ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન શાંતિપૂર્ણ રીતે સમાપ્ત થયું છે. આ વખતે ઠેકઠેકાણે મતદાન પ્રક્રિયા ધીમી ચાલી હોવાની ફરિયાદો જોવા મળી. સવારે જે પ્રકારે લોકો બહાર આવ્યા એ જોતાં મતદાનના નવા રેકોર્ડ નોંધાય તેવી આશા હતી પરંતુ અંદાજે 60 ટકા મતદાન થયું હોવાની પ્રાથમિક ગણતરી માંડવામાં આવી છે. એ ચોક્કસ છે કે, ઓછા મતદાનથી ઉમેદવારો અને રાજકીય પક્ષોની મૂંઝવણ વધી છે.
વાંસદાના વાટી, ઝગડીયાના કેસર અને જામજોધપુરના ધ્રાફા ગામમાં એકપણ મત ન પડ્યો
દર વખતે ચૂંટણી વ્યવસ્થામાં જામનગર જિલ્લાની જામજોધપુર વિધાનસભા બેઠકના ધ્રાફા ગામમાં મહિલા મતદારો માટે અલગ બૂથ ઉભું કરવામાં આવતું હતું. પરંતુ, આ વખતે તંત્રએ અલગ બૂથની વ્યવસ્થા ન કરતા નારાજ ગ્રામવાસીએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો. ગામમાં એકપણ મત પડ્યો નથી.
એ જ પ્રમાણે ભરૂચ જિલ્લાની ઝઘડિયા વિધાનસભાના વાલિયા તાલુકાના કેસર ગામના ગ્રામજનોએ અગાઉથી કરેલી જાહેરાતને અનુસરતાં મતદાન જ કર્યું નથી. પ્રાથમિક સુવિધાના અભાવ સામે લડતથી કંટાળીને મતદાનનો બહિષ્કાર થયો છે. તંત્રના સમજાવટના તમામ પ્રયત્નો નિષ્ફળ રહ્યા હતા.
આ ક્રમમાં ત્રીજું નામ છે. વાંસદા વિધાનસભા બેઠકના વાટી ગામનું.અંબિકા નદી પર પૂલ બનાવવાની તેમની લાંબા સમયની માંગણીની અવગણનાથી મતદારો નારાજ વર્તાતા હતા. મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ ત્યાં સુધીમાં 700 મતમાંથી એકપણ મત પડ્યો નહોતો. તંત્રની લાખ કોશિષ છતાંય ગ્રામવાસીઓ મક્કમ રહ્યા હતા.