ધોરણ 10-12 બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે.
બોર્ડના સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર જાહેર થયેલા આ કાર્યક્રમ અનુસાર 28 માર્ચથી 12 એપ્રિલ સુધી પરીક્ષા યોજાશે. રાજ્યભરનાં 16 લાખ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે.બીજીતરફ આજે એ પણ સ્પષ્ટ થઈ ગયું છે કે 10-12ની બોર્ડ પરીક્ષાઓ ઓફલાઈન જ યોજાશે. સર્વોચ્ચ અદાલતે આજે ઓફલાઈન પરીક્ષા રદ કરવાની માંગ ફગાવી દીધી છે.
શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષાના વિષયવાર જાહેર કરેલા કાર્યક્રમ મુજબ ધો. 10ની પરીક્ષામાં સવારના 10 થી 1.15 કલાક દરમિયાન પેપર લેવામાં આવશે. ધો. 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાના પેપર બપોરના 3 થી 6.30 દરમિયાન લેવામાં આવશે. ધો. 12 સામાન્ય પ્રવાહ અને ઉતર બુનિયાદી પ્રવાહની પરીક્ષા સવારના 10-30 થી 1.45 અને બપોરનાં 3થી 6.15 કલાક દરમિયાન એમ બે સેશનમાં લેવામાં આવશે.
બે વર્ષ બાદ યોજાનારી બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ થોડો પાછળ ધકેલાયો હોવાને કારણે ઉનાળું વેકેશન પણ લંબાશે. શિક્ષણ બોર્ડની આ પરીક્ષામાં બે પેપર વચ્ચે એક-એક દિવસની રજા રાખવામાં આવી હોવાથી વિદ્યાર્થીઓને તૈયારી કરવાનો સમય મળશે. દર વર્ષે શિક્ષણ બોર્ડ દ્વારા ધો. 10 અને 12ની આ પરીક્ષા માર્ચના પ્રથમ સપ્તાહમાં લેવામાં આવે છે પરંતુ કોરોના કાળના પગલે વિદ્યાર્થીઓને આ પરીક્ષાની તૈયારીઓ કરવામાં વધુ સમય મળે તેવા હેતુથી ચાલુ વર્ષે આ પરીક્ષા માર્ચના આખરી સપ્તાહ એટલે કે 28 માર્ચથી લેવાનો નિર્ણય શિક્ષણ બોર્ડ દ્વારા અગાઉ જાહેર કરી દેવાયો હતો