ગીરનારના જગ વિખ્યાત ભવનાથ મંદિરના 80 ફૂટ ઊંચા શિખર પર સવારે 10 વાગ્યે ધ્વજારોહણ સાથે હર હર મહાદેવ, જય ગિરનારીના ગગનભેદી નાદ વચ્ચે ભવનાથના શિવરાત્રી મેળાનો પ્રારંભ થયો છે. મંત્રોચ્ચાર, વિધિ વિધાન સાથે સંતો – મહંતોની મેદનીમાં બે વર્ષ બાદ ભવનાથના શિવરાત્રી મેળાનો પ્રારંભ થતાં લોકો ભાવવિભોર બની ગયા હતા.
ભક્તિમય હર્ષોલ્લાસ સાથે શુક્રવારથી મહા શિવરાત્રીના 5 દિવસીય મેળાનો પ્રારંભ થયો છે. .મહાશિવરાત્રીની 25 ફેબ્રુઆરીથી શરૂ થયેલી ઉજવણી 1લી માર્ચ સુધી ચાલશે. ભવનાથ મહાદેવના મંદિરના શિખર ઉપર વિવિધ અખાડા, આશ્રમોના સંતો- મહંતો, અધિકારી, પદાધિકારીઓની ઉપસ્થિતીમાં ભવનાથ મહાદેવને ધ્વજારોહણ સાથે આ મેળાનો અતિ ભવ્ય પ્રારંભ થઈ ચૂક્યો છે. પરંપરા અનુસાર અખાડા,આશ્રમોમાં પણ ધ્વજારોહણ થયા હતા.
read more: રશિયા-યુક્રેન યુદ્ધમાં ‘જાદુગર’ કહેવાતો બોબી દેઓલ, સોશિયલ મીડિયા પર મીમ્સ વોર
કોરોનાના કારણે છેલ્લા 2 વર્ષથી લોકો-ભાવિકો માટે મેળો યોજાયો ન હતો. હાલ કોરોનાનો કહેર નબળો પડતાં સરકારે કોરોનાની ગાઇડ લાઇન સાથે મેળાની છૂટ આપી છે. ભાવિકોની સુરક્ષા માટે જૂનાગઢ પોલીસ તંત્ર દ્વારા જડબેસલાક વ્યવસ્થા ગોઠવાઇ છે.
તીર્થ ભૂમિ ગિરનારમાં સવારે 10 વાગ્યે ધ્વજારોહણ સાથે જ અહીં આવેલા અનેક તપસ્વીઓ, જોગીઓના ધુણા પ્રજવલિત થયા છે. તપસ્વીઓ શિવ તપશ્ચર્યા અને આરાધના, ઉપાસનામાં લીન થયા છે. ગિરનાર તીર્થ ક્ષેત્રે દર વર્ષ કરતાં આ વર્ષના મેળામાં વધુ સંખ્યામાં દેશભરના મહામંડલેશ્વર, થાણાધિપતી, સહિતના સાધુ-સંતો-મહંતો મોટી સંખ્યામાં ભવનાથ ખાતે પધાર્યા છે. હજી સંખ્યા વધી રહી છે ત્યારે આ વર્ષના શિવરાત્રી મેળામાં લગભગ 15 લાખથી વધુ યાત્રિકો, ભાવિકો આ મેળામાં આવશે તેવું પણ અનુમાન છે.
ભક્તિ સાથે ભોજન અને ભકિતના ત્રિવેણી સંગમ સમા ભવનાથનો શિવરાત્રિ મેળો માણવા આવતા ભાવિકો માટે ભવનાથ ક્ષેત્રમાં આવેલા મોટાભાગના સાધુ-સંતોના આશ્રમો તથા મંદિરોમાં અન્નક્ષેત્ર શરૂ કરવામાં આવ્યાા છે. લગભગ 250 જેટલા અન્નક્ષેત્ર ચાલુ કરી દેવામાં આવ્યા છે.
ભવનાથ ક્ષેત્રના તમામ મંદિરો તથા આશ્રમમાં સતત પાંચ દિવસ સુધી સંતવાણી, ભજન, લોક સાહિત્ય, ગીત, ગરબાના કાર્યક્રમો ગુજરાતના છેવાડાના ગામડાના નાના કલાકારથી લઈને મોટા ગજાના કલાકારો દ્વારા યોજાશે. તે સાથે વહીવટી તંત્ર દ્વારા પણ 3 દિવસ માટે સાંસ્કૃતિક કાર્યક્રમોના આયોજન કરવામાં આવ્યા છે જેનો મેળામાં પધારનાર કલા રસિકો મનભરીને આનંદ માણસે.
મેળામાં આવતા લોકોની સલામતી અને સુરક્ષા માટે મોટી સંખ્યામાં જૂનાગઢ સહિત ગુજરાત પોલીસના અધિકારીઓ, મહિલા પોલીસ, પોલીસકર્મીઓ, હોમગાર્ડ, સહિતના સુરક્ષાકર્મીઓને રાઉન્ડ ધી ક્લોક ફરજ પર મુકવામાં આવ્યા છે.
આજથી ગીરનારી મહારાજનું સંતોની ઉપસ્થિતિમાં ઘ્વજારોહણ બાદ દરેક સંતોની છાવણીમાં હરિહરની હાકલો પડશે. કબીર, રવિભાણ, ખીમ ત્રિકમ, ગંગાસતીના ભજનો ગાનાર સુપ્રસિઘ્ધ ભજનીક લક્ષમણ બારોટ, કરશન સાગઠીયા, રામદાસ ગોંડલીયા, વિષ્ણુપ્રસાદ દવે, બીરજુ બારોટના મધુર સ્વરે ભજનોની રંગત જામશે. ભવનાથ તળેટીમાં પૂ. ભારથીબાપુ, પૂ.લાલબાપુ, પૂ. શેરનાથ બાપુ, પૂ. દુલાભગત આ બધાના ઉતારામાં આવો મારા વાલા હરિહર કરી લોની હાંકલુ પડશે. પૂ. લાલગેબી આશ્રમમાં પણ ગુરુ મહિમાની આદ્યાત્મિક જ્ઞાનસભર ચર્ચાઓ, પરાપારની વાતો, સત્સંગ સવારેથી બપોર સુધી સાંભળી શકાશે.