રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં સોમવારે મહત્તમ તાપમાન 43.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે આ સિઝનના સરેરાશ તાપમાન કરતાં 3.5 ડિગ્રી વધુ છે. દરમિયાન, ભારતીય હવામાન વિભાગ (IMD) એ એક ચેતવણી જાહેર કરી છે, જે મુજબ, દિલ્હી-NCRથી લઈને પંજાબ અને રાજસ્થાન સુધી કાળઝાળ ગરમીથી રાહત મળવાના કોઈ સંકેત નથી. હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી દિવસોમાં આકરી ગરમીનો કહેર યથાવત રહેશે. લોકોને ઘરની અંદર રહેવાની સલાહ આપવામાં આવી છે, કારણ કે સૂર્યપ્રકાશના લાંબા સમય સુધી સંપર્કમાં રહેવાથી ગરમી સંબંધિત રોગો થઈ શકે છે. દરમિયાન, ચોમાસું રાહત લાવી રહ્યું છે અને 12 જૂને દક્ષિણ ગુજરાતમાં આવી શકે છે, પરંતુ તે મહિનાના અંત સુધીમાં જ દિલ્હી-એનસીઆર પહોંચે તેવી શક્યતા છે.
ઉત્તર ભારતમાં આગામી પાંચ દિવસ ગરમીનો કહેર રહેશે
ઉત્તર-પશ્ચિમ અને પૂર્વ ભારતમાં ભારે ગરમીનો બીજો તબક્કો શરૂ થયો છે અને આગામી પાંચ દિવસ દરમિયાન તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની ધારણા છે. સોમવારે માહિતી આપતાં ભારતીય હવામાન વિભાગ (IMD) એ જણાવ્યું હતું કે આગામી પાંચ દિવસ દરમિયાન ઉત્તર-પશ્ચિમ અને પૂર્વ ભારતમાં તીવ્ર ગરમી પડવાની સંભાવના છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ઝારખંડ, ઓડિશા અને પશ્ચિમ બંગાળના ગંગાના મેદાનોમાં તીવ્ર ગરમીની સંભાવના છે. આ પહેલા એપ્રિલ અને મે મહિનામાં ઘણા દિવસો સુધી તીવ્ર ગરમી અને ગરમીનું મોજું હતું.
ઉત્તર ભારતમાં શા માટે આકરી ગરમી?
નિષ્ણાતો કહે છે કે આ અતિશય ગરમી કુદરતી રીતે બનતી અલ નીનો ઘટના અને વાતાવરણમાં ગ્રીનહાઉસ વાયુઓની ઝડપથી વધી રહેલી સાંદ્રતાનું પરિણામ છે. અલ નીનો દરમિયાન મધ્ય અને પૂર્વીય ઉષ્ણકટિબંધીય પેસિફિક મહાસાગરમાં દરિયાની સપાટી અસામાન્ય રીતે ગરમ થઈ જાય છે. અભ્યાસ દર્શાવે છે કે ઝડપી શહેરીકરણને કારણે શહેરી વિસ્તારોમાં તાપમાનમાં વધારો થયો છે અને બહારના કામદારો અને ઓછી આવક ધરાવતા પરિવારો સૌથી વધુ અસરનો સામનો કરી રહ્યા છે.
દક્ષિણ ગુજરાતમાં 12 જૂને ચોમાસું આવી શકે છે
આગામી 24 કલાકમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસુ ગુજરાતમાં પ્રવેશી શકે છે. ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી આકરી ગરમી પડી રહી છે. હવામાન વિભાગના અધિકારીએ જણાવ્યું કે આગામી 24 કલાકમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પ્રવેશી શકે છે. મંગળવારે દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. વિભાગે જણાવ્યું હતું કે બુધવાર સવાર સુધી દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ તેમજ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં હળવા વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. IMDએ કહ્યું છે કે આ વર્ષે ભારતમાં ચોમાસાના સરેરાશ કરતા વધુ વરસાદની સંભાવના છે.
આજે, મંગળવારે દક્ષિણ અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં છૂટાછવાયા સ્થળો પર હળવો વરસાદ થવાની આગાહી છે. આ ઉપરાંત સાબરકાંઠા,અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં તથા સૌરાષ્ટ્રના જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં વીજળીના ચમકારા સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલા 11 જૂનના વરસાદના મેપ પ્રમાણે, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર, હવેલી, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે વરસાદની આગાહી છે.
છઠ્ઠા અને સાતમાં દિવસે નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલી, અમરેલી, ગીર સોમનાથમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. 16 જૂનના વરસાદના મેપ પ્રમાણે, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ગીર સોમનાથમાં વરસાદની છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે વરસાદની આગાહી છે.