સુપ્રીમ કોર્ટના જસ્ટિસ બી આર ગવઈએ એક કેસમાં બે મહિનાનો વિલંબ થવા બદલ માફી માંગીને ન્યાયતંત્રમાં વિલંબિત ચુકાદાના કેસોમાં અનોખું ઉદાહરણ પુરું પાડ્યું છે. ભારતીય ન્યાય પ્રણાલિકાના ઈતિહાસની આ પ્રથમ ઘટના છે કે, કોઈ ન્યાયાધીશે ચુકાદામાં વિલંબ કરવા બદલ માફી માંગી હોય. જસ્ટિસ ગવઈએ ચંદીગઢ સંબંધિત કેસમાં ચુકાદો આપવામાં વિલંબ માટે માફી સાથે પક્ષકારોને વિલંબનું કારણ પણ સમજાવ્યું હતું.
જસ્ટિસ બી.આર. ગવઇ અને એમ.એમ. સુંદરેશની બેન્ચ ચંદીગઢમાં સિંગલ રેસિડેન્શિયલ યુનિટ્સને એપાર્ટમેન્ટમાં રૂપાંતરિત કરવાની મોટા પાયે પ્રથા વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજીના મામલામાં આદેશ જાહેર કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે ‘અમે વિવિધ કાયદાઓની તમામ જોગવાઈઓ અને તેના હેઠળ જાહેર કરાયેલા નિયમોને ધ્યાનમાં લેવાના હતા’. જસ્ટિસ ગવઈએ કહ્યું કે આ કારણે ચુકાદો 3 નવેમ્બર, 2022 માટે અનામત રાખવામાં આવ્યો ત્યારથી બે મહિનાથી વધુ સમય લાગ્યો.
તમને જણાવી દઈએ કે, જસ્ટિસ ભૂષણ રામકૃષ્ણ ગવઈએ 1985માં એડવોકેટ તરીકે કારકીર્દી શરૂ કરી અને બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેંચમાં મુખ્યત્વે કાયદાની પ્રેક્ટિસ કરી. તેમણે સરકારી વકીલ તરીકે અને પછી મહારાષ્ટ્ર સરકાર માટે સરકારી વકીલ તરીકે સેવા આપી હતી. જો વરિષ્ઠતાનું પાલન કરવામાં આવે તો, જસ્ટિસ ગવઈ 14 મે થી 24 નવેમ્બર, 2025 સુધી ભારતના મુખ્ય ન્યાયાધીશ તરીકે સેવા આપશે. મે 2019માં સર્વોચ્ચ અદાલતમાં તેમની બઢતીથી, જસ્ટિસ ગવઈ (મે 2022 સુધી) 68 ચુકાદાઓ આપી ચૂકયા છે. આ નિર્ણયોમાં મુખ્યત્વે ફોજદારી બાબતો, મિલકત, વીજળી, કુટુંબ અને મોટર વાહન કાયદા સાથે સંબંધિત છે.