આઠ દાયકાથી દેશની સેવા કરતા વાલસુરા મથકને આજે પ્રેસીડેન્શ્યિલ કલર્સ એવોર્ડથી નવાજવા માટેના યાજાયેલા ખાસ સમારોહમાં દેશની ત્રણેય લશ્કરી પાંખના સર્વોચ્ચ કમાન્ડર અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પોતે આ એવોર્ડ અર્પણ કરવા ખાસ જામનગર આવી પહોંચ્યા હતાં. જામનગરમાં ભારતીય નૌ-સેનાનું આઇએનએસ વાલસુરા મથક તેની સ્થાપનાના 80 માં વર્ષની ઉજવણી કરી રહ્યું છે.
ભારતના રાષ્ટ્રપતિ અને ભારતીય શસ્ત્ર દળોના સર્વોચ્ચ કમાન્ડર રામનાથ કોવિંદ આજે સવારે નિર્ધારિત સમય 9 કલાકે વાયુસેનાના ખાસ વિમાનમાં ગાંધીનગરથી જામનગર આવી પહોંચ્યા હતાં. જામનગર સ્થિત ભારતીય નૌ-સેનાના વાલસુરા મથક ખાતે યોજાયેલા એવોર્ડ વિતરણ સમારોહમાં તેઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. જામનગર એરપોર્ટ ખાતે રાષ્ટ્રપતિ અને ગુજરાતના રાજ્યપાલનું ઉષ્માભર્યું સ્વાગત થયું હતું.
એરપોર્ટથી 9:20 કલાકે રાષ્ટ્રપતિ અને રાજ્યપાલનો કાફલો ચુસ્ત બંદોબસ્ત વચ્ચે વાલસુરા જવા રવાના થયો હતો. આ કાફલો એરપોર્ટથી સમર્પણ સર્કલ થઇ ઢીંચડા રીંગરોડ ઉપરથી પસાર થઇ 9:35 કલાકે વાલસુરા મથકે પહોંચ્યો હતો. વાલસુરા મથક તેની સ્થાપનાના 80 વર્ષ પૂર્ણ કરી ચુક્યું છે. આ મહાન સિધ્ધિ બદલ વાલસુરા મથકને પ્રેસિડેન્શિયલ કલર એવોર્ડ એનાયત કરવાનો સમારોહ સવારે 10:00 વાગ્યે નિર્ધારિત સમયે શરૂ થયો હતો. આ એવોર્ડ આપવા માટે ખાસ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ હાજર રહ્યાં હતાં અને તેમની સાથે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ જોડાયા હતાં.
વાલસુરા ખાતે યોજાયેલા આ કાર્યક્રમ દરમિયાન નૌ-સૈનિકોએ ખાસ પરેડ યોજી સલામી આપી હતી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું રેડ કાર્પેટ સ્વાગત કરાયું હતું. તેઓએ ખુલ્લી જીપમાં પરેડ ગ્રાઉન્ડમાં પરેડનું નિરીક્ષણ કર્યું હતું. તેમની સાથે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, જામનગરના સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય આર.સી.ફળદુ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, મેયર બિનાબેન કોઠારી, જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશી ચનિયારા વિગેરે આગેવાનોએ અને સ્થાનિક ઉચ્ચ અધિકારીઓએ પણ પરેડની સલામી આપી હતી. પરેડ બાદ રાષ્ટ્રપતિએ આઇએનએસ વાલસુરાને ગૌરવરૂપ એવો પ્રેસિડેન્શિયલ કલર એવોર્ડ એનાયત કર્યો હતો.