વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા.૨૯ સપ્ટેમ્બરે સુરતમાં ‘ખોજ મ્યુઝિયમ’નું લોકાર્પણ કરશે. વિજ્ઞાન ક્ષેત્રે આ નવું નજરાણું બાળકોને જ્ઞાન સાથે ગમ્મત પૂરું પાડે તેવો મહત્વકાંક્ષી પ્રોજેક્ટ સાબિત થશે.
સુરત મહાનગરપાલિકા અને ગુજરાત સીએસઆર ઑથોરિટી (GCSRA)ના સંયુક્ત ઉપક્રમે તેમજ દક્ષિણ ગુજરાત વીજ કંપની લિ.ના CSR સમર્થનથી સિટીલાઇટ રોડ સ્થિત સાયન્સ સેન્ટર સંકુલમાં ‘ખોજ- વિજ્ઞાન+કળા+નવીનીકરણ મ્યુઝિયમ’ વિકસાવવામાં આવ્યું છે.
આ મ્યુઝિયમ ઇન્ટરેક્ટિવ ડિસ્પ્લે, વિવિધ અન્વેષણ આધારિત પ્રવૃત્તિઓ અને જિજ્ઞાસા આધારિત સંશોધનો દ્વારા વિજ્ઞાન, કળા અને નવીનતાને જોડવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. મોટાભાગના મ્યુઝિયમમાં એવા બોર્ડ વાંચવા મળે છે કે, ‘મહેરબાની કરીને અડકશો નહીં’, પરંતુ તેનાથી વિરુદ્ધ આ મ્યુઝિયમમાં મુલાકાતીઓને વિવિધ પ્રદર્શનો અને કોન્સેપ્ટ્સમાં ભાગ લેવા, વાર્તાલાપ કરવા, રમવા અને સંશોધનો કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે.
આ ‘ખોજ મ્યુઝિયમ’માં મુખ્યત્વે બે ગેલેરીઓ, એક કાર્યશાળા અને એક ‘હોલ ઑફ ફેમ’ વિકસિત કરવામાં આવ્યા છે. મ્યુઝિયમના ભોંયતળિયે વાયરોસ્ફિયર ગેલેરી પ્રદર્શિત કરવામાં આવી છે. આ ગેલેરી વાયરસ એટલે કે વિષાણુઓ અને તેમના જીવનના વિવિધ પાસાઓનો અનુભવ આપે છે, જેમાં વિષાણુનો પરિચય, તેનો ઇતિહાસ, સૂક્ષ્મ જીવોનું વિશ્વ, વિષાણુનો ફેલાવો, કોરોના વાયરસ અને મહામારી દરમિયાન થયેલા સંશોધન-નવીનીકરણનો સમાવેશ થાય છે. મ્યુઝિયમના આ ભાગમાં વિદ્યાર્થીઓને વિષાણુના વિવિધ પાસાઓને સમજવા માટે કેટલીક પ્રવૃત્તિઓ, પ્રયોગો અને અન્વેષણો કરશે. આ તમામ પ્રવૃત્તિઓ માટે દ્રશ્ય-શ્રાવ્ય સાધનો અને માહિતીદર્શક પેનલોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
મ્યુઝિયમના પ્રથમ માળ પર એક કાર્યશાળા ડેવલપ કરવામાં આવી છે, જે વિદ્યાર્થીઓને કલાકાર, વૈજ્ઞાનિક, તકનીકી પ્રેમી, કારીગર, સસ્ટેનેબલ વિકાસનો સૈનિક, સંગીતકાર વગેરે બનવા માટે પ્રેરણા આપવાનું કામ કરશે. આ ઉપરાંત, અહીંં ‘હોલ ઑફ ફેમ’નો આઇડિયા પણ વિકસિત કરવામાં આવ્યો છે, જ્યાં વિદ્યાર્થીઓ દ્વારા રચિત વિચારો અને કૃતિઓને પ્રદર્શિત કરી મ્યુઝિયમને લોકોનું મ્યુઝિયમ બનાવવામાં આવશે.
હાલ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ વિશે નીતિવિષયક મંચ પર ચર્ચા કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિક બદલાવ ત્યારે જ આવી શકે છે, જ્યારે તેને શિક્ષણ પદ્ધતિમાં અને સમાજમાં વણી લેવામાં આવે. આ બાબતને ધ્યાનમાં રાખીને આ મ્યુઝિયમમાં ‘સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ’ થીમ પર આધારિત એક પ્રદર્શન ઉભું કરવામાં આવ્યું છે. આ પ્રદર્શન મુખ્યત્વે પર્યાવરણ અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ, વાતાવરણ અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ, પ્રદૂષણ અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ તેમજ ઊર્જા અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ જેવા મુખ્ય વિષયો પર આધારિત છે.