ગુજરાતના અંદાજે હજાર વિદ્યાર્થીઓના વાલીઓ હવે ઓપરેશન સરસ્વતી શરૂ કરશે. આ ઓપરેશન સરસ્વતી એવા વાલીઓની લડત છે, જેમના બાળકોને યુદ્ધભૂમી યુક્રેનથી સહીસલામત પરત લાવવા કેન્દ્ર સરકારે ઓપરેશન ગંગા હાથ ધર્યું હતું. યુક્રેન અને રશિયા વચ્ચે અઢી મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધને કારણે આ વિદ્યાર્થીઓના અધૂરા રહી ગયેલા અભ્યાસનું સંકટ અને ભવિષ્ય અંગે વાલીઓને ચિંતા થઈ રહી છે.
ગુજરાતના હજારો વિદ્યાર્થીઓ અલગ અલગ વર્ષમાં યુક્રેનમાં મેડિકલનો અભ્યાસ કરી રહ્યા છે. અત્યારે ત્યાંથી ઓનલાઈન અભ્યાસ ચાલે છે, પરંતુ વિદ્યાર્થીઓ લાંબો સમય સુધી મેડિકલના અભ્યાસમાં ઓનલાઈન ભણી શકે નહીં. ભવિષ્યમાં પરત યુક્રેન જવું જ પડે તેમ હોવાથી વાલીઓ ચિંતામાં મૂકાયા છે.
એટલે, પોતાના બાળકોને ભારતમાં જ મેડિકલ કોલેજમાં એડમિશન અપાવવા વાલીઓએ સાથે લડત શરૂ કરી છે અને તેનું નામ આપ્યું છે, ‘ઓપરેશન સરસ્વતી’. વાલીઓએ ‘ઓપરેશન સરસ્વતી’માં એક કમિટીની રચના કરી છે. આ કમિટીમાં અલગ અલગ જિલ્લાના યુક્રેન યુદ્ધથી અસરગ્રસ્ત એવા વિદ્યાર્થીઓ અને વાલીઓને જોડવામાં આવે છે. કમિટીએ શરૂઆતમાં મુખ્યમંત્રી સહિત અન્ય મંત્રીઓને રજૂઆત કરી આવેદનપત્ર પાઠવી ભારતમાં તેમનાં બાળકોને એડમિશન આપવામાં આવે એવી માગણી કરી છે.
ઓપરેશન સરસ્વતી સાથે સંકળાયેલા વાલીઓ કહે છે કે કર્ણાટક પશ્ચિમ બંગાળ અને તેલંગાણા જેવા રાજ્યએ યુક્રેનથી પરત આવેલા વિદ્યાર્થીઓને પોતાના રાજ્યની મેડિકલ કોલેજોમાં ભણાવવા નિર્ણય કર્યા છે તો આ નિર્ણય ગુજરાત કેમ ન લઈ શકે? ગુજરાતમાં આ રીતે અટવાયેલા 1100થી વિદ્યાર્થી છે .