રાઈટ ટુ એજયુકેશન હેઠળ જરૂરિયાતમંદ બાળકોના બદલે ખોટા ડોકયુમેન્ટના આધારે પ્રવેશ મેળવાય છે. દર વર્ષે જ આ પ્રમાણેની સ્થિ્તિ સર્જાતી હોય છે છતાંય તેને રોકવા એક સિસ્ટમ શિક્ષણ મંત્રાલય વિક્સાવી નથી રહ્યું તેમાં જરૂરિયાતમંદ અટવાતા હોવાનો બળાપો વાલીઓમાં જોવા મળી રહ્યો છે. રાજયભરમાં હવે આ મુદે તપાસ હાથ ધરવામાં આવી છે. રાજયકક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાનું કહેવું છે કે, કેટલાક સક્ષમ પરિવારના બાળકોના વાલીઓએ ખોટા ડોકયુમેન્ટથી તેમને પ્રવેશ મેળવ્યો છે તેમની સામે સરકાર પગલા લઈ રહી છે.
આર્થિક રીતે નબળા પરિવારોને ખાનગી શાળામાં રાઈટ ટુ એજયુકેશન હેઠળ પ્રવેશ અપાતો હોય છે. જોકે દર વર્ષની જેમ જ આ વખતે પણ સુરત, રાજકોટ સહિત અનેક સ્થળે આરટીઈ પ્રવેશ પ્રક્રિયામાં ગેરરીતિ કરીને પ્રવેશ મેળવ્યો હોય કે તેનો પ્રયાસ કરાયો હોય તેવા કિસ્સા બહાર આવી રહ્યા છે. આ મુદે મંત્રવી પાનસેરિયાએ જણાવ્યું હતું કે આરટીઈ જરૂરિયાત હોય તેવા બાળકો માટે છે, તેમ છતા કેટલાક સક્ષમ લોકો ખોટી રીતે પ્રવેશ લઈ રહ્યા છે, તે ગરીબ બાળકોને અન્યાય છે.
આરટીઈ હેઠળ જે ફોર્મ ભરાયા છે અને શંકાસ્પદ છે તેનું ક્રોસ વેરિફિકેશન કરવા માટે સૂચના અપાઈ છે. ભાડાના મકાનના ખોટા કરાર દર્શાવીને પણ એડમિશન લેવાયા છે તે સહિતના કિસ્સામાં ડીઈઓ અને શિક્ષણ નિયામકને ખોટા લોકો સામે પગલા લેવા માટે તાકીદ કરાઈ છે. લાયક બાળક ખોટું કરતા લોકોને કારણે પ્રવેશથી વંચિત રહે નહીં તે માટે સરકારે સમગ્ર બાબત ગંભીરતાથી લીધી છે. આ માટે કાર્યવાહી કરીને જવાબદારો સામે પગલા લેવામાં આવશે. જોકે શિક્ષણ વિભાગ પાસે આવું વારંવાર બનતું રોકવા માટે કોઈ સજ્જડ આયોજન ન હોવાથી એ ફરી ફરીને ગાજતું જ રહે છે.