સુરતની એક મહિલા સહિત ચાર આતંકવાદીઓની ગુજરાત એટીએસે અત્યંત ગુપ્તરાહે અને ખંતથી ઓપરેશન પાર પાડી ધરપકડ કરી છે. આરોપીઓની પૂછપરછમાં એક પછી એક ચોંકાવનારા ખુલાસા બહાર આવી રહ્યા છે. પોલીસ સુત્રોનું કહેવું છે કે, સુરતથી પકડાયેલી સુમેરાનો મનસુબો સુરતની કોર્ટમાં ફિદાયીન હુમલો કરવાનો હતો. આ માટે તેઓએ ખાસ્સી તૈયારીઓ પણ કરી લીધી હતી. આતંકીઓના રિમાન્ડ દરમિયાન હજી કેટલાક લોકોની ધરપકડ અને વિવિધ કાવતરાંઓ ખૂલ્લા પડે તેવી શક્યતા જોવાઈ રહી છે. સુમેરાએ ફિદાયીન હુમલા માટે સુરતની કોર્ટ પસંદ કરવા પાછળનું કારણ હજી ગહન તપાસનો વિષય છે.
પોલીસ સુત્રોના કહેવા મુજબ સુરત કોર્ટમાં ફિદાયીન હૂમલાને અંજામ આપવા આ લોકોએ રેકી પણ કરી હતી. કહેવાતા ઉપરના આકાઓ તરફથી બસ ફક્ત આદેશ મળે તેની રાહ જોવાઈ રહી હતી. સુરતની કોર્ટમાં સુમેરાએ રેકી દરમિયાન સુરત કોર્ટના સુરક્ષા પ્રબંધો ઉપરાંત જજ અને વકીલોની અવર-જવર ઉપરાંત ભીડનો સમય અને સ્થળ સહિતની રેકી કરી હતી.
વધુમાં આ ખૂંખાર મનસુબા ધરાવતી ટોળકીનો ઈરાદો ગુજરાતમાં શાંતિ ડહોળાય એ માટે મુંબઈમાં 26/11ના હુમલા જેવો જ હુમલો ગુજરાતમાં કરવાનો હતો. આ માટે તેઓ તૈયારીમાં હતા. સૂમેરાએ એ સિવાય ગાંધીનગરમાં ભાજપના કાર્યાલય કમલમ્ અને ત્યાં આવતાં-જતાં કેટલાક નેતાઓની પણ રેકી કરી હતી. આરોપીઓની પૂછપરછના આધારે એટીએસે શ્રીનગરમાંથી વધુ એક આતંકીને પણ ઝડપી લીધો છે. એટલે ધરપકડની સંખ્યા વધીને પાંચ પર પહોંચી છે. ઝુબેર અહેમદ મુનશી નામનો એક વ્યક્તિ જે આ પ્રકરણમાં ફરાર હતો અને પોલીસ તેને શોધી રહી હતી. હવે આ ઝુબેરને શ્રીનગરથી ટ્રાન્ઝીટ વોરંટ દ્વારા ગુજરાત લાવવામાં આવશે. આતંકવાદીઓની પૂછપરછમાં એનઆઈએ, રો, આઈબી, જમ્મુ-કાશ્મીર એટીએસ ઉપરાંત અન્ય સેન્ટ્રલ એજન્સીઓ જોડાશે.