પવિત્ર તીર્થનગરી પાલીતાણા ખાતે શત્રુંજયની ફાગણસુદ તેરસની છ ગાઉની મહાયાત્રામાં જૈન-જૈનેતર ભાવિકજનો મોટી સંખ્યામાં જોડાયા હતા. જૈનોમાં અતિ મહત્વની ફાગણ સુદ તેરસની મહાયાત્રા અને આદપુર ખાતે ભરાયેલ ઢેબરીયા મેળામાં પોણા લાખથી વધુનો માનવ મહેરામણ ઊમટી પડ્યો હતો કોરોના કાળને લીધે બે વર્ષ બાદ અતિઉત્સાહ અને શ્રદ્ધાપૂર્વક શત્રુંજય તીર્થની છ ગાઉની મહાયાત્રા કરી છે.
ગોહિલવાડના પાલિતાણા નગરીના શત્રુંજય પર્વત પર બિરાજમાન આદિનાથદાદાના દર્શન માટે માત્ર ગુજરાત નહિ દેશ અને દુનિયામાંથી જૈન જૈનેતર ઉપાસકો, શ્રદ્ધાળુ અને પ્રવાસીઓ આવે છે. અગાઉ શ્રી શત્રુંજય ગિરિરાજની છ’ગાઉ પ્રદક્ષિણા યાત્રા પરોઢિયે પાંચ વાગ્યે શરૂ થતી હતી. વર્તમાન સમયમાં યાત્રિકોનો અભૂતપૂર્વ ધસારો રહેતો હોવાથી આ યાત્રા રાત્રિના ત્રણ વાગ્યા આસપાસ શરૂ થાય છે. એ મુજબ આજે મળસ્કે ત્રણ કલાકે યાત્રીકો જપ તળેટીએ આવી જૈનમ જયતિ શાસન અને આદિશ્વર દાદાની જય હોના નાદ સાથે મહાયાત્રાનો શુભારંભ કર્યો હતો. આ પ્રસંગે મોટાભાગની ધર્મશાળાઓ હાઉસફૂલ થઇ ગઈ હતી. ગુજરાત તેમજ અન્ય પ્રાંતોમાંથી ઉપરાંત સુરત, નવસારી જિલ્લામાંથી યાત્રીકો મોટી સંખ્યામાં આવ્યા હતા.
જેમના નામથી આ મેળો યોજાય છે એ આનંદજી કલ્યાણજી પેઢીના મેનેજર મનુભાઈ શાહે આ પ્રસંગે જણાવ્યું કે યાત્રિકોની સુવિધા માટે પેઢી તરફથી પાણીના પરબો, ઠંડુ તેમજ ઉકાળેલું પાણી, સિક્યુરીટી અને મેડિકલ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. સિધ્ધવડ ખાતે 98 પાલ ઉભા કરવામાં આવ્યા હતા. આ પાલમાં જુદી જુદી પ્રસાદ સ્વરૂપ વાનગીઓની ભક્તિ કરવામાં આવી હતી, જેમાં ઢેબરીયા મેળામાં દહીં, ઢેબરા, છાશ, ચા, ફ્રૂટ, ગુંદી,સેવ, સાકરનું પાણી, ઉકાળો, સુકો મેવો જેવી વિવિધ વસ્તુઓ યાત્રીકોને પીરસવામાં આવી હતી. યાત્રીકો છ ગાઉની યાત્રા પૂર્ણ કરી આદપુર ખાતે પધારતાં અહીં દરેક યાત્રાળુઓનું સંઘ દ્વારા પગ ધોઇ ચાંદલો કરી સંઘ પુજન કરવામાં આવ્યું હતુ. છ ગાઉની મહાયાત્રા અને ઢેબરીયા મેળા પ્રસંગે આનંદજી કલ્યાણજી પેઢીના ટ્રસ્ટીઓ વિશેષ હાજર રહ્યા હતાં.
આ પ્રસંગે તીર્થયાત્રાના મહત્વ અંગે જૈન શ્રેષ્ઠીઓએ ગુજરાત બ્રેકીંગ સાથે વિગતો આપતાં જણાવ્યું હતું કે, ફાગણ સુદ 13ની છ ગાઉની મહાયાત્રાનું જૈન સમાજમાં ખુબ જ મહત્વ છે. આ પવિત્ર દિવસે ભાંડવા ડુંગર ઉપર શામ્બ અને પ્રદ્યુમ્નકુમાર સહ સાડા આઠ કરોડ મુનિઓ એક સાથે મોક્ષ પદને પામ્યા છે તેથી આ પવિત્ર દિવસે આ પાવન ભુમિ પર આવી ધર્મકરણી કરવી અતિ મહત્વની છે. ‘શત્રુંજય માહાત્મ્ય’ ગ્રંથમાં કહેવાયું છે કે આ વિષમ કાળમાં જીવોને સંસાર સમુદ્ર તરવા શ્રી શત્રુંજય ગિરિરાજ વિશિષ્ટ સાધન છે. ભગવાન ઋષભદેવે અહીં ૯૯ પૂર્વ પર્યંત વિચરી ધર્મનો જયઘોષ ગજવ્યો હતો. આ ગિરિરાજ ભારતનું અલંકાર છે. તેની પાછળ ચોકીદાર સમાન કદમ્બગિરિની ગિરમાળ છે. એના વામ ભાગે ભાડવો ડુંગર છે, જમણા હાથે શત્રુંજય સરિતા અને તાલધ્વજ ગિરિ છે. અહીંનું વાતાવરણ અતિ પવિત્ર છે.
‘શત્રુંજય લઘુકલ્પ’માં કહેવાયું છે કે – અષ્ટા પદ, સમ્મેતશિખર, પાવાપુરી, ચંપાપુરી, ગિરનાર તીર્થને વંદન કરતા જે પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે તે કરતાં સો ગણું ફળ એકલા શત્રુંજયગિરિને વંદન કરતા પ્રાપ્ત થાય છે. ‘શત્રુંજય કલ્પવૃત્તિ’માં જણાવાયું છે કે આ તીર્થના ધ્યાનથી એક હજાર પલ્યોપમ, અભિગ્રહથી એક લાખ પલ્યોપમ અને આ તીર્થની યાત્રા કરતા એક સાગરોપમ પ્રમાણ જેટલા દુષ્કર્મોનો ક્ષય થાય છે.
યાત્રીકોની સેવા માટે ભાવનગર પ્રાર્થના યુવકમંડળના સ્વયંસેવકો, પાલીતાણા જૈન યુવક મંડળના સ્વયંસેવકોએ ખડેપગે હાજર રહી અથાગ સેવાશ્રમ કરી યાત્રીકોના આશીર્વાદ મેળવ્યા છે. ઉલ્લાસભેર વાતાવરણમાં છ ગાઉની મહાયાત્રા અને ઢેબરીયો મેળોનો પ્રસંગ શાંતિપૂર્ણ વાતાવરણમાં સુપેરે સંપન્ન થતાં આનંદજી કલ્યાણજી પેઢીના તમામ ટ્રસ્ટીગણે સૌનો વિનમ્રભાવે આભાર વ્યક્ત કર્યો હતો.