રાજયમાં તા. 15 એપ્રિલ શનિવારથી મિલકતોના જંત્રી દરમાં 100 ટકાનો વધારો લાગુ થઈ જશે. નવા જંત્રીદર પૂર્વે લોકોના શ્વાસ અદ્ધર છે ત્યારે આ વર્ષના અંત સુધીમાં જ શહેરોથી માંડીને ગામડા-તાલુકા સ્તરે વિકસિત નવા વિસ્તારોમાં જંત્રીમાં વધારાનો એક નવો ડોઝ આપવામાં આવે તેવી શક્યતા છે.
ગાંધીનગર સુત્રોના દાવાને જો માની લેવામાં આવે તો તેમનું કહેવું છે કે વિતેલા 10 વર્ષમાં રાજયમાં અનેક નવા વિસ્તારો ડેવલપ થયા છે. જમીન-મિલ્કતની કિંમત આ વિસ્તારોમાં અનેકગણી વધી છે. હવે વાસ્તવિક કિંમતનો સરવે પૂરો થયા બાદ થોડા મહિનામાં જંત્રીદરમાં ફરી એકવખત વધારો કરવામાં આવી શકે છે. ન્યુ ડેવલોપ હોવાના કારણે આ વિસ્તારોમાં જમીનની કિંમતો ઘણી ઊંચી છે અને સામે જંત્રીદર સાવ ઓછો છે.
કેટલાંક ક્ષેત્રોમાં તો જંત્રીદરમાં અનેકગણો વધારો થઈ શકે છે. સુત્રોનું વધુમાં કહેવું એ છે કે મુંબઈમાં નવા ડેવલોપ વિસ્તારો માટે ડાયનેમિક પેટર્ન લાગુ કરવામાં આવી છે. ગુજરાતમાં પણ એ પેટર્ન અમલ કરાવવા વિચાર ચાલી રહ્યો છે અને એ માટે અભ્યાસ કરવા અધિકારીઓ મુંબઈ મોકલવામાં આવશે.
જો સુરતની વાત કરીએ તો ડભોલી, સરસાણા, અલથાણ, પાલ, વેસુ, જહાંગીરપુરાને પણ પાર કરીને ચારેય દિશાનાં વિસ્તારોનો શહેરમાં સમાવેશ થયો ત્યારબાદ એ વિસ્તારોમાં જમીનની કિંમત ઘણી વધી ગઈ પરંતુ જંત્રીદર ઓછો છે. આ તમામ વિસ્તારોમાં સર્વે થયા બાદ જંત્રીદર અનેકગણો વધી જાય તેમ છે.
જોકે જાણકારોનું કહેવું છે કે, નવા સરવેની કવાયત બાદ ખાસ કરીને નવા વિકસેલા વિસ્તારોનાં જંત્રીદરમાં મોટો વધારો થશે તો રિઅલ એસ્ટેટ ક્ષેત્રે તેની નેગેટીવ અસર થશે. રાજય સરકારને સ્ટેમ્પ ડયુટી-રજિસ્ટ્રેશન ફી પેટેની આવકમાં મોટો વધારો થશે. પરંતુ ઘરનુ ઘર ખરીદનારા લોકોને મિલકતોમાં ભાવ વધારાથી માંડીને વધારાની સ્ટેમ્પ ડયુટીનો બોજ સહન કરવો પડશે અને મિલકતોના ભાવ વધી જશે.