દિવાળીની રજાઓ પડતાં જ જે લોકો ધંધા-રોજગાર માટે પોતાના વતનથી દૂર વસવાટ કરે છે એ લોકો પોતાના વતનની વાટ પકડે છે અને જે લોકો પોતાના જ શહેરોમાં વસે છે એ લોકો ફરવા માટે બહાર જવાનું પસંદ કરે છે. છેલ્લા કેટલાક મહિનાઓથી આપણે રોજ સાંભળી રહ્યા છીએ કે મંદિરો દર્શન કરવા માટે ડ્રેસકોડ અને એવી શિસ્તને લગતી બાબતોના કડક અમલની જાહેરાત કરે છે. પરંતુ હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ એક પોસ્ટની ચર્ચા ચોતરફ છે. આ પોસ્ટ કોઈ વ્યક્તિ કે સંસ્થાના નામ પર નથી ફરી રહી મતલબ બેનામી છે પરંતુ તેનો સામાજિક સંદેશો ખુબ સ્પષ્ટ છે. જ્યારે તમે તમારા વતનના ગામમાં આવો ત્યારે કેવી રીતે રહેશો અને કેવી રીતે નહીં એ બાબતે ટુંકા શબ્દોમાં કહેવામાં આવ્યું છે. આ મેસેજથી સોશિયલ મીડિયા પર ભારે ચર્ચાઓ ઉત્પન્ન થઈ છે કે લોકોને આ સામાન્ય વ્યવહારની સમજ પણ આ રીતે આપવી પડે તો આપણું શહેરીજીવન અને શિક્ષણ કઈ દિશામાં વળી રહ્યું છે.
સૌપ્રથમ વાત કરીએ વાયરલ મેસેજની તો, તેમાં ખુબ જ સુઘડ અને સંયમભર્યા શબ્દોમાં કહેવાયું છે – “સુરતથી વતન આવતા ભાઈ બહેનોનું આપના ગામમાં સ્વાગત છે… ગામની ગરીમા જળવાઈ રહે તે માટે… ગામમાં બર્મુડા ચડ્ડા પહેરીને ફરવું નહી… બની શકે તો મા-બાપને ખેતીકામમાં મદદ કરવી… ગામની સાંકડી ગલીઓમાં બેફામ ગાડી હાંકીને ખોટી એન્ટ્રી પાડવી નહીં… કપાસ વેચવો નહીં કે તેનો વહીવટ કરવો નહીં… રોજરોજ વાડીએ પ્રોગ્રામ કરી જ્યાં ત્યાં બાટલીઓ ફેંકવી નહીં.. શાંતિથી રહેવું ” અંતે કહેવાયું છે… તમારી પોતાના જ ગામમાં પોતાની યાત્રા મંગળમય અને સર્વિસ ફ્રી રહે તેવી શુભકામનાઓ…આપનો મિત્ર.
વાત સાચી છે… કોઈ એક પ્રદેશ કે એક ભાગની આ વાત નથી… શહેરને પોતાના કુટુંબના ભરણપોષણ માટે પસંદ કર્યા બાદ જે ગામમાં પોતાનો ઉછેર થયો છે એ ગામમાં બે પૈસા લઈને જતાં લોકોના તેવર બદલાઈ જાય છે. તેઓ ગામ માટે કોઈ મહાન કાર્ય કરીને પરત ફર્યા હોય એ રીતે હાવભાવથી પોતાને અલગ ચિતરવાના વિચિત્ર પ્રયત્ન કરે છે. આ પ્રયત્ન તેમની કેવી છબિ ચિતરે છે તેની તેમને કોઈ સમજ જ નથી. આવી માનસિક્તા શું કામની એ પણ લોકોના મનમાં સવાલ છે. મંદિરમાં ભગવાનના દર્શન કરવા કેવા કપડાં પહેરવા અને કેવા નહીં તેના બોર્ડ લટકાવવા પડે ગામમાં તમે જાઓ તો કેવી રીતે વર્તવું અને કેવી રીતે નહીં એ પણ જો સમજાવવું પડે તો એ શહેરીજીવન એમાં શહેરીજીવન માટે ગૌરવ લેવા જેવું કશું જ નથી એ અત્યંત શરમજનક છે.