પદ્મભૂષણ સન્માનિત, વિપુલ સાહિત્ય સર્જક, રાષ્ટ્રહિત ચિંતક આ.ભ. શ્રીમદ્ વિજય રત્નસુંદરસૂરિશ્વરજી મહારાજાના 400મા પુસ્તક ‘સ્પર્શ’નું જાન્યુઆરી માસમાં વિમોચન થવા જઈ રહ્યું છે. આ પ્રસંગને એક યાદગાર સંભારણામાં પરિવર્તિત કરવા અત્યારથી જ વિવિધ જૈન સંગઠનો અને યુવા શક્તિ જહેમત ઊઠાવી રહી છે. નાર છે. તા.15 થી 22 જાન્યુ. દરમિયાન આ અતિ ભવ્ય મહોત્સવ ગુજરાત યુનિ. ગ્રાઉન્ડ, જીએમડીસી, અમદાવાદમાં આયોજીત થશે. જૈન શ્રેષ્ઠીઓના દાવા અનુસાર મહોત્સવ દરમિયાન 10 લાખ લોકો ઉપસ્થિત રહે તેવી ગણતરી છે અને એ મુજબ આયોજનને ઓપ અપાઈ રહ્યો છે.
કાર્યક્રમની રૂપરેખા અંગે જાણકારી આપી દઈએ કે, આ મહોત્સવમાં 1200થી વધુ સાધુ સાધ્વીજી ભગવંતોની પ્રેરક હાજરી રહેશે. તા. 22 જાન્યુઆરીએ પદ્મભૂષણ વિભૂષિત, રાજ પ્રતિબોધક જૈનાચાર્ય પૂ. શ્રી રત્નસુંદરસૂરિજી મ. એ લખેલા 400માં પુસ્તકનું વિમોચન થશે. સૌથી ધ્યાનાકર્ષક વાત એ છે કે, આ પુસ્તકનું 15 થી વધુ ભાષાઓમાં વિમોચન થવા જઈ રહ્યું છે. આ. શ્રી રત્નસુંદરસૂરિજી મ. દ્વારા લિખિત 398 પુસ્તકોની 90 લાખથી વધુ આવૃતિ ગુજરાતી સાહિત્યમાં દેશ વિદેશમાં અત્યાર સુધી વિતરણ થઇ છે અને તેના અધ્યયન-અભ્યાસથી કરોડો લોકો પ્રેરણા લઈ જીવનપથને સકારાત્મક વળાંક આપી રહ્યા છે.
જીએમડીસી ગ્રાઉન્ડ (અમદાવાદ)ના 120 એકરમાં પુસ્તક વિમોચનના મહોત્સવની ઉજવણી થશે. આ મહોત્સવનો પ્રવેશદ્વાર 1500 ફુટ લાંબો અને 70 ફુટ ઊંચો કલાત્મક અને અતિભવ્ય તૈયાર કરવામાં આવી રહ્યો છે. દેશ-વિદેશથી મહોત્સવમાં 10 લાખથી વધુ લોકો દેશ વિદેશમાંથી ભાગ લે એ પ્રકારે આયોજન થઈ રહ્યું છે. મહોત્સવમાં ગિરનાર તીર્થ જેવી 30 ફુટની આબેહૂબ પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે. 300 ફૂટ ઊંચાઈ ધરાવતું જિનાલય પણ તૈયાર કરવામાં આવશે. જિનાલયમાં પાંચ હજાર લોકો 69 ઇંચના પ્રભુ નેમિનાથના દર્શનનો અલૌકિક લહાવો મેળવશે.
આયોજક શ્રેષ્ઠીઓએ વધુ વિગતો આપતા જણાવ્યું છે કે, મહોત્સવમાં 1200 સાધુ સાધ્વીજી ભગવંતોના ઉતારા માટે 200 જેટલી કુટિર તૈયાર કરવામાં આવશે. 60 એકરમાં એક ગામ્ય વિસ્તાર પણ તૈયાર કરાશે. એકસાથે 25 હજાર લોકો બેસી શકે તેવો 300 ફુટ પહોળો, 300 ફુટ લાંબો પ્રવચન ડોમ તૈયાર થશે. મહોત્સવમાં અદભૂત મનમોહક એવી 100 ફુટ ઊંચાઈની સમોવસરણ પ્રતિકૃતિ તૈયાર કરાશે. મહોત્સવમાં દરરોજ આચાર્ય ભગવંત પૂ. શ્રી રાજસુંદરસૂરિજી મહારાજા પ્રવચનનું અમૃતપાન લોકો લઈ ધન્યતા અનુભવશે.
આ મહોત્સવ પૂર્વે આ.ભ.શ્રી રત્નસુંદરસૂરિશ્વરજી મહારાજાના 399 પુસ્તકોમાંથી કોઇપણ એક પુસ્તક વાંચીને મન પરિવર્તન કે જીવન પરિવર્તન થયું હોય તેવા ભાવિકોએ સુઘડ અક્ષરે અથવા ઓનલાઇન 2-3 ફુલસ્કેપ પાના જેટલું લખાણ લીંક પર મોકલવા ભાવિકોને આમંત્રિત કરાયા છે. પ્રેરણા પામીને કોઇ પોતાના જીવનમાં પરિવર્તન લાવશે તો પુણ્યની પ્રાપ્તિ તો થશે જ સાથોસાથ સુંદર પ્રસ્તુતિ હશે તો મહોત્સવ દરમિયાન પુરસ્કાર પણ અર્પણ થશે. આ નિબંધ તા.1લી જાન્યુ. સુધીમાં મોકલી આપવાનો રહેશે. વિશેષ જાણકારી માટે રત્નત્રયી ટ્રસ્ટ, 14, ઇલોરા પાર્ક સોસાયટી, જૈન દેરાસર સામે, નારણપુરા, ક્રોસ રોડ, નારણપુર, અમદાવાદ ખાતે અથવા મો. 73839 49555, 73839 49333 પર સંપર્ક કરી શકાશે.