરી દેવામાં આવ્યો હતો.
રસ્તાઓ બંધ થવાના કારણે મુસાફરોની મુશ્કેલી પણ બમણી થઈ ગઈ છે. જિલ્લાના અનેક માર્ગો પર વાહન વ્યવહાર પણ ખોરવાયો છે. બીજી તરફ કેદારનાથ યાત્રાનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. બુધવારે સવારે 8:00 વાગ્યા સુધી સોનપ્રયાગથી કેદારનાથ જવા માટે તેરસોથી વધુ યાત્રાળુંઓ રવાના થયા છે. ડબરકોટમાં ભૂસ્ખલનના કારણે ઉત્તરકાશી જિલ્લામાં યમુનોત્રી નેશનલ હાઈવે બંધ કરી દેવામાં આવ્યો છે.
રસ્તો બંધ થવાના કારણે રસ્તાની બંને બાજુ વાહનો અટવાઈ ગયા છે જેના કારણે યાત્રિકોને અગવડ પડી રહી છે. ભારે વરસાદને કારણે નવી ટિહરીમાં ડોબરા-ચંથી-ચંબા મોટર રોડ પર કાટમાળના કારણે મોટરવે બ્લોક થઈ ગયો છે. કાટમાળના કારણે રોડની બંને બાજુ વાહનો અટવાયા છે. જેસીબી મશીન સ્થળ પર પહોંચી રોડ પરનો કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરી હતી.
શ્રીનગરમાં ધારી દેવી મંદિર પાસે ચામધર ખાતેનો NH ભૂસ્ખલનને કારણે બંધ કરી દેવામાં આવ્યો છે. પૌરી ચુંગીથી ખીરસુ તરફ વાહનોને ડાયવર્ટ કરવામાં આવી રહ્યા છે. પહાડી જિલ્લાઓમાં અવિરત વરસાદના કારણે બંધ પડેલા રસ્તાઓ ખોલવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. ફસાયેલા યાત્રાળુંઓને અન્ય માર્ગો દ્વારા મોકલવામાં આવી રહ્યા છે.