રાજ્યમાં ગોઝારી અકસ્માતની ઘટના અવારનવાર સામે આવતી રહે છે.ત્યારે આજે ફરી એકવાર ઇડર-હિંમતનગર હાઇ-વે ઉપર સાપાવાડા પાસે શનિવારે બપોરે ગોઝારો અકસ્માત સર્જાયો હતો.જેમાં એક કાર પલ્ટી મારી જતા 2 લોકોનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.જયારે આ ઘટનામાં 6 ઈજાગ્રસ્ત થયા હતા.આ ઘટનાના પગલે પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર પહોંચી અકસ્માતની નોંધ લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ ઘટના નાગે મળતી માહિતી મુજબ,શનિવારે બપોરે હિંમતનગરથી ઇડર તરફ આવતી કારના ચાલકે સાપાવાડા પાસે એકાએક કાબૂ ગુમાવતા કાર રોડની સાઇડમાં પલ્ટી જઇ ધડાકાભેર ઝાડ સાથે અથડાઈ હતી.જેના કારણે 6 લોકોને ભારે ઇજા પહોંચી હતી.જેમાં ગંભીર રીતે ઇજા પામેલા સસરા ઘનશ્યામ જીવણલાલ પંડ્યા અને પુત્રવધૂ દિપાલીબેન દિપેન પંડ્યાના ઘટના સ્થળ પર કમકમાટીભર્યા મોત થતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી.
અકસ્માતને પગલે આસપાસથી લોકોનું ટોળું એકત્ર થઇ ગયું હતું.જે બાદ આ અંગે 108 અને પોલીસને જાણ કરતા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. ઇજાગ્રસ્ત થયેલા સતીષભાઇ સોલંકી, પ્રતીક્ષા સતીષ સોલંકી, પ્રહન સતીષ સોલંકી, તનીશ સતીષ સોલંકી (તમામ રહે વડોદરા)ને 108 મારફતે ઇડરની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા.
આ દુર્ઘટનામાં દિપેનના પિતા ઘનશ્યામભાઇ પંડયા અને પત્ની દિપાલી પંડ્યાનું મોત નીપજ્યું છે. જ્યારે તેના એક પુત્ર તેમજ બહેન અને ભાણેજ ઇજાગ્રસ્ત થયા હોવાનું નજીક્ના પરિવારીક સૂત્રોએ જણાવ્યું હતું. આ અકસ્માતને પગલે વિસ્તારમાં તેમજ પરિવારજનોમાં શોક્ની લાગણી ફરી વળી હતી.