શહેરના સૌથી વ્યસ્ત ટેક્સટાઈલ માર્કેટ વિસ્તાર, રેલવે સ્ટેશન, નવી સિવિલ હોસ્પિટલ, કલેક્ટર કચેરી, પોલી, કમિશનર કચેરી ઉપરાંત અન્ય વિવિધ અગત્યની સરકારી કચેરીમાં આવાગમન માટે હજ્જારોની સંખ્યામાં લોકો જેનો ઉપયોગ કરે છે એ રિંગરોડ ફ્લાયઓવર બ્રિજ તા. 5 માર્ચથી વાહનોની અવરજવર માટે બંધ છે. સુરત મહાનગરપાલિકાએ જાહેરાત કરી હતી કે, રિપેરિંગ અને રિસ્ટોરેશન માટે રિંગરોડ ફ્લાયઓવર 9 માર્ચથી 5 મે સુધી વાહનોની અવરજવર માટે બંધ રહેશે. વૈકલ્પિક માર્ગ તરીકે, SMCએ મુસાફરોને ઉધના અને પુણાગામ વચ્ચે BRTS કેનાલ રોડનો ઉપયોગ કરવાનું સૂચન થયું છે અને લોકો શહેરના વિકાસ માટે હાડમારી વેઠીને રોજ કામ ચલાવી રહ્યા છે. સુરત અને આસપાસના સેંકડો લોકો માટે આ ફ્લાયઓવર બ્રિજનું કામ પૂર્ણ થતાં તો ચોક્કસ રાહત મળવાની જ છે પરંતુ હાલ એ દિવસો નજીક નથી જણાઈ રહ્યા. કામમાં વિલંબને કારણે સગવડ માટે હજી ઘણી રાહ જોવી પડે તેવી શક્યતા જાણકારો તરફથી વ્યક્ત થઈ રહી છે.
રિંગરોડ ફ્લાયઓવર બ્રિજના રિપેરિંગનું કામ બે મહિનામાં પૂર્ણ થવાની ગણતરી પાલિકાએ કરી હતી. એ મુજબ 5 મે સુધી વાહનની અવરજવર માટે આ ફ્યઓવર બ્રિજ બંધ રાખવાનું જાહેરનામું પાલિકા કમિશનર બંછાનિધિ પાનીએ બહાર પાડ્યું હતું. જોકે, હવે વાસ્તવિક્તા કંઈક ઔર જ બહાર આવી રહી છે. સૂત્રોનું માનીએ તો દોઢ મહિના જેવો સમય વિતી જવા છતાંય હજી કામ ચાલીસ ટકા સુધી પણ નથી પહોંચી શક્યું. એટલે કે નિયત મુદ્દતમાં કામ પૂર્ણ થઈ શકે તેવા એંધાણ અત્યારે તો નથી વર્તાઈ રહ્યા. પાલિકા તંત્રને પણ હવે આ વાતનો સારી રીતે અંદાજ આવી ચૂક્યો છે.
પાલિકાના બ્રિજ સેલ વિભાગની વિગતો અનુસાર, ન તો બેરિંગ રિપ્લેસમેન્ટનું કામ હજી અડધે પહોંચ્યું છે ન તો પોલનું કામ. એવામાં આ કામ નિયત મુદ્દતમાં પૂર્ણ થાય એ શક્યતા નથી. 22 વર્ષ જૂનો અને 2200 મીટર લાંબો રિંગરોડ ઓવરબ્રિજ સમારકામ માટે ઢીલાશથી હજી લોકોના ઉપયોગમાં આવી શકે એ માટે સમય લાગશે. અહીં એ પણ ઉલ્લેખ કરવો ઘટે છે કે, આ 24 કલાક સતત ધમધમતા આ ફ્લાયઓવર બ્રિજ પર રોજની લાખથી વધુ લોકોની અવરજવર રહે છે, જેમાં ટેક્સટાઈલ માર્કેટના ઓવરલોડ ટેમ્પો પણ દોડતા હોય છે. હાલ ઓવરબ્રિજ બંધ થવાને કારણે ખાસ કરીને પીક અવર્સમાં બ્રિજની નીચે રોડ પર ટ્રાફિક જામની બેહિસાબ સમસ્યા સર્જાતી હોય છે અને ઘર્ષણના બનાવો પણ અકળામણમાં જોવા મળતા હોય છે. વાહનોને પાર્ક કરવાની પરવાનગી ન હોવાથી પણ વાહનધારકો તકલીફ વેઠી રહ્યા છે.
આ તમામ સંજોગો વચ્ચે પાલિકા તંત્રમાંથી મળતી વિગતો મુજબ, રિંગરોડ ઓવર બ્રિજનું રિપેરિંગ કામ બે મહિનામાં પૂર્ણ થવું હવે શક્ય ન જણાતું હોવાથી ઓવરબ્રિજ 5 મે પછી પણ દોઢ મહિના સુધી બંધ રહી શકે છે. પાલિકા અને પોલીસ તંત્ર જલ્દી આ માટે બેઠક કર્યા બાદ આ માટે નવું જાહેરનામું રજૂ કરી શકે છે. લોકોમાં ચર્ચા એ છે કે, પ્રજાની ધીરજ માટે જો રાતદિવસ કામ ધમધમતું હોવાના દાવા વચ્ચે જો નિયત મુદ્દતમાં અડધું કામ પણ ન થઈ શકે તો તંત્રની કામ પરત્વે ગંભીરતા શું કહેવી. આ પ્રશ્ન એટલા માટે જ લોકોમાં ઉપસ્થિત થઈ રહ્યો છે કે, રોજ કામકાજ માટે ઘરથી તેમના રોજગાર સ્થળે અને ત્યાંથી ઘરે પરત ફરવા ભોગવવી પડતી હાડમારીનો તંત્રને અહેસાસ નથી.