બોલિવૂડનું લોકપ્રિય કપલ રણબીર કપૂર અને આલિયા ભટ્ટ મંગળવારે સાંજે મહાકાલ મંદિરના દર્શન કરવા ઉજ્જૈન પહોંચ્યા હતા. પરંતુ તેમને દર્શન કર્યા વગર જ મંદિરમાંથી પરત ફરવું પડ્યું. માત્ર ફિલ્મના દિગ્દર્શક અયાન મુખર્જી જ બાબા મહાકાલના દર્શન કરવા ગર્ભગૃહમાં જઈ શક્યા હતા. હકીકતમાં, આલિયા-રણબીર અને અયાન મુખર્જીના આગમન પહેલા જ બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓએ મહાકાલ મંદિરના મુખ્ય અને VVIP શંખ ગેટ પર હંગામો મચાવ્યો હતો, ત્યારબાદ રણબીર-આલિયા અને અયાન મુખર્જીને ઉજ્જૈનના કલેક્ટર આશિષ સિંઘના ઘરે પહોંચવું પડ્યું હતું.
હિન્દુ સંગઠનના કાર્યકરો રણબીર અને આલિયાને કાળા ઝંડા બતાવવાના ઈરાદે પહોંચ્યા હતા. જોકે, પોલીસે હળવો બળપ્રયોગ કરીને તેમનો પાછા ધકેલ્યા હતા. બજરંગ દળના કાર્યકરોએ કહ્યું કે રણબીર કપૂરે પોતે કહ્યું છે કે તે બીફ ખાય છે. આવી સ્થિતિમાં, પ્રશાસને જવાબ આપવો પડશે કે ગૌમાંસ ખાનારાઓને મંદિરમાં કેવી રીતે પ્રવેશ આપવામાં આવે.
તમને જણાવી દઈએ કે, સ્ટાર કપલ ઉજ્જૈનમાં બાબા મહાકાલના દર્શન કરવા માટે સાંજે 6.30 વાગ્યે ઈન્દોર એરપોર્ટથી રવાના થયું હતું. બંને તેમની આગામી ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ની સફળતા માટે આશીર્વાદ લેવા પહોંચ્યા હતા. ફિલ્મના ડાયરેક્ટર અયાન મુખર્જી પણ તેમની સાથે હતા. આ દંપતીએ ઉજ્જૈન પહોંચતા પહેલા એક વીડિયો જાહેર કરીને તેમના આગમનની જાણકારી પણ આપી હતી. આલિયા અને રણબીરે લાંબા સંબંધો બાદ આ વર્ષે 14 એપ્રિલે લગ્ન કર્યા હતા. આલિયા ભટ્ટ અને રણબીર કપૂર ટૂંક સમયમાં માતા-પિતા બનવાના છે.