સ્થાનિક ભાષાનું પ્રાધાન્ય ધરાવતાં ઉમેદવારોનો ક્રાઈટેરિયા ન જાળવી બેંકોમાં થયેલી નિમણુંકથી બેંકની જુનિયર ક્લાર્કની ભરતીમાં કૌભાંડ આચરવામાં આવ્યું હોવાના આક્ષેપ સાથે સાંસદ મનસુખ વસાવાએ નાણામંત્રી સીતારમનને રજૂઆત કરી છે. તેમણે એક વિસ્તૃત પત્ર પાઠવી ખોટી રીતે પસંદ કરાયેલા ઉમેદવારોની ભરતી રદ કરવા આગ્રહ કર્યો છે.
સાંસદ મનસુખભાઇએ નાણામંત્રી સીતારમનને પાઠવેલા પત્રમાં જણાવ્યું મુજબ, થોડા સમય પૂર્વે બેંકમાં જુનિયર કલાર્કની જાહેરાત ગુજરાત સરકાર દ્વારા પ્રસિદ્ધ થઈ હતી. આ ભરતીમાં સ્થાનિક ભાષા જાણનાર ઉમેદવારની પસંદગી કરવાની હતી. પરંતુ જે ભરતી થઈ છે એ ઉમેદવારો સ્થાનિક ભાષા જાણનાર નથી. ભરતીના ક્રાઈટેરિયા અનુસાર, 90% ગ્રાહકો કે જેઓ કોઈપણ આપણા દેશની કોઈપણ બેંકની શાખા તે રાજ્યના સ્થાનિકો હોય છે તેમજ શાખામાં પ્રવેશતા ગ્રાહકોનો પ્રથમ સીધો સંપર્ક બેંકના આગળની લાઈન કાઉન્ટર પર બેઠેલા ક્લાર્ક-કેશિયર સાથે થાય છે. આ ફ્રન્ટ લાઇન સ્ટાફની સેવાઓનો ઉપયોગ કરીને તેમના દૈનિક બેંકિંગ વ્યવહારો થતાં હોય છે. આ બાબતને ધ્યાનમાં રાખી, સરકારે રાષ્ટ્રીયકૃત બેંકોના ક્લાર્કની ભરતી માટેના નિયમોમાં આ જોગવાઈ રાખી છે. જોગવાઈ મુજબ, કારકુનની જગ્યા માટે અરજદાર ઉમેદવારને રાજ્યની સ્થાનિક ભાષામાં જ્ઞાન હોવું જોઈએ પરંતુ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ તાજેતરમાં ગુજરાતમાં ઉપરોક્ત નિયમનો ભંગ કર્યો છે.
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ તેની રાષ્ટ્રવ્યાપી ભરતી પ્રક્રિયાના ભાગ રૂપે જાહેરાતમાં જણાવ્યું હતું કે તેમની બેંકના વિવિધ રાજ્યોમાં ખાલી જુનિય ક્લાર્કની જગ્યાઓ માટે પાત્ર ભારતીય નાગરિકો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી હતી અને રાજ્યની ખાલી જગ્યા માટે અરજદાર ઉમેદવાર તે રાજ્યની સ્થાનિક ભાષામાં “નિપુણ” હોવો જોઈએ જેમાં તે અરજી કરશે.
આ પત્રમાં તેમણે રજુઆત કરતાં જણાવ્યું છે કે, ઉપરોક્ત સ્પષ્ટ સૂચનાઓ સાથેની ભરતીની જાહેરાત હોવા છતાં તાજેતરમાં પસંદ કરાયેલા 660 ઉમેદવારોમાંથી માત્ર 15 થી 20 ટકા જ ગુજરાત રાજ્યના સ્થાનિક છે, બાકીના 80 થી 85 ટકા ઉમેદવારોની અન્ય રાજ્યોમાંથી નિમણુંક થઈ છે. તેમાંના મોટાભાગના ગુજરાતી કે હિન્દી ભાષા પણ જાણતા નથી આ સ્પષ્ટ ભરતી કૌભાંડ હોવાનું જણાતું હોવાથી, હું તમને આ બાબતે અંગત રસ લેવા અને આ ભરતી પ્રક્રિયામાં થયેલી ગેરરીતિઓની તપાસ કરવા અને સ્થાનિક ભાષામાં નિપુણ ન હોવા છતાં ખોટી રીતે પસંદ કરાયેલા ઉમેદવારોની ભરતી રદ કરવા વિનંતી કરું છું.