જે લોકો નદીને માતા નથી કહેતા એ લોકોની નદીના પાણી અને તટ તેમજ આપણે જે નદીને માતા તો કહીએ છીએ પણ તેના તટ અને પાણીની દુર્દશા એ તફાવત રજૂ કરતાં સોશિયલ મીડિયા પરના મેસેજ કમનસીબે અતિપાવન તાપી અને નર્મદા તટ માટે પણ એટલા જ યથાર્થ છે. વર્ષમાં એકવખત સાફસફાઈ આગોતરી વિશેષ સાફસફાઈ કરાવી પૂજા કરવી એક દેખાડો સાબિત કરતાં રાજકારણીઓ જાણે-અજાણે મહાપાપમાં પડી કયા ભવિષ્યમાં પ્રજાને ધકેલી રહ્યા છે એ વિચારવું પણ આજે ભયાનક સાબિત થઈ રહ્યું છે.
ગુજરાતમાં સાબરમતી, તાપી, નર્મદા સહિત 20 જેટલી નદીઓ અત્યંત પ્રદુષિત હોવાનો ખુલાસો થયો છે. નદીઓના શુધ્ધિકરણ માટે વિવિધ પ્રોજેક્ટ હાથ ધરાયા હોવાની જાહેરાતો તો મોટા ઉપાડે થાય છે પરંતુ હકીકત એ જ છે કે, ગુજરાતમાં સાબરમતી, વિશ્વામિત્રી, તાપી, નર્મદા સહિતની 20 નદીઓ પ્રદુષિત છે. ઔદ્યોગિક એકમોના ગંદા પાણીએ નદીઓની હાલત બગાડી નાખી છે. દેશભરમાં આવી કુલ 351 નદીઓ પ્રદુષિત છે. ઔદ્યોગિક એકમોને આમ કરતાં રોકવા એક જડબેસલાક નીતિ પણ આપણે ઘડી ન શકતા હોઈએ તો એ દુર્ભાગ્યપૂર્ણ છે.
કેન્દ્રીય પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા નદીના પ્રદુષણ સ્તર સંદર્ભનો ડેટા એકત્ર કરવામાં આવ્યો છે. પાણીની ગુણવત્તાના પરિણામના આધારે સમયાંતરે નદીઓના પ્રદુષણ અંગે મૂલ્યાંકન કરવામાં આવતું હોય છે. કેન્દ્રીય જળ સંસાધન મંત્રાલયે આ માહિતી પૂરી પાડી છે.
રિપોર્ટમાં નદીના પટની બાબત સામે આવી છે, જે પ્રમાણે સાબરમતી નદીમાં ખિરોજથી વૌઠા, અમલખાડી નદીમાં પુંગમથી ભરુચ સુધીનો પટ્ટો પ્રદુષિત છે. એ જ રીતે ભાદરમાં જેતપુરથી સારણ ગામ, ભોગાવો નદીમાં સુરેન્દ્રનગરથી નાના કેરલ, ખારી નદીમાં લાલી ગામથી કાશીપુરાનો પટ્ટો વધારે પ્રદુષિત હોવાનું સામે આવ્યું છે. વિશ્વામિત્રી નદીમાં વડોદરાથી અસોદ, ભાદર નદીમાંથી ખોતડાથી ચાંદપુરા, ત્રિવેણી નદીમાં ત્રિવેણી સંગમથી બાદલપરાનો પટ્ટો વધુ પ્રમાણમાં પ્રદુષિત છે. દમણ ગંગામાં કાચી ગામથી વાપી, કોલાકમાં કિકરલાથી સાલ્વાવ, માહી નદીમાં સેવાલિયાથી બહાદુરપુર, તાપી નદીમાં કડોદ-બારડોલીથી સુરત, અનાસમાં દાહોદથી ફતેહપુરા, કિમમાં સાહોલબ્રિજ, મિંઢોળામાં સચિનનો પટ્ટો અને નર્મદામાં ગરુડેશ્વરથી ભરુચ સુધીનો પટ્ટો વધુ પ્રમાણમાં પ્રદુષિત હોવાનું રિપોર્ટમાં બહાર આવ્યું છે.
તાપી નદી પર હવે બ્રિજ પણ એટલા બંધાઈ ચૂક્યા છે કે નદીમાં ડ્રેજિંગ કરવું જોખમી સાબિત થઈ શકે છે. બ્રિજના પાયા નબળા કરીને ડ્રેજિંગ કરી શકાય તેમ નથી. બીજીતરફ વૈદરાજ અને અશ્વિનિકુમાર કે ડક્કા સહિતના શહેરના અન્ય ઓવારાઓ પણ ખરાબ હાલતમાં મુકાઈ ગયા છે કે ધાર્મિક ભાવના ત્યાં જઈને વિશુદ્ધ થવાને બદલે દુભાતી હોય તેવું જ લાગે છે. ગંદકીનું આ સ્તર જળથી લઈને ઓવારા સુધી બેરોકટોક વધી રહ્યું છે. ઉદ્યોગો મનમાની રીતે બેફામ બની રહ્યા છે, ભવિષ્યની કોઈ ચિંતા વગર તંત્ર આંખ પર પાટા બાંધીને ખુબ મોટા નુકશાન તરફ શહેરને દોરી રહ્યું છે એ કહેવામાં સહેજે અતિશયોક્તિ નથી.