યુક્રેનના યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા ભારતના અન્ય રાજ્યો સહિત ગુજરાતના અનેક વિદ્યાર્થીઓને એર ઇન્ડિયાની ખાસ ફ્લાઈટ દ્વારા હેમખેમ વતન પરત લાવવામાં આવ્યાં છે. આ પૈકી સુરતના છ વિદ્યાર્થીઓ ખાસ વાહન મારફતે પરત ફર્યા છે. સંતાનો સાથે સુખદ પુન:મિલન થતાં વાલીઓએ રાહતનો શ્વાસ લીધો છે, ત્યારે સ્ટેમ્પ ડ્યુટી વિભાગના નાયબ ક્લેક્ટર આર.બી.ભોગાયતા તેમજ અડાજણના મમલતદાર કલ્પના.આર.પટેલ, નાયબ મમલતદાર કલ્પના જગતાપ તથા સ્ટેમ્પ ડ્યુટી કલાર્ક નયન.વી વાઘેલાએ વિદ્યાર્થીઓના ઘરે જઇ શુભેચ્છા મુલાકાત લઇ વિપરીત સંજોગોમાં તેમની યુક્રેનથી ભારતની યાત્રા વિશે જાણી તેમને અને પરિવારજનોને સધિયારો આપ્યો હતો.
read more: રાજ્યની સબ રજિસ્ટ્રાર કચેરીના સર્વર ડાઉન : કામગીરી ઠપ, લોકો અટવાયાં, તંત્ર મૌન
નાયબ ક્લેક્ટર આર.બી.ભોગાયતાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત સરકારના વિદેશ મંત્રાલય અને ઉડ્ડયન મંત્રાલયના સતત સંપર્કમાં રહી યુક્રેનથી ભારતના નાગરિકો-વિદ્યાર્થીઓને વતન પરત લાવવાનું કપરૂ કાર્ય ચાલી રહ્યું છે,ત્યારે સુરતની પાંચ દીકરીઓ અને એક દીકરા સહિત છ વિદ્યાર્થીઓ ગત રવિવારે પરત આવ્યાં છે. ઉપરાંત સરકાર તરફથી અન્ય વિદ્યાર્થીઓને પણ ઝડપભેર સહીસલામત ભારત પરત લાવવાની તજવીજ હાથ ધરાઈ રહી છે. તેમણે યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓના વાલીઓને સરકારના રેસ્ક્યુ અભિયાન પર વિશ્વાસ રાખવા અનુરોધ કર્યો હતો.
અત્યંત તણાવગ્રસ્ત પરિસ્થિતિમાંથી મને ઉગારી સુરક્ષિત વતન લાવવા બદલ સરકારનો અંત:કરણપૂર્વક ધન્યવાદ: સાહિલ ધોળા
બુકોવિન્યન સ્ટેટ મેડિકલ યુનિવર્સિટી (યુક્રેન)માં MBBSના વિદ્યાર્થી અને સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલી અનમોલ હાઈટ્સ રેસિડેન્સીમાં રહેતા સાહિલ ધોળા સ્વગૃહે સુરક્ષિત આવી પહોચતા પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો.
સાહિલે પોતાના અનુભવ વર્ણવતાં કહ્યું કે, યુક્રેન અને રશિયા વચ્ચે તણાવ વધવાના સાથે જ તેની અસર વિવિધ શહેરોમાં દેખાવા લાગી હતી. સદ્દનસીબે અમારા વિસ્તારમાં તે સમયે પરિસ્થિતિ સામાન્ય હતી, પરંતુ સમયસુચકતા દર્શાવી લીધેલા પગલા અમારા માટે ઉપયોગી સાબિત થયા હતા. તે અંતર્ગત ઇન્ડિયન એમ્બેસી દ્વારા બસની સુવિધાથી અમે રોમાનિયા સરહદ સુધી પહોંચ્યા, ત્યાંથી સરકારી બસે અમને ઓટોપેની એરપોર્ટ પહોંચાડ્યા હતાં, અને એર ઇન્ડિયાની ખાસ ફ્લાઈટથી મુંબઈ આવ્યા હતા. યુક્રેનની ભારતીય એમ્બેસી અને કેન્દ્ર સરકારના સહયોગથી અમે ભારત પરત આવી શક્યા જેથી કેન્દ્ર અને રાજ્ય સરકારના અમે અંત:કરણપૂર્વક ઋણી રહીશું.