કોલકાતાની 24 વર્ષીય પાયલોટ ઈન્ટરનેટ પર છવાઈ ગઈ છે. તેની બહાદુરીની ભરપૂર પ્રશંસા થઈ રહી છે, તેણે 800 થી વધુ ભારતીય વિદ્યાર્થીઓને બચાવ્યા છે. આ ભારતીયો યુક્રેનની પોલિશ અને હંગેરિયન સરહદો પર ફસાયેલા હતા, જેમને એ સુરક્ષિત રીતે ઘરે પરત લાવી. ‘ઓપરેશન ગંગા’ની મેમ્બર મહાશ્વેતા ચક્રવર્તીએ રશિયા-યુક્રેનના યુદ્ધ વચ્ચે ફસાયેલા વિદ્યાર્થીઓને બચાવવા 27 ફેબ્રુઆરીથી 7 માર્ચની વચ્ચે પોલેન્ડથી ચાર અને હંગેરીમાંથી બે સહિત છ ઈવેક્યુએશન ફ્લાઈટ્સ કરી હતી.
ચક્રવર્તીએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, ” આ એક જીવનભરનો અનુભવ રહ્યો કારણ કે મેં વિદ્યાર્થીઓને બચાવ્યા, જેમાંથી ઘણા બીમાર પડ્યા હતા અને બચી જવાની આઘાતજનક વાર્તાઓ હતી. તેમાંથી મોટાભાગના 20 વર્ષની આસપાસના હતા. હું જીવન માટે તેમની લડતની ભાવનાને સલામ કરું છું. તેમની વતન પાછા ફરવાની યાત્રામાં ભૂમિકા ભજવી હોવાનો પણ મને ખૂબ ગર્વ છે. પરંતુ વાસ્તવિક હીરો આ યુવા વિદ્યાર્થીઓ છે જેઓ યુદ્ધગ્રસ્ત દેશમાંથી બચવા ભૂખ, તરસ સાથે લડ્યા., મૃત્યુની ધમકીઓ, ખરાબ હવામાન અને કારકિર્દીની અનિશ્ચિતતા સામે લડ્યા.”
લેડી પાયલટ મહાશ્વેતા છેલ્લા ચાર વર્ષથી ખાનગી ભારતીય કેરિયર ઉડાવી રહી છે. મોડી રાત્રે ચક્રવર્તીને તેમની એરલાઈન તરફથી ફોન આવ્યો અને તેને જાણ કરવામાં આવી કે તેમને આ બચાવ મિશન પર પ્લેન ઉડાડવા પસંદ કરવામાં આવી છે. “મેં પેકઅપ કર્યું અને બે કલાકમાં નીકળી પણ ગઈ. મેં પોલેન્ડથી ઇસ્તંબુલની અઢી કલાકની ફ્લાઇટ લીધી, જ્યાંથી અમને બચાવ કામગીરી હાથ ધરવા સૂચના આપવામાં આવી હતી.”
એર ઈન્ડિયા ઉપરાંત, ઈન્ડિગો અને સ્પાઈસજેટ જેવી એરલાઈન્સ પણ ‘ઓપરેશન ગંગા’ હેઠળ ફસાયેલા ભારતીયોને બચાવવાના ભારતના પ્રયાસોમાં જોડાઈ હતી, જેમાં દેશે ભારતીય નાગરિકોને પરત લાવવા માટે 75 થી વધુ ફ્લાઈટ્સનું સંચાલન કર્યું હતું. ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય ઉડાન એકેડમીની સ્નાતક મહાશ્વેતાએ 13-14 કલાક સુધી ઉડાન ભરી હતી. તેણે કહ્યું કે વિદ્યાર્થીઓ ખૂબ જ આઘાતમાં હતા. અમે તેમને ખાવા-પીવાનું આપ્યું, પણ તેઓ પાણી પણ પીવા માંગતા ન હતા. તેઓ માત્ર ઘરે જવા માંગતા હતા. મહાશ્વેતા કોવિડ-19ના પ્રારંભિક તબક્કા દરમિયાન ઈમરજન્સી ઓપરેશન ‘વંદે ભારત’નો પણ એક ભાગ હતી. તે સમાજ માટે જે યોગદાન આપી શકે છે તેના માટે તે આભારી છે.