ગુજરાતીઓ માટે નવરાત્ર એટલે વિવિધ માતાજીના ગરબા સાથે તાલબદ્ધ ઝુમીને ભક્તિ કરવાના દિવસો. સુરતમાં શેરીએ શેરીએ લોકો ગરબા રમીને આ તહેવારને ઉત્સાહભેર ઉજવે છે પરંતુ શહેરમાં દાયકાઓથી વસીને પોતાની કર્મભૂમિ સિદ્ધ કરનાર એક સમાજ પોતાની અનોખી સાંસ્કૃતિક પરંપરા સાથે આ તહેવારની ઉજવણી કરે છે જે અત્યંત રોચક છે. વાત છે તેલુગુ સમાજની જે હાલ બતુકમ્મા પંડુગા તરીકે નવરાત્રીની ભવ્ય સંસ્કૃતિને જીવંત રાખીને ઉત્સાહભેર ભાવભક્તિથી ઉજવણીમાં વ્યસ્ત છે. આ તહેવાર પણ નવરાત્રીની જેમ જ હોય છે જેના પ્રથમ દિવસને એંગિલી પૂલા બતુકમ્મા અને અંતિમ દિવસને સદ્ધુલા બતુકમ્મા તરીકે ઉજવાય છે.
આ ઉજવણી અંગે આપણે જાણીએ એ પૂર્વે તમને તેની ઉજવણી પાછળની બે રસપ્રદ દંતકથાઓથી ટુંકમાં પરિચય કરાવીએ તો, સૈકાઓ પૂર્વે ચોલુડું નામે એક રાજા હતા. અનેક યજ્ઞ, વ્રત તેમજ ઉપવાસ વિધિવિધાનો કર્યા બાદ તેમને વર્ષો બાદ સંતાન પ્રાપ્તિ થઈ. રાજાએ તેમની આ પુત્રીને ભવિષ્યમાં કોઈપણ દુઃખ કે આફત ન આવે એ માટે દેવીને પ્રાર્થના કરી. દેવીના આગ્રહ મુજબ તેમણે પુત્રીનું નામ બતુકમ્મા રાખ્યું. સામાન્ય શબ્દોમાં કહીએ તો બતુકમ્મા એટલે જીવનદાત્રી અને વિશેષ અર્થમાં એ જીવનના દુઃખો હરનારી છે.
એક અન્ય કથા અનુસાર, 10મી સદીના અંતમાં વિવિધ પ્રદેશોમાં અનાવૃષ્ટિ તેમજ રોગચાળાથી અસંખ્ય લોકો ટપોટપ મૃત્યું પામી રહ્યા હતા. આ મહાવ્યાધીથી બચવા જેમણે શ્રદ્ધાપૂર્વક જેમના પૂજાપાઠ કર્યા અને તેમના અનુગ્રહથી જીવન સુરક્ષિત જીવ્યા એ દેવી બતુકમ્મા છે. લોકોને તેમના પર અગાઢ શ્રદ્ધા છે.
બતુકમ્મા તહેવારમાં બે તબક્કામાં ગરબા રમવામાં આવે છે. પ્રથમ દિવસથી આઠમ સુધી નાની ઉંમરની કુમારિકાઓ તેમાં ભાગ લે છે જેને બોડેમ્મા કહેવાય છે. આ તહેવારનો બીજો તબક્કો નવમા એટલે કે અંતિમ દિવસે હોય છે. જેમાં બાળકીથી લઈને તમામ ઉંમરની મહિલાઓ ભાગ લે છે. આ દિવસે દરેક સ્ત્રી એક થાળીમાં વિવિધ પાંદડાઓ મૂકી તેના પર રંગબેરંગી ફૂલોથી એક પર્વત જેવો આકર્ષક આકાર આપે છે. ફૂલો ઔષધીય ગુણયુક્ત હોય છે. બતુકમ્માની સંજ્ઞા ધરાવતા ઔષધીય આ ફૂલોની સજાવટને પાણીમાં સમાવાય છે. ઔષધીય ગુણોયુક્ત આ પાણી પીવાથી લોકોની બિમારીઓ દૂર થાય છે એવી દ્રઢ શ્રદ્ધા લોકોમાં છે.
દરેક સ્ત્રી એક એક બતુકમ્મા બનાવે છે. સ્ત્રીઓમાં સુંદર અને આકર્ષક બતુકમ્મા તૈયાર કરવાની એક હરિફાઈ પણ થાય છે. સૌથી આકર્ષક, મોટા અને રંગબેરંગી તેમજ મનોહર, કલાત્મક બતુકમ્મા બનાવનાર યુવતીઓને પદ્મશાળી સમાજ તરફથી ઈનામો આપીને પ્રોત્સાહીત કરવામાં આવે છે. સાંજે સૌ કોઈ નવા કપડાં અને ઘરેણામાં તૈયાર થઈને હાથમાં બતુકમ્મા થાળીી લઈને નદી, તળાવ અથવા તો મંદિરે પહોંચે છે. અહીં તમામ બતુકમ્માઓને એકત્રિત કરી એક સ્થળે મુક્યા બાદ તેના ફરતે ગરબા રમવામાં આવે છે. ફૂલોનો પર્વત, ગરબા અને માતાજી ત્રણેય માટે એક જ શબ્દનો પ્રયોગ છે બતુકમ્મા. ગરબા રમ્યા બાદ રાત્રે પાણીમાં દિવાઓ સાથે તરતા મુકવામાં આવતા રંગબેરંગી બતુકમ્માના દર્શન કરવાનો લ્હાવો ખરેખર અદભૂત હોય છે.
એવી પણ માન્યતા પ્રચલિત છે કે, બતુકમ્મા પર્વને સાચા મનથી અને ખરી શ્રદ્ધાથી ઊજવવામાં આવે તો કુંવારી છોકરીઓ મનપસંદ જીવનસાથી મેળવે છે અને તેમનું સંસારજીવન સુખમય પસાર થાય છે. આ ગરબો જોવા જાય તેઓના દુઃખ પણ માતાજી દુર કરે છે. તેલંગાણાની મહિલાઓનો આ સૌથી પ્રિય ઉત્સવ છે. મહિલાઓ તેમના સૌભાગ્ય અને અતૂટ વૈવાહિક જીવન માટે આ ઉત્સવમાં ભાગ લે છે. લોકો બતુકમ્માને પોતાની દિકરી તેમજ કુળદેવી માને છે. નવપરણિત વધુઓ માટે પિયર જવા માટે રાહ જોવાનો આ તહેવાર છે.
ઓક્કેસી પુવ્વેસી ચંદામામા, ઓક્કા ઝામુલાએ ચંદામામા, બતુકમ્મા બતુકમ્મા ઉય્યાલો, કોલ… કોલ જેવા ગરબાઓ લોકપ્રિય છે. અંતિમ દિવસે નારિયેળ, રાઈ, તલ, જુવારના લોટના લાડુનો પ્રસાદ ગ્રહણ થાય છે આ પ્રસાદને સદ્ધુલા બતુકમ્મા કહેવાય છે. સુરતમાં આ તહેવારની ખૂબ જ ધામધુમપુર્વક ઉજવણી કરવામાં આવે છે.