ગયા મહિને મુંબઈ પોલીસે નકલી દસ્તાવેજો પર સિમ કાર્ડ ખરીદવા બદલ 13 લોકોની ધરપકડ કરી હતી. છેલ્લા બે વર્ષમાં આ ગેંગે 62 લોકોના આધાર કાર્ડ પર પોતાનો ફોટો લગાવીને 8500 સિમ કાર્ડ એક્ટિવેટ કર્યા હતા. આ ગેંગમાં એક આરોપી તો એવો હતો જેણે સૌથી વધુ 684 સિમ કાર્ડ એક્ટિવેટ કર્યા હતા. સેન્ટ્રલ ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ (DOT)ની પહેલ પર, ગયા મહિને માત્ર મુંબઈમાં જ 30,000 મોબાઈલ નંબર બંધ કરવામાં આવ્યા હતા. બિહાર અને ઝારખંડમાં એપ્રિલ મહિનામાં 2.25 લાખ મોબાઈલ ડિએક્ટિવેટ કરવાનો આદેશ જારી કરવામાં આવ્યો હતો. ગુજરાતમાં છેલ્લા છ મહિનામાં 1.25 લાખ નંબરો બંધ થયા છે. ગુજરાતમાં તપાસમાં બહાર આવ્યું છે કે આવા 23,300 લોકો એવા છે જેમની પાસે 9થી વધુ મોબાઈલ નંબર એક્ટિવ હતા.લૂંટફાટ કે સાયબર ક્રાઈમ માટે જ નહીં સટ્ટાબજારમાં પણ નકલી સિમકાર્ડનો ઉપયોગ ધડલ્લે આરોપીઓ કરતાં હોય છે.
આઈપીએલ બુધવારે સમાપ્ત થઈ. લગભગ દોઢ મહિના સુધી આવું ચાલ્યું. એ તો બધા જાણે છે કે મોટાભાગે સટ્ટો ક્રિકેટ મેચમાં જ થાય છે. આઈપીએલમાં પણ થયું. ગુજરાત પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ ગુજરાત બ્રેકિંગ સાથે વાત કરતાં જણાવ્યા અનુસાર, નકલી દસ્તાવેજો પર વેચાતા સિમ કાર્ડનો સૌથી વધુ ઉપયોગ સટ્ટાબાજીમાં થાય છે. દરેક બુકી ડઝનેક નહીં પણ સેંકડો સિમ કાર્ડ રાખે છે. ઘણીવાર ગુનેગારો અન્ય ગુનાઓ માટે પણ બુકીઓ પાસેથી સિમ કાર્ડ ખરીદે છે. ઉદાહરણ તરીકે, એન્ટિલિયા જિલેટીન કેસ અને હિરેન મનસુખ હત્યા કેસમાં પકડાયેલા કેટલાક પોલીસકર્મીઓએ બુકી પાસેથી જ સિમ કાર્ડ લીધા હતા. NIAએ તે બુકીની પણ ધરપકડ કરી હતી.
સટ્ટાબજાર જાણે આઈપીએલમાં સક્રીય જ હતું એ રીતે મોટી કાર્યવાહી ખાસ કરીને સુરતમાં જોવા જ ન મળી. હકીકતમાં મુંબઈ અને નાસિક જેવા હબ ગણાતાં વિસ્તારો નજીક હોવાના કારણે સટ્ટાખોરીમાં સુરત વર્ષોથી ગાજેલું હોય છે. સુત્રોનું માનીએ તો, એવું નથી કે પોલીસનું દબાણ હતું અને સટ્ટો રમાયો જ નથી હકીકતમાં આ વખતે પોલીસે ચારથી પાંચ મોટા કાંડ કરીને ક્રિકેટ રસિયાઓને જલસો કરાવ્યો હોવાનું કહેવાય છે. આ આરોપીઓની મોડસ ઓપરેન્ડી પણ સિમ બદલી બદલીને ધંધો ધમધમતો રાખવાની જ છે. સુત્રોનું માનવામાં આવે તો, એવા કિસ્સા શહેરના વેસુ, પાર્લે પોઈન્ટ અને કામરેજ તથા કાપોદ્રામાં મોટાપાયે ચર્ચાના એરણે ચડ્યા હતા જ્યાં પોલીસે રેઈડ કર્યા બાદ કમસેકમ 5-6 લાખની તોડબાજી કરી હોય. શહેરનો ઉધના વિસ્તાર પણ આ બાબતે પાછળ નથી રહ્યો અને નાસિકમાં નિયમિતપણ જતી એક અગ્રણી મહિલાએ આ વખતે ખાસ્સી એવી રકમ ગુમાવ્યા બાદ જે હંગામો સુરતમાં કર્યો હતો એ સૌથી વધારે આજેપણ ચર્ચામાં છે. આ કાંડમાં પણ મસમોટી રકમનો વ્યવહાર ચર્ચામાં છે.
અંડરવર્લ્ડ સાથે સટ્ટાબજાર જેવા પરોક્ષ માધ્યમથી સંકળાયલા હોય કે સક્રીયપણે તેમાં શામેલ હોય તેઓ પાસે માત્ર નકલી દસ્તાવેજોથી મેળવેલા સિમ કાર્ડ હોય છે. આ દિવસોમાં સાયબર ક્રાઈમ સૌથી વધુ થઈ રહ્યું હોવાથી, તપાસ એજન્સીઓનું માનવું છે કે સાયબર ક્રાઈમ અને આર્થિક બાબતોના ગુનેગારો પણ નકલી દસ્તાવેજો પર સિમ કાર્ડ ખરીદી રહ્યા છે. ઘણા કોલ સેન્ટરોમાં નકલી સિમ કાર્ડનો પણ ઘણો ઉપયોગ થઈ રહ્યો છે.
દેશભરમાં થયેલી પોલીસ કાર્યવાહી પર નજર કરીએ તો, DOTની સૂચના પર સમગ્ર દેશમાં નકલી સિમ કાર્ડ ધરાવનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગયા મહિને, મુંબઈ પોલીસે નકલી દસ્તાવેજો પરના 2,197 સિમ કાર્ડ જપ્ત કર્યા હતા. આ સંદર્ભે પોલીસે 13 આરોપીઓની ધરપકડ પણ કરી હતી. એક આરોપીએ તો હદ વટાવી દેતાં બીજાના દસ્તાવેજો અને તેના ફોટાની મદદથી 684 સિમ કાર્ડ એક્ટિવેટ કર્યા હતા. મુંબઈ પોલીસે એક વિશેષ અભિયાન શરૂ કર્યું છે જે અંતર્ગત ગયા મહિને મુંબઈમાં 30 હજાર મોબાઈલ સ્વિચ ઓફ થયા હતા.એ જ પ્રમાણે ઝારખંડ અને બિહારમાં એપ્રિલમાં 1.25 લાખ મોબાઈલ નિષ્ક્રિય કરવામાં આવ્યા હતા.
આ સંદર્ભે જો ગુજરાતની જાણકારી તમને આપીએ તો, ગુજરાત પણ આ મામલે પાછળ નથી. ગત છ મહિનામાં 1.25 લાખ નંબર બંધ થયા છે. ગુજરાતમાં 23,300 લોકો એવા મળી આવ્યા હતા જેઓ 9 થી વધુ મોબાઈલ નંબરનો ઉપયોગ કરતા હતા. જે નંબરો બંધ થયા એમાં વિવાદાસ્પદ જમીન સોદાઓ સાથે સંકળાયેલા જમીનદલાલો, બિલ્ડરો, સટોડીયાઓ અને ડબ્બા ટ્રેડીંગ સાથે સંકળાયેલા નામચીન લોકો પણ છે.