છેલ્લા ઘણાં સમયથી આતંકવાદી નિજ્જરની હત્યા બાબતે ભારત અને કેનેડા વચ્ચે જબરદસ્ત વિવાદ ચાલી રહ્યો છે. આ તણાવની વચ્ચે ખાલિસ્તાનીઓ દેશમાં વાતાવરણ બગાડવાના ભરપૂર પ્રયાસો કરી રહ્યા છે. આ શ્રેણીમાં હિમાચલની બીજી રાજધાની ધર્મશાળામાં દિવાલો પર ખાલિસ્તાન ઝિંદાબાદના નારા લખવામાં આવ્યા છે. ઘટના બાદ ક્રિકેટ આયોજન તંત્ર અને ક્રિકેટ પ્રેમીઓમાં ચિંતા ફરી વળી છે તો ધર્મશાલામાં વર્લ્ડ કપ મેચ પહેલા આવી ઘટનાએ આ મેગા ઈવેન્ટની સુરક્ષા પર સવાલો ઉભા કર્યા છે.
ખાલિસ્તાની સમર્થકોએ ધર્મશાલામાં સરકારી ઓફિસોની દિવાલો પર સ્પ્રે પેઇન્ટથી ખાલિસ્તાન ઝિંદાબાદ લખી દીધું છે. ઘટના બાદ પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. હાલ પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. દિવાલ પરથી સ્લોગન દૂર કરવામાં આવ્યું છે, પરંતુ તે હજુ પણ અમુક અંશે દિવાલ પર દેખાય છે.
જણાવવામાં આવી રહ્યું છે કે જલ શક્તિ વિભાગના કાર્યાલયની દિવાલ પર ખાલિસ્તાન ઝિંદાબાદના નારા લખવામાં આવ્યા હતા. આ સ્લોગન બ્લેક સ્પ્રે પેઇન્ટથી લખવામાં આવ્યું હતું. એક સ્થાનિક વ્યક્તિએ આ અંગે પોલીસને જાણ કરી હતી, જ્યારે આ ઘટના સમયે જલ શક્તિ વિભાગના ચોકીદાર અશ્વની કુમાર નાઇટ ડ્યુટી પર હાજર હતા. તેના કહેવા પ્રમાણે તે બિલ્ડિંગની અંદર હતો, બહાર નહીં, પરંતુ પોલીસે આવીને તેની પૂછપરછ કરતાં તેને એવી માહિતી પણ મળી કે અહીં પણ આવું કંઈક લખ્યું છે.