એક આરટીઆઈના જવાબમાં નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોએ ચોંકાવનારી બાબત સ્વીકારતા વિગતો આપી છે કે ગત એક વર્ષમાં 1.22 લાખથી વધુ કેસ ખોટા નોંધાયા છે. તપાસ દરમિયાન આ કેસોમાં મુકવામાં આવેલા આરોપોની ખરાઈ થઈ શકી નથી. આંકડાઓ એ વાતની ચાડી ખાઈ રહ્યા છે કે કાયદાઓના આ હદે દુરુપયોગ થઈ રહ્યો છે. લોકો બીજાને ફસાવવા માટે કાયદાનો બેફામ દુરૂપયોગ કરે છે.
હકીકતમાં, રામપુરના આરટીઆઈ કાર્યકર્તા દાનિશ ખાને માહિતી અધિકાર હેઠળ માહિતી માંગી હતી કે છેલ્લા એક વર્ષમાં દેશમાં કેટલા કેસ નોંધાયા છે અને કેટલા કેસ ખોટા પુરવાર થયા છે. માહિતીના જવાબમાં NCRB દ્વારા જે વિગતો રજૂ કરવામાં આવી એ મુજબ, વર્ષ દરમિયાન દેશના 29 રાજય અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કુલ 272687 કેસ નોંધાયા હતા, એ પૈકી 122211 કેસ એવા નીકળ્યા છે જેમાં તપાસ દરમિયાન આરોપોની પુષ્ટિ જ થઈ શકી નથી.
આ બાબતે ઉચ્ચ પોલીસ અધિકારીઓનું કહેવું છે કે, આઈપીસી 182 હેઠળ ખોટો કેસ દાખલ કરનાર વ્યક્તિ વિરુદ્ધ કેસ દાખલ કરી શકાય છે. જો આ કેસમાં દોષી સાબિત થાય તો છ મહિનાની જેલની જોગવાઈ છે. અહીં એ પણ જાણવું જરૂરી છે કે, જો કોઈ નિર્દોષ હોવા છતાંપણ તેને જેલમાં મોકલવામાં આવ્યો હોય, તો તે કોર્ટ દ્વારા વળતરની માંગ કરી શકે છે.
રાજ્યોના આંકડાઓ પર જો નજર કરીએ તો, રાજસ્થાનમાં 33912, મહારાષ્ટ્રમાં 3023 તો ઉત્તરપ્રદેશમાં 16762 કેસો નકલી હોવાનું ઉજાગર થયું છે. કેન્દ્રશાસિત પ્રદેશોમાં દિલ્હી સૌથી આગળ છે, અહીં કુલ 103029 કેસ નોંધાયા છે, જેમાંથી 902 કેસ નકલી હોવાનું બહાર આવ્યું હતું તો, ચંદીગઢમાં 121, અને દાદરા અને નગર હવેલીમાં 12 કેસ નકલી મળી આવ્યા હતા. દમણ અને દીવના કેન્દ્રશાસિત પ્રદેશોમાં એકપણ કેસ નકલી હોવાનું જણાયું નથી. અહીં નોંધાયેલા તમામ કેસમાં પોલીસે આરોપીઓ સામે ચાર્જશીટ કરી છે.