21 જૂને 8મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવશે. યોગ દિવસ પર પૂર્વમાં ફીજીથી માંડીને પશ્ચિમમાં કેનેડા સુધી 25 કરોડ લોકો યોગ કરશે. વિશ્વભરના લોકોમાં ભારે ઉત્સાહ આ દિવસ માટે જોવા મળી રહ્યો છે. ભારતીય સમય અનુસાર વિશ્વના પૂર્વિય ભાગોમાં પરોઢિયે 3 વાગ્યે ઉજવણી શરુ થઇ જશે.
આઠમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો થીમ આ વખતે ‘માનવતા માટે યોગ’ નક્કી કરવામાં આવ્યો છે. કેન્દ્રનાં આયુષ મંત્રી સર્વાનંદ સોનોવાલે જણાવ્યું હતું કે આ વખતે અંદાજીત 25 કરોડ લોકો આંતરરાષ્ટ્રીય યોગ દિવસે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સામેલ થશે.
મુખ્ય કાર્યક્રમ મૈસૂરમાં યોજાય એવું નક્કી થયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ કાર્યક્રમમાં સામેલ થશે. મૈસૂર પેલેસ ગ્રાઉન્ડમાં યોજાનારા કાર્યક્રમમાં મોદી સાથે 15,000 લોકો યોગ કરશે. દેશ-વિદેશમાં યોગ દિવસ પર વિવિધ આયોજનો માટે તડામાર તૈયારીઓનો આરંભ થઈ ચૂક્યો છે. આઝાદીના અમૃત મહોત્સવ વર્ષમાં યોગ દિવસની ઉજવણી હોવાથી દેશના 75 મુખ્ય સ્થાનો પર ઉજવણી કરવાનું આયોજન થઈ રહ્યું છે.
આ ઉજવણીમાં કેન્દ્ર સરકારના 75 પ્રધાનો પણ સામેલ થશે. તમામ ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્વ ધરાવતા સ્થળો પર યોગ દિવસ મનાવવામાં આવશે. આ માટે એક કોમન યોગ પ્રોટોકોલ બુકલેટનું વિમોચન કરવામાં આવ્યું છે. યોગ દિવસ ગાર્જિયન વિંગ કાર્યક્રમનો પણ હિસ્સો બનશે જે વિદેશોમાં ભારતીય દુતાવાસો તરફથી યોજવામાં આવશે. જે અંતર્ગત સૂર્યની ગતિ સાથે દુનિયાના પૂર્વ ભાગોથી શરુ થઇને પશ્ચિમ તરફ જતા 16 અલગ અલગ ટાઇમઝોનમાં યોગ અભ્યાસના કાર્યક્રમ થશે. આ રીલે કાર્યક્રમમાં 80 દેશો સામેલ થશે.
21 જૂને ભારતીય સમય પ્રમાણે પરોઢિયે 3 વાગ્યે શરુ થઇને રાત્રે 10 વાગ્યા સુધી યોગ દિવસના કાર્યક્રમો યોજાશે. ફીજી, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડથી શરુ થઇને અમેરિકાનાં સાનફ્રાન્સીસકો અને કેનેડાના ટોરેન્ટોમાં પૂર્ણાહુતિ થશે. આ માટે આયુષ મંત્રાલયે 100 દિવસનું કાઉન્ટડાઉન શરુ કરી દીધું છે. 100 શહેરોમાં 100 પ્રતિષ્ઠિત સંગઠનો મારફત આયોજીત થઇ રહેલા કાર્યક્રમોમાં લોકોને યોગ પ્રત્યે જાગૃત કરવામાં આવશે. દિલ્હીમાં પણ 100 સ્થળોએ યોગ દિવસની ઉજવણી થશે. સરકારે લોકોને પોતપોતાના શહેર અને ગામોમાં યોગ દિવસ ઉજવવા આહવાન કર્યું છે. ગુજરાતમાં પણ આ દિવસને યાદગાર અને ભવ્ય બનાવવા માટે પૂર્વતૈયારીઓ વિવિધ સ્તરે ચાલી રહી છે.