વિધાનસભા ચૂંટણી-૨૦૨૨ અંતર્ગત લોકો વધુમાં વધુ મતદાન કરીને લોકશાહીના પર્વમાં સહભાગી થાય તેવી જાગૃતિ ફેલાવવા માહિતી અને પ્રસારણ મંત્રાલયના કેન્દ્રીય સંચાર બ્યુરો-પાલનપુર અને રાજ્યના મુખ્ય ચુંટણી અધિકારી દ્વારા ‘અવસર લોકશાહીનો’ અભિયાન અંતર્ગત વીર નર્મદ યુનિવર્સિટીના ગ્રંથાલય ખાતે આયોજિત ત્રિ-દિવસીય મલ્ટીમિડીયા ફોટો પ્રદર્શનને જિલ્લા ચુંટણી અધિકારી ડો.આયુષ ઓકના હસ્તે ખૂલ્લું મૂકવામાં આવ્યું છે. ત્રણ દિવસ દરમિયાન સિગ્નેચર કેમ્પેઈન,સેલ્ફી પોઇન્ટ, રેલી, મ્યુઝિકલ બેન્ડ શો, સંવાદ, શેરી નાટક, શપથ, વિભિન્ન સ્પર્ધાઓ સાથે બહુવિધ કાર્યક્રમો યોજાશે
આ પ્રસંગે જિલ્લા કલેકટર આયુષ ઓકે જણાવ્યું કે, ચૂંટણી એ લોકશાહીનું મહાપર્વ છે,ત્યારે તેમાં મહત્તમ મતદાન થાય અને ખાસ કરીને યુવા મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરીને લોકશાહીને મજબૂત બનાવવા સહભાગી થાય તે માટે જાગૃતિ ફેલાવતા આ પ્રદર્શનનું આયોજન સરાહનીય છે.
આ મતદાતા જાગૃતિ અભિયાન અંતર્ગત કેન્દ્રીય સંચાર બ્યુરો પાલનપુર દ્વારા નર્મદ યુનિવર્સિટીના સહયોગથી વિવિધ કાર્યક્રમો યોજાશે, જેમાં તા.૨૪ થી ૨૬ નવેમ્બર સુધી મતદાન જાગૃતિ અભિયાનના ફોટો પ્રદર્શનની સાથે જ અગ્રીમ પ્રચારના ભાગરૂપે યુનિવર્સિટીના વિવિધ વિભાગોમાં યોજાયેલી સ્પર્ધાઓના વિજેતાઓને કેન્દ્રીય સંચાર બ્યુરો-પાલનપુર દ્વારા ઇનામ આપી પુરસ્કૃત કરવામાં આવ્યા હતા.
આ ઉપરાંત મતદાર જાગૃતિ રેલી, નાટ્ય પ્રસ્તુતિ, મતદાર જાગૃતિનો સંદેશ આપતી નોન વુવન બેગનું વિતરણ, મતદાન તેમજ ચૂંટણી વિશેની માહિતી આપતી સામગ્રીનું વિતરણ કરાયું હતું. ઉપસ્થિત તમામ નાગરિકોએ આ પ્રસંગે મતદાન પ્રતિજ્ઞા પણ લીધી.
વીર નર્મદ યુનિવર્સિટીના કુલપતિ કિશોરસિંહ ચાવડા, રજિસ્ટ્રાર આર.સી.ગઢવી, ચોર્યાસી મામલતદાર જે.ડી. પટેલ, માહિતી અને પ્રસારણ મંત્રાલય, ભારત સરકારના પ્રચાર અધિકારી જે.ડી. ચૌધરી સહિત નર્મદ યુનિવર્સિટીના વિવિધ વિદ્યાશાખાના વિદ્યાર્થીઓ આ પ્રસંગે ઉપસ્થિત હતા.