ઉત્તરાખંડના રૂદ્રપયાગમાં સિઝનની પ્રથમ હિમવર્ષા થઈ છે. આ ઉપરાંત વરસાદ ચાલુ છે. જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. દરમિયાન રૂદ્રપયાગમાં નેશનલ હાઈવે 109 બુધવાર મોડી રાતથી બંધ કરી દેવામાં આવ્યો છે. ભૂસ્ખલનને કારણે આવું બન્યું હતું. જિલ્લાના તરસાલી ગામ પાસે અચાનક ભૂસ્ખલનને કારણે પહાડો પરથી કાટમાળ પડવા લાગ્યો હતો. આ અંગે જિલ્લા મેજિસ્ટ્રેટ મયુર દીક્ષિતે કહ્યું કે, ‘તમામ મુસાફરોને સુરક્ષિત સ્થાનો પર રોકી દેવામાં આવ્યા છે. કાટમાળ હટાવ્યા બાદ વાહનોની અવરજવર શરૂ કરવામાં આવશે.
ગંગોત્રી હાઇવે પર બુધવારે સાંજે 5.30 કલાકે ભટવાડી નજીક હેલગુગાડ પાસે અચાનક ભારે ભૂસ્ખલન થતાં વાહનવ્યવહાર બંધ થઇ ગયો છે. હાઇવેની બંને તરફ મોટી સંખ્યામાં મુસાફરો અટવાયા છે. BRO રૂટ પુનઃસ્થાપિત કરવામાં વ્યસ્ત છે. ભટવાડીથી આગળ હેલગુગઢ ઝોન અવારનવાર ઘાતક બનતો જાય છે. આ સ્થળે રસ્તો બંધ થવાને કારણે ગંગોત્રી ધામની યાત્રાને અસર થઈ રહી છે. જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન અધિકારી દેવેન્દ્ર પટવાલે જણાવ્યું હતું કે ભૂસ્ખલન બંધ થતાં જ રસ્તો ખોલવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. ભાટવાડી અને ગંગનાની ખાતે પેસેન્જર વાહનોને રોકવામાં આવ્યા છે.