આગામી 24 કલાકમાં વાવાઝોડું વધારે મજબૂત બની શકે છે. ગઈકાલે પોરબંદરના દરિયાકાંઠેથી 760 કિલોમીટર દૂર રહેલું વાવાઝોડું આજે 640 કિલોમીટર જ દૂર છે અને હવે વધુ ઝડપથી આગળ વધે તેવી શક્યતા છે. કારણ કે વાવાઝોડું જેમ નજીક આવી રહ્યું છે તેમ તેમ તેની સ્પીડ વધી રહી છે. બીજીતરફ બંગાળની ખાડીમાં પણ લો પ્રેશર સિસ્ટમ સર્જાતા ગુજરાત સહિત દક્ષિણ ભારતના અનેક રાજ્યોમાં વરસાદ પડવાની શક્યતા છે. બીજીતરફ આ જ ઘટનાક્રમની અસરથી ઉત્તર અને પૂર્વીય રાજ્યોમાં અસહ્ય ઉકળાટ અને ગરમીનો અનુભવ થઈ શકે છે.
હાલ વાવાઝોડાની દિશા ગુજરાત તરફ છે. ત્યારે હજુ બે દિવસ વાવાઝોડાની દિશા ગુજરાત તરફ જ રહેશે. તેમજ આગામી 36 કલાક સતત વાવાઝોડું તીવ્ર બનશે. હજુ 3 દિવસ બાદ વાવાઝોડાની દિશા બદલાઈ શકે છે. જેનાથી બંગાળની ખાડીમાં વેલમાર્ક લો-પ્રેશર સર્જાયું છે. પ્રતિ કલાક 30 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતા અલંગના દરિયામાં જોરદાર કરંટ જોવા મળી રહ્યો છે. પોરબંદરથી 640 કિમી દૂર, ત્રણ દિવસ 100 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે વરસાદ પડશે.
જૂનાગઢમાં આવેલા ગિરનાર પર્વત પરની રોપ-વે સેવા બંધ કરી દેવામાં આવી છે. Cyclone Biparjoy ની અસરથી ભારે પવનને પગલે આ સેવા બંધ કરવામાં આવી છે. પવનની ગતિ સામાન્ય થતા જ રોપ-વે સેવા ફરી કાર્યરત કરવામાં આવશે તેમ જૂનાગઢ તંત્રનું કહેવું છે. એ જ પ્રમાણે વલસાડમાં તિથલ તેમજ નવસારીમાં દાંડી અને ઉભરાટ તો સુરતમાં સુવાલી દરિયાકિનારો સુરક્ષા કારણોને ધ્યાનમાં રાખીને બંધ રાખવામાં આવ્યો છે.
તમને જણાવી દઈએ કે શુક્રવારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યના ક્લેક્ટર્સ સાથે વીડિયો કોન્ફરન્સથી આપત્તિ વ્યવસ્થાપન-ડિઝાસ્ટર મેનેજમેન્ટ સજ્જતા અંગે સમીક્ષા કરી હતી. આ વિસ્તારોમાં બીપરજોય વાવાઝોડાની સંભવિત અસરો સામે જિલ્લાઓએ કરેલા આયોજનની વિગતો મુખ્યમંત્રીએ આ બેઠકમાં મેળવી હતી અને ત્યારબાદ તંત્રને સતર્કતા અને તકેદારી રાખવા માર્ગદર્શન આપ્યું છે.