ઈન્ડિયન સ્પેસ રિસર્ચ સેન્ટર (ISRO)નું ચંદ્રયાન-3 ચંદ્રની ખૂબ નજીક પહોંચી ગયું છે. ભારતીય સમય અનુસાર, વિક્રમ લેન્ડર 23 ઓગસ્ટે સાંજે 6.04 કલાકે ચંદ્રની સપાટી પર ઉતરશે. આ સમગ્ર પ્રોજેક્ટનો આ સૌથી મહત્વપૂર્ણ તબક્કો બનવા જઈ રહ્યો છે. ચંદ્રયાનની સફળતા માટે દેશભરમાં પ્રાર્થના કરવામાં આવી રહી છે.
ઈસરોએ કહ્યું કે, ‘લેન્ડિંગનું લાઈવ ટેલિકાસ્ટ 23 ઓગસ્ટે IST સાંજે 5.20 વાગ્યે શરૂ થશે.’ ISROના સ્પેસ એપ્લિકેશન સેન્ટરના ડિરેક્ટર નિલેશ એમ. દેસાઈએ જણાવ્યું હતું કે, “લેન્ડર મોડ્યુલ અને ચંદ્ર પરની સ્થિતિના આધારે લેન્ડિંગ અંગેનો નિર્ણય લેવામાં આવશે. જો કોઈ પ્રતિકૂળ પરિસ્થિતિઓ હશે, તો લેન્ડિંગ 27 ઓગસ્ટે થશે.”
એ દરમિયાન દેશભરમાં ચંદ્રયાન-3ના ચંદ્ર પર સફળ ઉતરાણ માટે પ્રાર્થનાઓ અને હોમ-હવન યોજાઈ રહ્યા છે. પ્રયાગરાજમાં શ્રી મઠ બાગમ્બરી ગદ્દી ખાતે હવન કરવામાં આવી રહ્યો છે. તો એ જ પ્રમાણે ચંદ્રયાન-3ના સફળ ઉતરાણ માટે મુંબઈના ચંદ્રમૌલેશ્વર શિવ મંદિરમાં હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. વારાણસીમાં મૈદાગીન વિસ્તારના ભારતેન્દુ પાર્ક સ્થિત શ્રી માનસાપુરાણ હનુમાન મંદિર પરિસરમાં હનુમાન ચાલીસાનો પાઠ કરવામાં આવી રહ્યા છે. મિશનની સફળતા માટે રામભક્ત હનુમાનજી મહારાજની વિશેષ પ્રાર્થના ચાલી રહી છે.
વારાણસીના કામાખ્યા મંદિરમાં પણ મંગળવારે સવારે હવન કરવામાં આવ્યો હતો. ભક્તોએ મંદિરમાં હવન કર્યો અને ચંદ્રયાનના સફળ ઉતરાણ માટે પ્રાર્થના કરી. ચંદ્રના દક્ષિણ ધ્રુવ નજીક ISROના ચંદ્રયાન-3નું સફળ ઉતરાણ સુનિશ્ચિત કરવા પ્રખ્યાત કુક્કે સુબ્રમણ્યમ મંદિરમાં નાગપંચમીની પૂર્વસંધ્યાએ વિશેષ પૂજા કરવામાં આવી હતી. મંદિર પ્રશાસને દૂધ અભિષેક સાથે વિશેષ પૂજા કરી, ભારત અવકાશ સંશોધન ક્ષેત્રે ઈતિહાસ રચે અને દેશને ગૌરવ અપાવવા માટે પ્રાર્થના કરી. ભગવાન સુબ્રમણ્યમને દૂધથી સ્નાન કરાવવામાં આવ્યું હતું. ભગવાનને સ્નાન કરવા માટે ભક્તોની લાંબી કતારો લાગી હતી. બધાએ મળીને ચંદ્રયાનના સફળ ઉતરાણ માટે ભગવાનને પ્રાર્થના કરી. આ અગાઉ, કાશીના મહામૃત્યુંજય મંદિરમાં ચંદ્રયાન-3ના સફળ ઉતરાણ અને ઈસરોના વૈજ્ઞાનિકોની સફળતાની કામના માટે વિશેષ હવન-પૂજન કરવામાં આવ્યું હતું. ચંદ્રયાન-3ની તસવીરો અને હાથમાં ત્રિરંગો લઈને લોકોએ યજ્ઞ હવન કર્યો અને મિશન મૂનના સફળ ઉતરાણ માટે શુભેચ્છા પાઠવી.
દેશના જાણિતા ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ કહ્યું કે તેઓ ચંદ્રયાન-3ના મિશન માટે પ્રાર્થના કરશે અને તે સફળ થયા બાદ તેની ઉત્સાહપૂર્વક ઉજવણી કરશે. વધુમાં, તેમણે કહ્યું કે હું ISROનો આભાર માનું છું કે તેઓ લાખો તકનીકોનો ઉપયોગ કરીને અવકાશ સંશોધન પર કામ કરે છે. આવી સ્થિતિમાં તે આપણા ઘણા સપના સાકાર પણ કરે છે.