આવતા મહિને ૩ મેથી ચાર ધામની યાત્રા શરૂ થઈ રહી છે. બે વર્ષની પાબંદીઓ હળવી થઈ ગઈ હોવાનું માની લેતાં આ વખતે શ્રદ્ધાળુંઓને યાત્રા માટે ખુબ ઉત્સાહ હતો બરાબર એ જ સમયે દેશમાં કોરોનાના કેસો વધી રહ્યા છે. તંત્ર હવે તેને ચોથી લહેર પણ માની રહ્યું છે. આ સંજોગોને ધ્યાનમાં રાખી ચાર ધામની યાત્રા કરનારા શ્રદ્ધાળુઓ માટે નેગેટિવ RTPCR રિપોર્ટ ફરજિયાત કરવામાં આવ્યો છે. નેગેટિવ RTPCR રિપોર્ટ વગર કોઇને પણ ચારધામ યાત્રાની પરવાનગી નહીં મળે.
ઉલ્લેખનીય છે કે, દર્શનાર્થે 3 મેએ યમુનોત્રી અને ગંગોત્રીના દરવાજા ખુલી રહ્યા છે. ત્યારબાદ, 6મેએ કેદારનાથ અને 8મેએ બદ્રીનાથ ધામના દરવાજા પણ શ્રદ્ધાળુઓ માટે ખુલી જશે.
ત્યારે હવે દેશમાં કોરોનાના કેસોમાં ફરી ઉછાળો આવતા ઉત્તરાખંડ સરકાર ફરી એલર્ટ થઇ ગઇ છે. ઉત્તરાખંડ સરકારે ચાર ધામ આવનારાઓ માટે નેગેટિવ RTPCR રિપોર્ટ ફરજિયાત કરી દીધો છે.
આ દરમિયાન દેશમાં ફરી એક વાર કોરોનાના કેસમાં ઝડપથી વધારો નોંધાઈ રહ્યો છે. દરરોજ આંકડાનો ગ્રાફ ઊંચો જઈ રહ્યો છે. વડાપ્રધાન મોદીએ આ બાબતે તાકીદની બેઠક કરી દરેક રાજ્યોને સચેત કર્યા બાદ ઉત્તરાખંડ સરકારે જનહીતમાં આ નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે, ઘણાં રાજ્યો ફરી કોરોના ગાઈડલાઈન્સના અમલ બાબતે ફરી ચુસ્ત થઈ રહી છે અને માસ્ક ફરજિયાત પહેરવા પર નિયમો હેઠળ ભાર મુકી રહી છે.