સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે. અરજીમાં ભારતની 100 વર્ષથી વધુ જૂની તમામ મસ્જિદોના સર્વેની માંગ કરવામાં આવી છે. અરજીમાં તમામ જૂની મસ્જિદોમાં ‘વાઝુ’ માટે તળાવ અથવા કૂવાના ઉપયોગ પર હાલ પ્રતિબંધ મૂકવાની પણ માંગ કરવામાં આવી છે. આ અરજી એડવોકેટ શુભમ અવસ્થી અને સપ્તર્ષિ મિશ્રા દ્વારા સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. ઐતિહાસિક તથ્યોનો દાવો કરીને સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે એવા ઘણા પુરાવા છે જેમાં લખવામાં આવ્યું છે કે મુસ્લિમ આક્રમણકારોએ મંદિરો તોડીને મસ્જિદો બનાવી હતી. આવી સ્થિતિમાં જો સરકાર ગોપનીય સર્વે કરાવે તો ઘણા પુરાવાઓ બહાર આવી શકે છે. સર્વે માટે દાખલ કરવામાં આવેલી અરજીમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, આ હિંદુ, શીખ, જૈન કે બૌદ્ધના ધાર્મિક સ્થળો છે કે કેમ તે શોધવું ખૂબ જ જરૂરી છે. જો કોઈ પુરાવા મળે તો સાંપ્રદાયિક દ્વેષ અને ધાર્મિક લાગણીઓને ઠેસ ન પહોંચે તે માટે આ સર્વેને ગુપ્ત રાખવાની પણ માંગ કરવામાં આવી છે.
અરજીમાં એવી માગણી કરવામાં આવી છે કે જ્યાં સુધી ગોપનીય સર્વે પૂર્ણ ન થાય ત્યાં સુધી ‘વુઝુ’ કરવા માટે અન્ય જગ્યાએ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે. સર્વે દરમિયાન જો મસ્જિદની અંદર અથવા કૂવામાંથી કોઈ ધર્મના અવશેષો અથવા કેટલીક વસ્તુઓ મળી આવે તો તેને સુરક્ષિત રાખવી જોઈએ. અરજીમાં કહેવામાં આવ્યું છે કે મધ્યયુગીન યુગમાં મુસ્લિમ આક્રમણકારોએ ઘણા હિંદુ, જૈન, શીખ અને બૌદ્ધ મંદિરોને ખંડિત કર્યા અને તોડી પાડ્યા. આ પછી તેમણે આ જગ્યાઓ પર મસ્જિદો બનાવી. આવી સ્થિતિમાં આ પ્રાચીન ધર્મસ્થળોમાં અનેક દેવી-દેવતાઓના અવશેષો મળી આવશે, જે અન્ય ધર્મોના હશે. પરસ્પર સહકાર અને સુમેળ માટે, આ મસ્જિદોમાં હાજર અવશેષોનું સન્માન કરવું જોઈએ અને તેમને પરત મેળવવા પગલાં લેવા જોઈએ.