સૂર્યપુત્રી અને ન્યાય દેવતા શનિદેવની બહેન તાપી નદીના મહિમાથી તો ભાગ્યે જ કોઈ અજાણ હશે. સવાલ જો આ નદીના વર્તમાનનો આવે તો ચોક્કસ જ શક થાય છે કે ખરેખર આ મહિમાથી કોઈ જાણીતું હશે. એવું એટલા માટે કહી શકાય કે, તાપી નદીની હાલત દિવસે ને દિવસે બદતર થઈ રહી છે. જો, કુદરત તેનો રસ્તો ન શોધતું હોત તો શાસકો અને વહીવટી પાંખની પાછલા કેટલાક વર્ષોની ધરાર નિષ્ક્રિયતાના પ્રતાપે તાપી ક્યાંય ખોવાઈ ચૂકી હોતે એવું કહેવામાં સહેજે અતિશયોક્તિ નથી લાગતી.
તાપી એ સુરત શહેરના નાગરિકો માટે પીવાના પાણીનો મુખ્ય સ્ત્રોત છે. તાપી નદીને કોઈપણ વધુ અધોગતિથી બચાવવા અને તે રીતે નદીના પાણીની ગુણવત્તામાં સુધારો અને નદીના પુનઃસ્થાપનના ઇચ્છિત પરિણામો મેળવવા માટે સંબંધિત ગંદા પાણી વ્યવસ્થાપન એ શાસકો અને વહિવટી તંત્રની મુખ્ય પ્રવૃત્તિ છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બજેટમાં આ માટે સારી એવી રકમ ફાળવીને એ બાબતે ગંભીરતા દાખવે છે પરંતુ એ પ્રોજેક્ટ્સ પર કોઈની જ કમનસીબે નિગરાની નથી અને પૈસા વેડાફાઈ રહ્યા છે અને સાથોસાથ તાપી નદીની હાલત વધુને વધુ ખરાબ થતી જાય છે. આશા રાખીએ આ ચોમાસામાં કુદરત જ તાપીના વહેણથી કોઈ નવો માર્ગ સુરતીઓ માટે આશીર્વાદ બનીને શોધી શકે.
તાપી એક બારમાસી નદી છે જે સુરત શહેરની ઉપરથી પસાર થાય છે અને શહેરની આશરે 65 લાખથી વધુની વસ્તીને સેવા આપે છે. તે શહેરની જીવનરેખા છે. નદીના બંને કાંઠે તોતિંગ સમસ્યાઓને ઉકેલવાની જરૂર છે. નદીના શુદ્ધિકરણના પ્રોજેક્ટને સાકાર કરવા યુદ્ધના ધોરણે કાર્યરત રહી સમસ્યાઓના ઉકેલ અને વિકાસના અગાઉના પ્રયત્નોને એકીકૃત કરવાની જરૂર છે. તાપી માટે આ પ્રયાસો અગાઉના શાસકોની સલાહથી અને સ્થાનિક કક્ષાએ ગંભીરતાપૂર્વક લઈને જ ઉકેલવા પડશે. હોતા હૈ ચલતા હૈની નીતિથી તો અત્યાર સુધી ભારે નુકશાન પહોંચી જ ચૂક્યું છે.
એવું નથી કે પાલિકા પાસે તેના સજ્જડ આયોજન નથી કે ખર્ચની દ્રષ્ટિએ રાજ્ય અને કેન્દ્ર સરકાર તરફથી કોઈ મદદ નથી મળી રહી. બસ એ દિશામાં સતત મથીને શહેર હિતમાં તેને ગતિ આપવામાં ભારે ઢીલાશ વર્તવામાં આવી રહી છે. તાપી નદીની ખાડીઓ તેમજ સ્ટ્રોમ આઉટલેટ્સ મારફતે આવતું મલિન જળ અસહ્ય જળ પ્રદૂષણ ફેલાવી રહ્યું છે. ખાડી ઉપરાંત ઔદ્યોગિક એકમોના જે ગેરકાયદે આઉટલેટથી નદીમાં જ સીધા છોડાતાં ગટરના પાણી અટકાવી શકાયા નથી એ નડી રહ્યું છે. આ અંગે સંખ્યાબંધ વખત નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં પણ ફરિયાદો થઈ છે પરંતુ કમનસીબી છે કે, કોઈને એ બાબતની પરવાહ નથી જણાઈ રહી.
ગત તમામ વર્ષોની વાત ભૂલી જઈને જો 2023-24ના આયોજન પર નજર કરીએ તો પણ એ સમજવું મુશ્કેલ નથી કે આ વાતોને ખરેખર કેટલી ગંભીરતાથી લેવાઈ રહી છે. તાપીના શુદ્ધિકરણ માટે આયોજનોને સુચિબદ્ધ કરીને પાલિકા 977 કરોડનો ખર્ચ કરવાનું નક્કી થયું હતું, એ નિર્ણય લેવાયાને ખાસ્સો સમય થયો અને ચોમાસું સામે ઊભું છે પરંતુ તેમાં કામગીરી બાબતે ખુદ શાસકો પણ નારાજગી વ્યક્ત કરી રહ્યા છે એ હદે ઢીલાશ છે. હકીકતમાં પાલિકાના ઉચ્ચ અધિકારીઓને જાણ હોવા છતાં કડક પગલાંને અભાવે તાપીના પાણીની ગુણવત્તા કથળી રહી છે.
તાપી નદીને ઝડપથી શુદ્ધ કરવાની કવાયત વર્ષોથી શાસકોનો ધ્યેય છે. સરકાર તરફથી ગ્રાન્ટ પણ મળી રહી છે પરંતુ તેમાં વહીવટીતંત્રની ઈચ્છાશક્તિનો અભાવ હોવાથી વિધ્નો સામે આવી રહ્યા છે. ઉદ્યોગોને તેમના ફાયદાની વધારે પડી છે શહેરને પહોંચતા નુકશાનની નહીં. તાપી શુદ્ધિકરણ થઈ નથી રહ્યું અને પૈસા અને ધાર્મિક લાગણીઓ બંનેને જે નુકશાન પહોંચી રહ્યું છે તેની કોઈ ચિંતા નથી થઈ રહી. તાપીના ભવ્ય ધાર્મિક મહાત્મ્યને ધ્યાનમાં રાખી એક ઓવારો પણ શહેરને આપી શકાયો નથી જ્યાં પવિત્ર દિવસોમાં શ્રદ્ધાળુંઓ સ્નાન-દાન અને પુણ્ય કમાઈ શકે. કેટલાક ઓવારા જેનું મહાત્મ્ય અવર્ણનીય છે ત્યાંના રહીશોએ પણ વખતોવખત લડત કરી જોઈ પરંતુ તેમાંય કોઈને ન્યાય આપવાનું ન સુઝ્યું એટલે ભગવાન કરે તે ખરું કહી મજબૂર લોકોએ હથિયાર હેઠાં મૂકી દીધા.
તમને જણાવી દઈએ કે 2023-24ના બજેટમાં પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની રાજ્ય સરકારે જળસંપત્તિ વિભાગ માટે 9705 કરોડની જોગવાઈ કરી જેમાં દક્ષિણ ગુજરતમાં નદીઓ ઉપર ચેકડેમ, બેરેજો બનાવવા 103 કરોડ ઉપરાંત તાપી જળ શુદ્ધીકરણ માટે 250 કરોડની સુરત શહેરને ફાળવણી કરી પરંતુ શહેરને હજી સુધી તેમાં કોઈ સકારાત્મક પરિણામ નથી મળી રહ્યું. પ્રદુષણના કારણે શહેરની જીવાદોરી તેનું જોમ ગુમાવી રહી છે. ડ્રેનેજ અને કેમિકલ વેસ્ટ નદીના પાણીને સતત ઝેરી બનાવી રહ્યું છે. વર્ષોથી તાપી શુદ્ધિકરણના નામે અનેક પ્રોજેક્ટ તેમજ કામગીરીના દાવાઓ વચ્ચે હાલત એ છે કે તાપી પોતે લાઈફ સપોર્ટ સિસ્ટમ પર આવી ગઈ છે. પાણીમાં ઓક્સિજનનું પ્રમાણ વધે તે માટે મ્યુનિસિપલ વહીવટીતંત્રે સમયાંતરે વાયુમિશ્રણ સિસ્ટમ લગાવવી પડે છે.