અમદાવાદ શહેરમાં આજે ભગવાન જગન્નાથની 147 મી રથયાત્રા યોજાઇ રહી છે. વર્ષમાં એક દિવસ જ એવો હોય છે જ્યારે ભગવાન જગન્નાથ, બહેન શુભદ્રા, ભાઇ બલરામ ભક્તોને દર્શન આપવા માટે નગરચર્યાએ નીકળે છે. આજે અમદાવાદના જગન્નાથ મંદિરમાં સવારે ચાર કલાકે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે પરિવાર સાથે મંગળા આરતીમાં ભાગ લીધો હતો.
અમિત શાહે ભગવાન જગન્નાથની આરતી ઉતારી
અષાઢી બીજે યોજાતી રથયાત્રાના પગલે વહેલી સવારથી જ જગન્નાથ મંદિરમાં ભક્તોનો જમાવડો થયો હતો. આ વચ્ચે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ વહેલી સવારે 4 કલાકે પરિવાર સાથે જગન્નાથ મંદિર પહોંચી ગયા હતા. અમિત શાહે ભગવાન જગન્નાથની આરતી ઉતારી હતી. આ સમયે મંદિર જય જગન્નાથના નાદથી ગુંજ્યુ હતુ.અમિત શાહે આરતી બાદ સાષ્ટાંગ પ્રણામ કરીને ભગવાન જગન્નાથના આશીર્વાદ લીધા હતા.
લોખંડી સુરક્ષા સાથે નીકળી રથયાત્રા
રથયાત્રાની લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. રથયાત્રાના રૂટ પર સઘન સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી છે. 18,784 સુરક્ષાકર્મીઓની સમગ્ર રૂટ પર ફરજ પર છે. 4,500થી વધુ સુરક્ષાકર્મીઓનો મુવિંગ બંદોબસ્ત ગોઠવાયો છે. રથ, અખાડા અને ભજન મંડળીની સુરક્ષામાં તૈનાત કરાયા છે. ટ્રાફિક નિયમન માટે 1,931 સુરક્ષાકર્મી છે. તો 16 ક્રેઈનની વ્યવસ્થા ગોઠવાઈ છે. 47 સ્થળ પરથી 96 કેમેરાથી નજર રાખવામાં આવી રહી છે.
અમદાવાદના જગન્નાથ મંદિરનો ઈતિહાસ
મંદિરનો ઈતિહાસ 450 વર્ષ જૂનો છે. સારંગજીદાસજીએ મંદિરની સ્થાપના કરી હતી. 450 વર્ષ પહેલા જમાલપુરમાં ગાદીની સ્થાપના થઈ. જગન્નાથ મંદિર પહેલા ત્યાં હનુમાનજી મંદિર હતું. સારંગજીદાસજીને ભગવાને સ્વપ્નમાં દર્શન આપ્યા હતા. સપનામાં જગન્નાથજીની સ્થાપના કરવા આદેશ મળ્યો. પુરીથી નીમકાષ્ઠની બનેલી મૂર્તિઓ અમદાવાદ લવાઈ. જે પછી વિધિવિધાન સાથે મૂર્તિઓની પ્રાણપ્રતિષ્ઠા કરાઈ. મહંત નરસિંહદાસજીએ રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો. 2 જુલાઈ 1879ના રોજ થયો રથયાત્રાનો પ્રારંભ હતો.
મુખ્યમંત્રીએ કર્યા પહિંદ વિધિના દર્શન
રાજ્યના ભૂપેન્દ્ર પટેલે ભગવાન જગન્નાથની પહિંદ વિધિ કરી છે. પહિંદ વિધિ બાદ રથયાત્રાનો શુભારંભ થયો છે. મુખ્યમંત્રીએ સોનાની સાવરણી વડે રથના પ્રસ્થાન પહેલા તેમનો માર્ગ સાફ કરવાની વિધિ કરી હતી. આ દરમિયાન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા.
હર્ષ સંઘવીએ કર્યા નાથના દર્શન
ગુજરાતના ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ આજે સવારે ભગવાનના દર્શન કર્યાં છે. આ પહેલા શનિવારે રથયાત્રા રૂટની સમીક્ષા કરવામાં આવી હતી. આ રૂટ સમીક્ષામાં DGP,શહેર પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યાં હતો,રથયાત્રા રૂટ અને પોલીસ બંદોબસ્તને લઈ સમીક્ષા કરવામાં આવી હતી.ગૃહમંત્રી હર્ષ સંઘવીએ રથયાત્રા રૂટ પર સમીક્ષા કરે તે પહેલા જગન્નાથ મંદિરમાં પૂજા કરી હતી.