આજે ફરી એકવાર જાડેજા પરિવારમાં નણંદ ભાભી વચ્ચેનો વિવાદ બહાર આવ્યો છે. એક જ પરિવારમાં દુશ્મન બનેલી નણંદ ભાભી હવે રાજકીય ગ્રાઉન્ડ પર પણ એકબીજા માટે બોલતી થઈ ગઈ છે.ત્યારે આજે રિવાબાનાં નણંદ નયનાબાએ એક વીડિયો જાહેર કર્યો છે, જેને લઈ જામનગરના રાજકારણમાં પણ ગરમાવો આવ્યો છે. રિવાબા જાડેજા અને તેમનાં નણંદ નયનાબા સામસામે હોય એવાં દૃશ્યો જોવા મળી રહ્યાં છે. રિવાબાએ કહ્યું હતું કે રાજનીતિથી પર ઊઠી પ્રભુ શ્રીરામને બધા આવકારીએ’, તો બીજી તરફ રિવાબાનાં નણંદ નયનાબાએ નામ લીધી વગર કહ્યું હતું કે ‘અમારે ભક્તિ-સંસ્કાર તમારી પાસેથી શીખવાની જરૂર નથી’.
ભગવાન રામની વાત આવે છે તો કોઈ રાજનીતિ ન થવી જોઈએ: રિવાબા જાડેજા
કોંગ્રેસે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં સામેલ થવાના આમંત્રણનો અસ્વિકાર કરતા ભાજપના ધારાસભ્ય અને ક્રિકેટર રવીન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજા આ મુદ્દે પ્રતિક્રિયા આપતા કહ્યું કે,’જ્યારે ભગવાન રામની વાત આવે છે તો કોઈ રાજનીતિ ન થવી જોઈએ. આ કોઈ પાર્ટીનો કાર્યક્રમ નથી. આ ભગવાન શ્રીરામ અને કરોડો ભારતીયોની આસ્થાનો અવસર છે. રાજનીતિથી ઉપર ઊઠીને ઈશ્વરને પ્રાર્થના કરો અને પ્રભુ શ્રીરામ તમારા બધાનું સ્વાગત કરે.
નયનાબાએ આપ્યો રીવાબાને સણસણતો જવાબ
આ નિવેદનથી તેમના કોંગ્રેસ પક્ષમાં રહેલા નણંદ નયનાબા જાડેજાએ તેમને વળતો રોકડો જવાબ નામ લીધા વગર માર્મિક કટાક્ષ કરીને ચોપડાવી દીધો હતો. તેમણે કહ્યું કે ભક્તિ અને સંસ્કાર અમારે તમારા પાસેથી શીખવાની જરૂર નથી તમે છોટાકાશિમાં રહો છો તો પણ તમારામાં સંસ્કાર નથી. મંદિર જ્યારે પૂર્ણ બને ત્યારે પ્રાણ પ્રતિષ્ઠા હોય. શંકરાચાર્ય સહિતનાઓએ બહિષ્કાર કર્યો છે. સંસ્કાર અને ધર્મની વાતો તમને શોભે જ નહી. મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મંદિરનું સંપૂર્ણ નિર્માણ થઈ ગયા બાદ જ થઈ શકે છે. નવી પાર્લામેન્ટનું ઉદાહરણ ટાંકતાં તેમને સવાલ કર્યો કે શુ પાર્લામેન્ટ પુરે પુરી તૈયાર નથી થઈ તો પણ શું તમે તેમને શરૂ કરી દીધી હતી.
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાના આમંત્રણનો સન્માનપૂર્વક અસ્વિકાર કરાયો છે. અયોધ્યામાં 22મી જાન્યુઆરીએ યોજાનાર આ કાર્યક્રમમાં સોનિયા ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે સહિત કોંગ્રેસના કોઈપણ નેતા સામેલ નહીં થાય.