સત્તા મેળવવાના કોઈ સબળાં પાસા હાથ નથી લાગી રહ્યા ત્યારે કોંગ્રેસે હવે એવા વ્યક્તિઓ પર ભરોસો મુકવાના પ્રયાસો શરૂ કર્યા છે જેમના ઈન્ફ્લૂઅન્સથી પક્ષને ફાયદો મળી શકે. એવા લોકોની તલાશના રસ્તે હાલ લઘુમતિ મહિલા તરીકે મુમતાઝ પટેલનું તરણું દેખાઈ રહ્યું છે. મુમતાઝ પટેલ એ કોંગ્રેસના દિગ્ગજ નેતા સ્વ. અહેમદ પટેલના પુત્રી છે જેમને 2022ની ચૂંટણીમાં મહત્વની જવાબદારી મળી શકે છે. જોકે, સ્વ. અહેમદ પટેલના નિધન બાદ એકવખત કડવા શબ્દોમાં તેમનો પરિવાર કોંગ્રેસ સામે નારાજગી વ્યક્ત કરી ચૂક્યો છે એટલું જ નહીં આપના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ સાથેની તેમની નિકટતાની પણ લોકો નોંધ લઈ ચૂક્યા છે ત્યારે આ ઓપરેશન કેવી રીતે કોંગ્રેસ પાર પાડે છે એ હવે જોવું રહ્યું.
2022માં સત્તા નહીં તો કમસેકમ એક યોગ્ય દેખાવ કોંગ્રેસ નોંધાવી શકે એ માટે રાષ્ટ્રીય સ્તરે ખુબ અરમાનો સેવાઈ રહ્યા છે. સ્થાનિક નેતાગીરી કે કાર્યકરોમાં કોઈ એવો દમખમ છે નહીં જેમના ભરોસે બેસી રહેવાય એ સમયે કોંગ્રેસની કેન્દ્રીય નેતાગીરીએ સ્વ.અહેમદ પટેલના પુત્રીને મહત્વની જવાબદારી સોંપવા મન મનાવી લીધું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. સ્વ. અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલ કોંગ્રેસના સક્રીચ રાજકારણમાં પ્રવેશે એ માટે એડીચોટીનું જોર લગાવાઈ રહ્યું છે.
અહેમદ પટેલ પરિવાર સાથે ખૂબ ઊંડો ઘરોબો ધરાવતા એવા સુરત સ્થિત એક રાજકીય વિશ્લેષકનો દાવા અનુસાર તાજેતરમા દિલ્હી ખાતે કોંગ્રેસ હાઈકમાંડ એટલે કે ગાંધી પરિવાર સાથે મુમતાઝ પટેલની મુલાકાત થઈ હતી. ગુજરાત વિધાનસભાની ચુંટણી પૂર્વે આ મુલાકાત ખુબજ મહત્વની છે. તેમણે તો ત્યાં સુધી દાવો કર્યો છે કે, ગાંધી પરિવારે વ્યક્તિગત રસ દાખવી મુમતાઝ પટેલને કોંગ્રેસના રાજકારણમા સક્રીય થાય એ માટે આગ્રહ કર્યો છે. મુમતાઝ પટેલને ભરૂચ બેઠક પરથી 2022 વિધાનસભાની ચૂંટણી લડી એક શરૂઆત કરવા ઓફર થઈ છે. એક યુથ એ પણ લઘુમતિ મહિલા હોય તરીકે હોય ત્યારે આ પગલું કોંગ્રેસ માટે મહત્વનું સાબિત થઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અઘ્યક્ષ અને લઘુમતી ચહેરા એવા કદીર પિરઝાદાના વિવાદાસ્પદ બફાટથી હાઈકમાન્ડ નારાજ છે ત્યારે કદીર પિરઝાદા અને તેમની ટીમ જનાધાર પણ ગુમાવી ચૂક્યા છે ત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે સ્વ. એહમદભાઇ પટેલની પુત્રી મુમતાઝ પટેલને એક મહિલા લઘુમતી ચહેરા તરીકે પ્રસ્થાપિત કરવી એ જરૂરી પગલું છે.