વિધાનસભાની સામી ચૂંટણીએ વ્યાપક એવા સમાજને ખોટી રીતે નારાજ કરવાનું પાલવે એમ નથી ત્યારે ગુજરાત વિધાનસભામાં મેરેથોન ચર્ચા બાદ મંજૂર ઢોર નિયંત્રણ કાનૂનનો અમલ અચોક્કસ મુદત માટે મોકુફ રાખવામાં આવ્યો છે. રાજ્યમાં આ કાનૂન પસાર થતાં જ માલધારી સમાજના ભારે વિરોધનો સામનો સરકારે કરવો પડ્યો છે. રખડતા ઢોર પકડાઈ તો તેમાં માલધારીઓને આકરી જેલ સજાની અને મોટા દંડની જોગવાઈ હોવાની વાત સમાજને વ્યથિત કરી ગઈ હતી.
રાજ્યભરમાંથી માલધારી સંગઠનોએ ઢોર નિયંત્રણ કાનૂનનો વિરોધ કર્યો હતો. ગુરુવારે સવારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નિવાસે માલધારી સમાજ સાથે એક બેઠક યોજાઈ હતી. બેઠકમાં મુખ્યમંત્રીએ આ કાનૂનનો અમલ હાલ નહીં કરાય તેવી ખાતરી આપી છે.
માલધારી સમાજમાં ઢોર નિયંત્રણ કાયદાની જોગવાઈઓ સામે વ્યાપક રોષ હતો. ભારતીય જનતા પક્ષ આવો વિરોધ મુશ્કેલી ઉભી કરે તેવી શક્યતા જણાતા પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે અગાઉ જ આ કાનૂન લાગુ નહીં થાયતેવો સંકેત આપી દીધો હતો. માલધારી સમાજના અગ્રણીઓની મુખ્યમંત્રી સાથે બેઠકનું આયોજન થયું એ વખતે જ નિશ્ચિત માનવામાં આવતું હતું કે આ કાનૂનના અમલમાં સરકાર પીછેહટ કરી શકે છે.