ગેરકાયદે રીતે અમેરિકામાં ઘૂસવાના પ્રયાસમાં કેનેડા સરહદ પાસે થીજી જવાથી ડીંગુચાના પટેલ પરિવારના ચાર સભ્યોના મોત થવાનું પ્રકરણ હાલ માનવ તસ્કરીના મોટા આંતરરાષ્ટ્રીય કૌભાંડ તરફ તપાસને દોરી રહ્યું છે. બેએક મહિનાની તપાસ વચ્ચે યુએસ અને કેનેડાની સિક્યુરિટી એજન્સીઓ અને કોન્સ્યુલેટ જનરલ ગાંધીનગરની મુલાકાતે હતા. વિગતોની આપ-લે બાદ હવે કૌભાંડમાં ગુજરાત પોલીસ નજીકના દિવસોમાં કેનેડા અને અમેરિકાની પોલીસને સાથે રાખી મોટા ખુલાસાઓ કરે તેવી શક્યતા ઉચ્ચ સ્તરે વ્યક્ત થઈ છે.
રાજ્ય ગૃહ વિભાગના અધિકારી વર્તુળોમાંથી પ્રાપ્ત જાણકારી અનુસાર, ફેડરલ ઈન્વેસ્ટિગેશન બ્યૂરોના એક સભ્ય સહિત પ્રતિનિધિઓએ ગુજરાતમાં ચાલતાં ગેરકાયદે ઈમિગ્રેશન રેકેટની તપાસ કરતા ગુજરાત પોલીસના અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી. માનવ તસ્કરીના રેકેટનો પર્દાફાશ કરવા સંદર્ભે આ ટીમ તેમજ ગુજરાત પોલીસ વચ્ચે અનેક ચોંકાવતી વિગતોની આપ-લે થઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે. અધિકારીઓનું કહેવું છે કે, વિગતોની આ આપ-લે બાદ વ્યાપક તપાસ થશે અને જે ખુલાસાઓ અત્યાર સુધીની તપાસમાં સામે આવ્યા છે તેના આધારે આગામી દિવસોમાં મોટા ભેદ ઉજાગર થઈ શકે છે.
અધિકારીઓના દાવા મુજબ, યુએસ અને કેનેડા અધિકારીઓ અહીં કેસને લગતી કેટલીક કડીઓ શોધવા આવ્યા છે.રાજ્યના અમુક એજન્ટો કેને઼ડા, અમેરિકાના માફિયા ગિરોહ સાથે સાંઠગાંઠ ધરાવતા હોવાની પણ શંકા શરૂઆતથી સેવાઈ રહી છે. તેઓની મોડ્સ ઓપરેન્ડી અંગે પણ અનેક બાબતો તપાસમાં સામે આવી હોવાનો દાવો પોલીસ કરી રહી છે.
યુએસ કોન્સ્યુલેટ જનરલના એક ઓફિસરે ગૃહ વિભાગને જાણકારી આપી છે કે, ડીંગુચાના પરિવાર સાથે કેનેડા ગયેલા અન્ય છ લોકોને પુછપરછના અંતે ટૂંક સમયમાં ભારત પાછા મોકલી દેવાશે.”
ગૃહ વિભાગના અધિકારીના દાવા મુજબ, “એરલાઈનના અમુક કર્મચારીઓ પણ સ્થાનિક એજન્ટોને માનવ તસ્કરીમાં મદદ કરી રહ્યા હોવાની ગંભીર બાબત સ્થાનિક પોલીસની તપાસમાં બહાર આવી રહી છે. વિદેશથી આવેલા ઈન્વેસ્ટિગેશન ઓફિસરો આ સંદર્ભે એરલાઈનના અધિકારીઓ સાથે પણ મુલાકાત કરી શકે છે.”
“યુએસ અને કેનેડાના અધિકારીઓના ધ્યાનમાં એવું પણ દસ્તાવેજી પૂરાવા સાથે આવ્યું છે કે, નકલી ઓળખ ઊભી કરીને ગુજરાતમાંથી યુએસ અને કેનેડા જઈને વસી રહ્યા છે જેઓને વસવાટની સવલત કરી આપવાના સેટીંગ બંને તરફે છે જે કડી તોડવા તરફ પણ તપાસ ચાલી રહી છે.