પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે 5 સપ્ટેમ્બરથી 10 સપ્ટેમ્બર સુધી ભાદરવી પુનમ મહામેળો યોજાશે. આ મેળો ભારતનો સૌથી મોટો પદયાત્રી મેળો તરીકે ઓળખાય છે. કોવિડ-19ના 3 વર્ષ બાદ આ વખતે મોકળાશથી મહામેળાનું આયોજન થઈ રહ્યું છે. ભક્તોના ધાર્મિક ઉત્સાહને ધ્યાનમાં રાખી મોટા પ્રમાણમાં આયોજન કરવામાં આવ્યુ છે. ભક્તોની અભૂતપૂર્વ ભીડ થવાની શક્યતાઓને ધ્યાનમાં રાખીને આ પાંચ દિવસ સમય દરમિયાન આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. 11 સપ્ટેમ્બરથી આરતી અને દર્શનનો સમય ફરી રાબેતા મુજબનો રહેશે.
5 થી 10 સપ્ટેમ્બર સુધી આરતી સવારે 5 થી 5.30 સુધી, દર્શન સવારે 5.30થી 11.30 સુધી રાજભોગ, બપોરે 12 કલાકે, દર્શન બપોરે 12.30 થી સાંજે 5.30 સુધી, સાંજે આરતી 7 થી 7.30 સુધી, સાંજના દર્શન 7.30થી રાત્રે 12 વાગ્યા સુધી રાખવામાં આવ્યા છે.
ભાદરવી પુનમ મહામેળો 2022ના આયોજન અને વ્યવસ્થાઓ માટે જિલ્લા કક્ષાના અધિકારીઓની 29 જેટલી વિવિધ સમિતિઓ બનાવી જુદી-જુદી કામગીરી સોંપવામાં આવી છે. ટ્રસ્ટ તરફથી ભોજન વ્યવસ્થા કરાઈ છે. પ્રસાદના 7 વધારાના કેન્દ્રો, ચાચર ચોક ખાતે તેમજ ગેટ નં. 7ની બહાર અને શક્તિદ્વારની સામે કેન્દ્રો રાખવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા મેળામાં 36 હંગામી આરોગ્ય કેન્દ્ર, 108 સહિત 15 એમ્બ્યુલન્સ, 222 જેટલા આરોગ્ય કર્મચારીઓની વ્યવસ્થા કરાઈ છે.