ગુજરાતમાં વિદ્યાર્થીઓ, મહિલાઓ-વડીલો સહિત અંદાજે ૧.૫ કરોડ જેટલા લોકો યોગ દિવસની ઉજવણીમાં જોડાયા હતા, રાજ્યકક્ષાનો કાર્યક્રમ આજે અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે રખાયો હતો, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ યોગાસન કર્યા હતા.
આજે 6 વાગે રિવરફ્રન્ટ ખાતે યોગ દિનની ઉજવણી વખતે મુખ્યમંત્રીએ યોગનું મહત્વ સમજાવતા સર્વ ભવન્તુ સુખેનાના સંદેશો આપ્યો હતો. રાજ્યના 33 જિલ્લા મથકોમાં યોગના કાર્યક્રમ યોજાયો.
સમગ્ર વિશ્વમાં તારીખ ૨૧મી જુનના દિવસને “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ” તરીકે ઉજવવામાં આવે છે.આઠમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કર્ણાટકના મૈસુર પેલેસ મેદાનમાં સામૂહિક યોગ પ્રદર્શનમાં સામેલ થયા હતા. આ દરમિયાન તેમણે યોગના ફાયદા બતાવ્યા અને લોકોને યોગાભ્યાસ કરવા માટે પ્રેરિત કર્યા હતા.
પીએમ મોદીએ કહ્યું કે આપણે યોગને એક વધારાના કામ તરીકે લેવાનું નથી. આપણે યોગને જાણવાનો છે અને જીવવાનો પણ છે. તેમણે કહ્યું કે જ્યારે આપણે યોગને જીવવા લાગીશું ત્યારે યોગ દિવસ આપણા માટે યોગ કરવાનો પણ પોતાના સ્વાસ્થ્ય, સુખ અને શાંતિનું ઉજવણી મનાવવાનું માધ્યમ બની જશે.
રાજ્યમાં ગુજરાત યોગ બોર્ડ દ્વારા યોગ દિવસની ઉજવણી માટે 75 સ્થળ પસંદ કરાયા હતા. મોઢેરા સૂર્યમંદિર અને અંબાજી મંદિર સહિત 17 ધાર્મિક સ્થળ, દાદા હરિની વાવ અને દાંડી સ્મારક સહિત 18 ઐતિહાસિક સ્થળ, કચ્છના રણ, સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિત 22 પ્રવાસન સ્થળ, માનગઢ હિલ અને સાપુતારા સહિત 17 કુદરતી સૌંદર્યધામનો સમાવેશ થાય છે.
સમગ્ર ગુજરાતમાંથી વિદ્યાર્થીઓ, યુવાનો, યુવતીઓ, વડીલો, મહિલાઓ સહિત અંદાજે 1.5 કરોડ લોકો યોગ દિવસની ઉજવણીમાં સામેલ થયા.
ભાવનગરમાં શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણીએ યોગ દિવસની ઉજવણી કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, યોગને એક દિવસ પૂરતો નહીં, પરંતુ જીવનનો નિયમિત ભાગ બનાવો,
કચ્છના સફેદ રણ ધોરડો ખાતે પણ યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિધાનસભા અધ્યક્ષ ડો. નિમાબેન આચાર્ય ઉપસ્થિત રહ્યાં છે તો વડોદરામાં મહેસૂલમંત્રી રાજેન્દ્ર ત્રિવેદી ઉપસ્થિત રહ્યાં છે.
આઠમા આંતરરાષ્ટ્રીય યોગ દિને SMVS સ્વામિનારાયણ સંસ્થાના વડા સત્યસંકલ્પદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં, SMVSનાં તમામ મંદિરોમાં સંતો અને હરિભક્તોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ વર્ષની થીમ “Yoga for Humanity” ને અનુલક્ષીને સ્વામીએ માનવતાનો સંદેશો આપ્યો છે.
વિશ્વ યોગ દિવસની ઉજવણી સમગ્ર સુરત શહેરમાં વરસતા વરસાદમાં છતાંય ખુબ ઉત્સાહપૂર્વક થઈ હતી.સુરત મહાનગરપાલિકા સહિતની સરકારી સંસ્થાઓ તેમજ સ્વૈચ્છિક સંસ્થાઓ અને સોસાયટીઓમાં પણ વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં થઈ હતી.
મેયર હેમાલી બોઘાવાલાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, યોગ દિવસને લઈને હવે લોકોમાં જાગૃતિ આવી છે. શહેરમાં મોટી સંખ્યામાં યોગના આયોજન પણ કરવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી યોગને આંતરરાષ્ટ્રીય સ્તરે લઈ ગયા બાદ વિશ્વભરમાં આ દિવસની ઉજવણી ઉત્સાહપૂર્વક કરવામાં આવે છે.