ગુજરાત હોય બંગાળ હોય કે તેલંગણા, નવરાત્રી એટલે માતાની આરાધનાનું પર્વ એ ભલે જુદાજુદા પ્રદેશોમાં અલગ અલગ અલગ રીતિરિવાજોથી ઉજાવાતું હોય. મિની ભારત ટેક્સટાઈલ અને ડાયમંડ જેવા ઉદ્યોગને કારણે વિશ્વભરમાં પોતાની એક વિશેષ છબિ ધરાવતાં એવા મિની ઈન્ડિયા કહેવાતા સુરતમાં આ તમામ પ્રાંતની ઝલક આપણને જોવા મળે છે એ આપણું સદભાગ્ય જ કહી શકાય.
ગુજરાતનું યુવાધન જ્યાં એકતરફ નવલા નોરતાઓમાં ગરબે ઝુમવા થનગની રહ્યું છે ત્યાં આપણે વાત કરીશુ સુરતમાં ખુબ વિશાળ સંખ્યામાં હળીમળીને પેઢીઓથી વસતાં તેલુગુ સમાજની નવરાત્રીની. આ તહેવારને તેઓ બતુકમ્મા તરીકે ઓળખે છે અને તેનું પોતાનું પણ એક અલગ ધાર્મિક સાંસ્કૃતિક મહત્વ છે. તેઓની પૂજા-અર્ચના અને ગરબે રમવાની પદ્ધતિઓ પણ રસપ્રદ અને એટલી જ સુંદર હોય છે.
તેલુગુ સમાજ તેમના આ પ્રિય તહેવારની તૈયારીઓમાં ઉત્સાહપૂર્વક વ્યસ્ત છે ત્યારે આ અંગે માહિતી આપતાં સમાજના આગેવાન રાપોલુ બુચ્ચીરામોલુ માસ્તરનું કહેવું છે કે, બતુકમ્મા પંડુગા તહેવારની ઉજવણી પાછળ બે અતિ પૌરાણિક દંતકથાઓ પ્રચલિત છે. સૈકાઓ પૂર્વે ચોલુડુ કરીને એક મહાન રાજા હતા. ઉપવાસ અને ભજન-કિર્તન તેમજ યજ્ઞ જેવી તમામ ધાર્મિક પ્રવૃત્તિઓ તેમના શાસનકાળમાં થતી અને પ્રજાજીવન સુખાકારી અનુભવતું હતું. દેવી-દેવતાઓના આશીર્વાદથી તેમને ત્યાં પુત્રીરત્નનો જન્મ થયો. ખુબ લાડકોડથી ઉછરતી આ પુત્રીના ભવિષ્યની ચિંતા કરતાં તેના પર ક્યારેય કોઈ આંચ ન આવે એ માટે દેવીની ખુબશ્રદ્ધાપૂર્વક આરાધના કરી. દેવીએ તેમની પુત્રીને આશીર્વાદ આપતાં એક એવો આગ્રહ રાજા સમક્ષ વ્યક્ત કર્યો કે તેઓ આ પુત્રીનું નામ બતુકમ્મા રાખે.
તમને જણાવી દઈએ કે તેલુગુ ભાષામાં બતુકમ્મા નામનો અર્થ થાય છે પ્રાણ એટલે કે જીવ આપનારી માતા. આ શબ્દનો એક વિશેષાર્થ એ પણ થાય છે કે એ દુઃખડાઓ હરતી માતા છે.
બીજી એક પૌરાણિક કથા એવી છે કે, 19મી સદીના અંતમાં વિવિધ પ્રાંતમાં અનાવૃષ્ટિ, વિવિધ રોગ, વ્યાધીથી અસંખ્ય લોકો ટપોટપ મૃત્યું પામી રહ્યા હતા. આ પ્રકોપથી બચવા લોકોએ જે દેવીની ભક્તિ કરી એ દેવી છે બતુકમ્મા.
બતુકમ્મા ઉત્સવમાં બે તબક્કામાં ગરબામય ભક્તિ કરવામાં આવે છે. પ્રથમ નોરતાંથી લઈને આઠમ સુધી કુંવારિકાઓ ગરબામાં ભાગ લે છે. જેને બોડમ્મા કહેવામાં આવે છે. ત્યારબાદ બીજા તબક્કામાં આઠમા દિવસે કુંવારિકાઓ સાથે મહિલાઓ પણ ગરબા રમવા સાથે માતાજીની આરાધનામાં જોડાય છે. આ ગરબા એકદમ શાંત અને પરંપરાગત રીતે થતાં અને અત્યંત ભાવ સાથે થાય છે.
તહેવારની વિશેષતા પર વધુ નજર કરીએ તો નવરાત્રમાં સુંદર રીતે ફૂલોની સજાવટ સાથે માતાજીના ઘટ પણ અલગ તૈયાર થતાં આકર્ષક હોય છે અને તેનું વિશેષ ધ્યાન રાખવામાં આવે છે.