દરેક પરિવારમાં વડીલો હોય કે યંગસ્ટર કે પછી નટખટ બાળક ઘરના લગ્નપ્રસંગમાં એવા અરમાન ચોક્કસ જ જુએ છે કે એ પ્રસંગ કંઈક અલગ છાપ છોડીને જાય. આજે અમે તમને સુરતના પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિના ઘરના એક અનોખા લગ્નપ્રસંગની સેર કરાવવા જઈ રહ્યા છે. આ લગ્નપ્રસંગનો થિમ “કંઈક અલગ” કરવાનો નહીં પરંતુ “એક” કરવાનો હતો. વાત જાણીને નવાઈ લાગી ? વાસ્તવમાં અમીટ છાપ છોડતા આ અનોખા લગ્ન યોજાયા હિરા ઉદ્યોગના જાજરમાન એવા ભડિયાદરા પરિવારમાં. આ અનોખા લગ્નની સુવાસ આજે ફક્ત સમાજમાં જ નહીં ચોતરફ ફેલાઈ રહી છે કે, લગ્નના થિમ તો આવા જ હોવા જોઈએ.
લગ્નપ્રસંગ એટલે પરિવાર માટે થોડા વિધિવિધાન અને ઘણી બધી ધમાલ મસ્તીનું લાગણીસભર બેલેન્સ હોય છે. આજકાલ તેને વધુ રોચક બનાવવા તેને થિમ આધારિત કરવામાં આવે છે. જોકે, ઘણી વખત ઉત્સાહના અતિરેકમાં આવા થિમ સંસ્કૃતિની ઘોર ખોદતાં પણ જણાય છે. હવે વાત કરીએ ભડિયાદરા પરિવારના અનોખા લગ્નની તો, જ્યારે બધું યોગ્ય રીતે ગોઠવાયું અને પરિવારના વડીલોએ જાહેરાત કરી કે, કરો તૈયારી જેમિશ અને કવિશાના લગ્નની તો. આ લગ્ન સમાજમાં એક ચિરંજીવ અને પરિવારની પ્રતિષ્ઠાને ચાર ચાંદ લગાવે તેવો કેવી રીતે બનાવી શકાય તેના સપનાંઓ પરિવારના દરેક સભ્યોના મનમાં અંકિત થવા લાગ્યા.
ઘરના બાળકોની ખુશી અને વડિલોના મોભા બંને સચવાય એ રીતે આયોજનની જવાબદારી ભડિયાદરા પરિવારના અવસરાભિલાષી એવા પ્રફૂલ્લા-મુકેશ, ચેતના-રમેશ, પ્રાંજલ-ધીરજ, નિતા-દિનેશ, ભક્તિ-પંકજ, અમિષા-રાકેશ, હેતલ-હરેશ, શિતલ-રાજુ, પિનલ-ધર્મેશ પર હતી જેઓ હંમેશા જ વડીલો અને નવા જનરેશન વચ્ચેની કડીરૂપ બનીને રહ્યા છે. તેમણે આ પડકારને સુપેરે ઝીલી લેવા ઉત્સાહપૂર્વક એકઠાં થઈ આયોજનને રૂપરેખા આપવા માંડી. ઘરના વડીલો રણછોડભાઈ, નારણભાઈ, દેવશીભાઈ, હિંમતભાઈ ભડિયાદરાનો તેમને સાથ હતો.
પરિવારે થિમ આધારિત ઉજવણી માટે એકસુરે જે નિર્ણય લીધો એ ભડિયાદરા પરિવારના નાના-મોટા તમામ સભ્યોના ઉત્સાહને વધારતો સાબિત થયો. પરિવારે નક્કી કર્યું કે “લગ્નમાં અલગ તો સૌ કરે છે આપણે આ લગ્નમાં એક કરીશું” આ થિમ અંગે વિસ્તૃત વિગતો આપતાં દેવશીભાઈએ કહ્યું કે, ” જેમિશ અને કવિશાના લગ્ન સુરતમાં વાલક પાટીયા સ્થિત સાગવાડી ખાતે ધામધૂમપુર્વક અને સમાજના રીતિ-રિવાજો અનુસાર કર્યા બાદ અમે નક્કી કર્યું કે, ઘણા સુંદર તળાવોને કારણે તેને પૂર્વના વેનિસ તરીકે પણ ઓળખવામાં આવે છે એ અદભૂત શહેર ઉદયપુરમાં પોસ્ટ વેડિંગ સેલિબ્રેશન કરીએ. લોકો ડેસ્ટિનેશન મેરેજ તરીકે સિંગાપોર, મોરિશિયસ, બાલી જેવા સ્થળો પસંદ કરતા હોય છે પરંતુ અમારા પરિવારે એ સ્થળ તરીકે ખુબ વિચાર્યા બાદ ઉદયપુરને પસંદ કર્યું.”
તમને લાગતું હશે ઉદયપુર જ કેમ અને ઉદયપુરને પસંદ કરવામાં મોટી વાત શું છે તો, જાણી લો કે, ભડિયાદરા પરિવારનું એકસૂરે માનવું હતું કે, લગ્નનો ઉત્સવ એક એવી તક છે જ્યાં તમને તમારા પરિવારની સૌથી નજીક આવવાની તક મળે છે. નાના-મોટા પરિવારના સંબંધીઓને ઓળખવા માટે આ પ્રસંગ સૌથી મોટી કડી હોય છે. જો લગ્ન માટે બહારના કોઈ ડેસ્ટિનેશન પર પસંદગી ઉતારવામાં આવે તો ઘણાં લોકો ત્યાં આવવા અસમર્થ હોય છે અને તેમનો પરિવાર એનું ઈચ્છતો ન હતો. આ વાત સાથે સૌકોઈ સહમત હતા એટલે ઉદયપુર ફાઈનલ કરવામાં આવ્યું હતું.
ભડિયાદરા પરિવારની આ ઉમદા ભાવના પાછળ પણ એક લાગણીસભર વાત છૂપાયેલી છે. જે અંગે ઉમેશ વલ્લભભાઈ ભડિયાદરા અને ભાવિન હિંમતભાઈ ભડિયાદરાએ જ્યારે ફોડ પાડ્યો તો એ ખૂબ જ ભાવભીનો હતો. તેમણે કહ્યું કે, ” જેનિશ અમારા ઘરનો સૌથી લાડકો સભ્ય છે.એ નાના સાથે નાનો અને મોટેરાંઓ સાથે સમોવડો સમજદાર બનીને જીવી શકે એ અદભૂત ગુણ ધરાવે છે. હકીકતમાં, જેનિશ મહજ 6 મહિનાનો જ હતો ત્યારે તેના પિતા વલ્લભભાઈની છત્રછાયા તેણે ગુમાવી દીધી હતી. ભડિયાદરા પરિવારના મોભીઓમાં સૌથી નાના ભાઈ એવા વલ્લભભાઈનું 1995માં દેહાંત થયું ત્યારે જેનિસની ખુબ જવાબદારીપૂર્વક અને ભરપૂર લાગણી સાથેનું લાલનપાલન કરવામાં કોઈ સમાધાન આડે નહીં આવશે એ રણછોડભાઈ, નારણભાઈ, દેવશીભાઈ, હિંમતભાઈએ પરિવારને આપેલું અતૂટ વચન હતું. જેનિશના માતા હંસાબેન આ વાતને ખૂબ જ હ્રદયપૂર્વક સમજીને જ જ્યારે જેનિશના શિરે વરરાજાનો તાજ જોયો તો તેમની આંખો ખૂશીથી ભીંજાયા વગર ન રહી શકી. એ માતાના અંતરના આશિર્વાદ હતા કે આ પરિવારે તેમને આ ક્ષણોનું ગૌરવ અપાવ્યું ” એ જ કારણ છે કે, ભડિયાદરા પરિવારનો એક એક સભ્ય કૌટુંબિક એકતાનું મહત્વ સમજે છે અને એટલે જ મનોરંજન પુરુ પાડતા થિમથી દૂર રહી સમાજમાં કોટુંબિક ભાવનાનો મેસેજ આપતો થિમ આ પરિવારે વધાવી લીધો.
દેવશીભાઈએ આ વાતને વધુ ઉંડાણપૂર્વક સમજાવતાં કહ્યું કે, અમારો પરિવાર અલગ નહીં એક થવામાં માનતો હોવાથી એક થવાની આ અમને યોગ્ય લાગ્યું અને અમે ઉદેપુર પરિવારને એકત્રિત કરવાનું નક્કી કર્યું જ્યાંના અલગ માહૌલમાં પરિવારના દરેક સભ્યો એકબીજાને નજીકથી ઓળખતાં થાય અને ભવિષ્યના જોડાણનો એક મજબૂત સેતુ સર્જાય. પહેલાના સમયમાં સગાવહાલાંઓને એ શુભાશયથી જ આમંત્રણ આપવામાં આવતા હતા જે પરંપરા આ જનરેશનમાં પણ ઉત્સાહભેર જળવાઈ રહી એ અમારા માટે ખરેખર સુખદ સ્મૃતિરૂપ થિમ છે.