પૂ.લબ્ધિ-વિક્રમગુરુપટ્ટરત્ન શ્રદ્ધેય ગુરૂદેવશ્રી યશોવર્મસૂરીશ્વરજી મહારાજાના આજ્ઞાનુવર્તિની પૂ.સા. શ્રી વિપુલમાલાશ્રીજી મ.સા.ના શિષ્યા પૂ.સા. શ્રી વિવેકમાલાશ્રીજી મ.સા.ના શિષ્યા પૂ.સા. શ્રી વિશુદ્ધિમાલાશ્રીજી મ.સા. ગત મોડી સાંજે ઈડરથી વડાલી (સાબરકાંઠા, ઉત્તર ગુજરાત) વિહાર કરીને આવતા સમયે એક અત્યંત ગોઝારા અકસ્માતમાં કાળધર્મ પામતાં સમસ્ત જૈન સમાજમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે. આ પ્રકારની વધતી જતી ઘટનાઓ સામે જૈન સમાજ આ સમયે સખત રોષ પણ પ્રવર્તી રહ્યો છે. મહાન સાધ્વિજી ભગવંત અને આ મહાન વિહારસેવિકા જિનશાસન રત્ન દિકરી સુરતની દિયા દોશી એ બંનેને માર્ગ અકસ્માતમાં ગુમાવ્યા હોવાના સમાચાર મળતાં જ લોકો વ્યથિત છે.
અત્યંત આઘાતજનક સમાચારથી જૈન સમાજ સ્તબ્ધ છે. પૂજ્ય સાધ્વીજી ભગવંત શ્રી લબ્ધિ-વિક્રમ શાસનસેવા ટ્રસ્ટ તથા શ્રી વિક્રમકૃપા કેન્દ્રના માનનીય ટ્રસ્ટીવર્ય અને પૂ.ગુરુદેવશ્રીના માર્ગદર્શનથી ચાલતા જિનશાસનના સાતેય ક્ષેત્રોના અનેકાનેક કાર્યોના પાયાથી શિખર સુધીના તમામ કાર્યોની આધારશિલા સમાન સુરતના શ્રેષ્ઠીવર્ય શ્રીયુત્ બિપીનભાઈના સંસારી દીકરી મ.સા. હતા. વડાલીમાં પૂજ્ય સાધ્વિજી ભગવંત વિશુધ્ધિમાલાશ્રીજી મ.સા ની પાલખીયાત્રા નીકળી તો મહાન દિકરી દિયા સચીનકુમાર દોશી જે સાધ્વિજી ભગવંત સાથે વિહારમાં જતી હતી તેની અંતિમયાત્રા ઇડરમાં નિકળી ત્યારે અસહ્ય કરૂણ હ્રદયદ્રાવક દ્રશ્યો સર્જાયા.
ઘટના અંગે લોકોમાં ઘેરા પ્રત્યાઘાત સામે આવ્યા છે. લોકોએ ભગવાન આ મહાન આત્માઓને મોક્ષસુખ આપે અને બેફામ ડ્રાઇવિંગ કરી નિર્દોષને મોતને ઘાટ ઉતારનારાઓને સદબુધ્ધિ આપે તેવી પ્રાર્થના સાથે ભારે હ્રદયે વિવિધ પ્રતિક્રિયા રજૂ કરી છે. કેટલાક લોકોએ સોશિયલ મીડિયા પર એવો મત પ્રદર્શિત કર્યો છે કે, આવા અકસ્માત કરી ભાગી જનારને પકડીને જાહેરમાં ફાંસી આપવી જોઈએ. તો કેટલાક લોકોએ સોશિયલ મીડિયા પર એવું પણ લખ્યું છે કે, સરકાર હવે કંઈક રસ્તો કાઢે તો સારૂ ધણાં સમયથી આવી દુઃખદ ઘટના બની રહી છે.