ગુજરાત રાજ્યના કુટિર ઉદ્યોગ, સહકાર, મીઠા ઉદ્યોગ અને પ્રોટોકોલ (સ્વતંત્ર હવાલો), ઉદ્યોગ, વન પર્યાવરણ અને ક્લાઈમેટ ચેન્જ, પ્રીન્ટીંગ અને સ્ટેશનરી (રાજ્ય કક્ષા)ના મંત્રી જગદીશ વિશ્વકર્મા (પંચાલ)ની અધ્યક્ષતામાં તા. ૯ એપ્રિલે ર૦રર ગાંધીનગરમાં મિટીંગ મળી હતી. જેમાં ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની એન્વાયરમેન્ટ / પોલ્યુશન કન્ટ્રોલ એન્ડ વેસ્ટ મેનેજમેન્ટ કમિટીના ચેરમેન કુન્હાલ શાહ અને ડેપ્યુટી સેક્રેટરી પૌલિક દેસાઇ તથા ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ હેમંત શાહ, ઉપપ્રમુખ પથિક પટવારી, તત્કાલિન ભૂતપૂર્વ પ્રમુખ નટુભાઇ પટેલ અને અન્ય ઉદ્યોગકારો ઉપસ્થિત રહયા હતા.
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી તરફથી ઉદ્યોગ મંત્રી જગદીશ વિશ્વકર્મા (પંચાલ) સમક્ષ નીચે મુજબની રજૂઆતો કરવામાં આવી હતી.
– સીઇટીપીનું કનેકશન ધરાવતા અથવા પોતાના ત્યાં એન્વાયરમેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમનો ઉપયોગ કરતા વોટરજેટ એકમોને જીપીસીબી તરફથી એનઓસી મળતી ન હોવાથી તેનું નિરાકરણ લાવવામાં આવે.
– નોન જીઆઇડીસીમાં ઔદ્યોગિક એકમો માટે એફએસઆઇ વધારવામાં આવે.
– ટેક્સટાઈલ પોલિસી– ર૦૧૯ ની કલેઇમ મોડયુલ ચાલુ કરવામાં આવે.
– એમએસએમઇ સ્કીમ– ર૦ર૦ માં પોતાની પ્રિમાઇસિસથી દુર કેપ્ટીવ સોલાર પાવર પ્લાન્ટ સ્થાપનારાઓને ઇન્ટરેસ્ટ સબસિડી આપવામાં આવે.
– વ્યારા અને સોનગઢને એમએસએમઇ ઇન્સેન્ટીવ સ્કીમમાં કેટેગરી – એકમાં મુકવામાં આવે.
ચેમ્બર દ્વારા કરવામાં આવેલી ઉપરોકત રજૂઆત સંદર્ભે ઉદ્યોગ મંત્રી જગદીશ વિશ્વકર્મા (પંચાલ)એ સકારાત્મક પ્રતિભાવ આપ્યો હતો. તેમણે ટેક્સટાઈલ પોલિસી– ર૦૧૯ ની કલેઇમ મોડયુલ તા. ૧૧ એપ્રિલ ર૦રર થી ચાલુ કરાવવા સંબંધિત વિભાગને ચાલુ મિટીંગમાં જ સૂચના આપી હતી. નોન જીઆઇડીસીમાં ઔદ્યોગિક એકમોને બાંધકામ માટે એફએસઆઇ મામલે વિસ્તૃત અહેવાલ ચેમ્બર પાસે મંગાવ્યો હતો. જે તે વિસ્તારમાં માળખાકીય સુવિધા અંગે ભારણ નહીં વધે તથા નોન પોલ્યુટીંગ ઇન્ડસ્ટ્રી જે કોઇપણ પ્રાઇવેટ એસ્ટેટમાં હોય તો ત્યાં ઔદ્યોગિક એકમોને વધારાનો એફએસઆઇ આપી શકીએ કે કેમ ? તે અંગે વિચારણા કરીને નિર્ણય લેવા ખાત્રી આપી છે.
આ ઉપરાંત પોતાની પ્રિમાઇસિસથી દુર કેપ્ટીવ સોલાર પાવર પ્લાન્ટ સ્થાપનારાઓને એમએસએમઇ સ્કીમ– ર૦ર૦ માં ઇન્ટરેસ્ટ સબસિડી વિશે અધિકારીઓ સાથે ચર્ચા કરીને નિર્ણય લઇશું તેમ જણાવ્યું હતું. વોટરજેટ એકમોનું કલાસિફિકેશન વ્હાઇટ કે ગ્રીન કેટેગરીમાં કેમ થતું નથી ? તે અંગે જીપીસીબીના અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. સાથે જ સુરતના વોટરજેટ એકમોની સ્થળ તપાસ કરી આ એકમોનો પોલ્યુશનની કઇ કેટેગરીમાં સમાવેશ કરવો જોઈએ તે અંગેનો રિપોર્ટ અધિકારીઓ પાસે મંગાવ્યો હતો. જો તપાસમાં વોટરજેટ એકમો અંગે પોલ્યુટીંગ ઇન્ડસ્ટ્રી નહીં હોવાનો રિપોર્ટ આવશે તો વોટરજેટ ઇન્ડસ્ટ્રીની કેટેગરી બદલવાનું આશ્વાસન તેમણે ચેમ્બરને આપ્યું હતું.
આ ઉપરાંત ઉદ્યોગ મંત્રી દ્વારા વોટરજેટ ઉદ્યોગકારોને વેસ્ટ વોટરમાંથી ઓઇલ કન્ટેન્ટને છૂટું કરવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવાની સલાહ પણ આપવામાં આવી હતી.