ICC વર્લ્ડ કપ 2023માં પાકિસ્તાનની સફર હવે સમાપ્ત થઈ ગઈ છે. ટોપ 4માં પોતાનું સ્થાન નિશ્ચિત કરવા માટે પાકિસ્તાને એવરેસ્ટથી પણ ઉંચા પડકારને પાર કરવો પડે તેમ છે. પાકિસ્તાનની આગામી મેચ ઈંગ્લેન્ડ સાથે છે. આવામાં જો પાકિસ્તાને સેમીફાઈનલમાં પોતાનું સ્થાન બનાવવું હોય તો તેણે ઈંગ્લિશ ટીમને 287ના વિશાળ સ્કોરથી હરાવવું પડશે. લક્ષ્યનો પીછો કરવા માટે 3.4 ઓવરમાં જ હાંસલ કરવાનો રહેશે. આ બંને પરિસ્થિતિઓ અશક્ય છે. જે બાદ હવે વર્લ્ડ કપમાં પાકિસ્તાનની સફર પૂરી થઈ ગઈ છે.
હકીકતમાં તો પાકિસ્તાની ટીમને ત્યારે જ મોટો ફટકો પડ્યો જ્યારે ગુરુવારે ન્યૂઝીલેન્ડે શ્રીલંકાને ખરાબ રીતે હરાવ્યું. કિવી ટીમે શ્રીલંકાને 5 વિકેટથી હરાવીને સેમીફાઈનલમાં પોતાનું સ્થાન લગભગ નિશ્ચિત કરી લીધું છે. પરંતુ જો ન્યૂઝીલેન્ડે શ્રીલંકા સામેની મેચમાં મોટા અંતરથી જીત મેળવી ન હોત તો પાકિસ્તાનની સેમીફાઈનલમાં પહોંચવાની આશા અકબંધ રહી હતી. પરંતુ શ્રીલંકાની હારથી તેમની આશા પર પાણી ફરી વળ્યું હતું.
પાકિસ્તાન સેમીફાઈનલમાં પહોંચવા પહેલા જ ખરાબ રીતે હાર્યા બાદ સોશિયલ મીડિયા પર લોકો મસ્તીના મુડમાં આવી ગયા છે. પાકિસ્તાન સામે હવે મીમ્સના ચોગ્ગા-છગ્ગા લાગી રહ્યા છે. એવામાં ટીમ ઈન્ડિયાના પૂર્વ વિસ્ફોટક બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગ પણ પાછળ નથી તેણે પાકિસ્તાની ટીમને પજવતાં પાકિસ્તાનની એવી ઝાટકણી કાઢી કે તેનું ટ્વીટ સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગ્યું. વિરેન્દ્ર સેહવાગે સોશિયલ મીડિયા X પર લખ્યું, “પાકિસ્તાન ઝિંદાભાગ!”
સોશિયલ મીડિયા પર યુઝર્સ પાકિસ્તાની ટીમની ભારે મજાક ઉડાવી રહ્યા છે. ઘણા યુઝર્સે મીમ્સ બનાવીને પાકિસ્તાની ટીમ પર નિશાન સાધ્યું હતું. એક યુઝરે કટાક્ષ કરતા લખ્યું, આખરે પાકિસ્તાનની ટીમ કરાચી એરપોર્ટ માટે ક્વોલિફાય થઈ ગઈ છે.
ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ વચ્ચે 11 નવેમ્બર શનિવારે કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં મેચ રમાશે. બંને ટીમો સેમીફાઈનલની રેસમાંથી બહાર થઈ ગઈ છે. વર્લ્ડ કપમાં પાકિસ્તાન અને ઈંગ્લેન્ડની ટીમો ખરાબ ફોર્મનો સામનો કરી રહી છે. પાકિસ્તાને ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી ચાર મેચ જીતી છે. જ્યારે ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડ માત્ર 2 મેચ જીતવામાં સફળ રહ્યું છે.