ગુજરાતમાં હવેથી તમામ પોલીસ સ્ટેશનમાં જાતિય સતામણીનો ભોગ બની ચૂકેલા મહિલા કે કીશોરીને કાનુની સહાય મળશે. ગુજરાત હાઈકોર્ટ એક આદેશમાં રાજયના પોલીસ વડાને જણાવ્યું છે કે કોઈ પણ મહિલા જાતીય અપરાધની ફરિયાદ નોંધાવવા કે નિવેદન આપવા અથવા એવા અન્ય કારણોસર પોલીસ સ્ટેશન આવે તો તેને કાનુની મદદ મળી રહે તે જોવાનું સુનિશ્ચીત કરવાનું રહેશે. આદેશ બાદ હવે ગુજરાત પોલીસ તંત્ર તરફથી તૈયારી શરૂ થઈ છે કે, આ માટે ધારાશાસ્ત્રીઓની પેનલ દરેક પોલીસ સ્ટેશન સાથે જોડવામાં આવશે.
હકીકતમાં તો આ આદેશ સુપ્રીમ કોર્ટે 27 વર્ષ પુર્વે આપ્યો હતો, પરંતુ કમનસીબે કોઈપણ રાજ્યએ તેનું પાલન કર્યુ જ નથી. હાઈકોર્ટે જણાવ્યું હતું કે જાતીય સતામણીથી પિડિત મહિલા પ્રારંભથી જ યોગ્ય કાનુની મદદ મેળવે અને સમગ્ર ફોજદારી પ્રક્રિયા સમયે તે જળવાઈ રહે તે જરૂરી છે. ગત તા.17મીએ હાઈકોર્ટ સમક્ષની એક અરજીમાં કુટુંબે તેની સગીર દીકરી જેનું અપહરણ થયું હતું અને જાતીય સતામણીનો ભોગ બની હતી તેને શોધવા માંગણી કરી હતી. આ પીડિતાને પોલીસે ઉગારીને પોલીસ સમક્ષ રજુ કરી ત્યારે જાણ થઈ કે તે ગર્ભવતી બની હતી જે બાદમાં ગર્ભપાત કરી આ સમસ્યાનો અંત લાવ્યો હતો
read more: રશિયા-યુક્રેનમાં યુદ્ધ થશે તો ભારતમાં ઘણી વસ્તુઓ મોંઘી થશે, જુઓ યાદી
અદાલતે એ જાણવા જ્યારે પ્રયાસ કર્યો કે પીડિતાને કોઈ કાનુની મદદ અપાઈ છે કે કેમ તો તમામ અધિકારી પણ તે અંગે અજ્ઞાનતા વ્યક્ત કરી હતી અથવા તો તેને એ પણ જાણ ન હતી કે આ રીતે કાનુની મદદ ઉપલબ્ધ કરાવી શકાય છે. સુનવણી બાદ હાઈકોર્ટના ન્યાયમૂર્તિ સોનિયા ગોકાણીની ખંડપીઠે 1995માં સર્વોચ્ચ અદાલતે દેશભરમાં તમામ પોલીસ સ્ટેશનમાં જાતીય સતામણીની પીડિતાને ફરિયાદ નોંધાવવાની સાથે જ કાનૂની મદદ મળી રહે અને તે માટે ધારાશાસ્ત્રીઓની એક પેનલ બનાવવા આદેશ આપ્યો છે. આ સમગ્ર કેસમાં પિડિતાની સાથે રહેશે અને પોલીસ સ્ટેશને પણ પિડિતાના પ્રતિનિધિ તરીકે સતત હાજર રહેશે.
હાઈકોર્ટને આશ્ચર્ય થયું કે સર્વોચ્ચ અદાલતના આદેશને સહેજે ગંભીરતાપૂર્વક નથી લેવાયો. કોર્ટ એ પણ નોંધ લીધી કે આવા કેસોમાં કાનૂની મદદ કરવા ધારાશાસ્ત્રીની કોઈ પેનલ જ બની નથી. અદાલતે કહ્યું કે રાજયના પોલીસવડા માટે પરિપત્ર દ્વારા રાજ્યના દરેક પોલીસ સ્ટેશનમાં જાતીય અપરાધથી પીડિત મહિલાની કાનૂની મદદ માટે સમય ગુમાવ્યા વગર ધારાશાસ્ત્રીની પેનલ રચશે અને હાઈકોર્ટના આદેશનું કઈ રીતે પાલન થયું છે તે માહિતી છ અઠવાડીયામાં પોલીસ વડાએ આપવાની રહેશે.