ગુજરાત વિધાનસભાની ચૂંટણી સામે આવીને ઊભી છે. આપ અને ભાજપ નેતાગીરી તેનું સંપૂર્ણ ધ્યાન ગુજરાતમાં ખાસ્સા સમયથી કેન્દ્રીત કરી ચૂકી છે. કોંગ્રેસ ગુજરાતમાં પોતાના આંતરિક કલહ અને આયોરામ-ગયારામથી સ્થિર થઈ ચૂંટણીલક્ષી કંઈ વિચારી શકે એ પૂર્વે હવે રાજસ્થાન કોંગ્રેસમાં આંતરિક મહાસંગ્રામ શરુ થતાં ગુજરાત કોંગ્રેસની ચૂંટણી તૈયારીઓ પણ ડામાડોળ થઈ શકે તેવી શક્યતા પક્ષના જ આંતરિક વર્તુળોમાંથી બહાર આવી રહી છે. ધ્યાન રહે કે, ગુજરાત કોંગ્રેસના મુખ્ય ઓર્બ્ઝવર તરીકે અશોક ગેહલોત છે. પ્રભારી પદે રઘુ શર્મા છે તેઓ પણ રાજસ્થાનના જ છે. બંને નેતાઓને ખરા સમયે જ સ્થાનિક રાજકારણમાં વ્યસ્ત થતાં ગુજરાતની ચૂંટણી તૈયારીને અસર પહોંચશે.
ગુજરાતની વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે ચૂંટણી હવાલો રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતને સોંપ્યો છે. બે મહિનામાં તેઓ અનેક વખત ગુજરાતમાં શ્રેણીબધ્ધ બેઠકો યોજી ચૂંટણી રણનીતિ તૈયાર કરવા મથી રહ્યા હતા. હવે આવા સમયે રાજસ્થાનમાં જ કોંગ્રેસનું ઘર સળગતા અશોક ગેહલોતને ત્યાં ડેમેજ કંટ્રોલ સહિતના રાજકીય દાવપેચમાં વ્યસ્ત થવાનો વારો આવ્યો છે. ચૂંટણીની તારીખ જાહેર થવા આડે હવે પખવાડિયું પણ આડે નથી મનાતું એવા સમયે નિર્માણ આ સંજોગોથી કોંગ્રેસ માટે ગુજરાતમાં ચૂંટણી તૈયારીને મોટો ફટકો પડશે એ વિચારે કોંગ્રેસમાં ચિંતા ફરી વળી છે. ગુજરાત ઉપર મોટી અસર થઇ શકે છે.
જવાબદાર બંને નેતાઓ રાજસ્થાનના રાજકારણમાં વ્યસ્ત થવાથી વિધાનસભા ચૂંટણીમાં તમામ તાકાત કામે લગાડવાનો સમય આવી ચૂક્યો છે ત્યારે જ આ ઘમાસાણ ઊભું થતાં ગુજરાતની તૈયારીને બ્રેક લાગી જશે. ગુજરાત કોંગ્રેસમાં આંતરિક જૂથવાદ હજી અટકવાનું નામ નથી લઈ રહ્યો, ટિકિટ ફાળવણી સમયે એ સ્ફોટક રીતે બહાર આવે તેની આપ અને ભાજપ બંને રાહ જોઈને જ બેઠા છે ત્યારે ઉમેદવાર પસંદગી વખતે તે વધુ વકરવાની આશંકા છે. એ અટકાવવાને બદલે નવા ગૂંચવાડા ઊભા થાય તો ગુજરાતમાં કોંગ્રેસની સ્થિતિ ડામાડોળ થઇ શકે છે.
ગુજરાત પ્રદેશ નેતાગીરી વર્તુળોમાં તો હવે ત્યાં સુધી ફડક બેસી હોવાનું જાણવા મળ્યું છે કે, ગુજરાત ચૂંટણીના મુખ્ય નિરીક્ષક અશોક ગેહલોત અને પ્રભારી રઘુ શર્મા રાજસ્થાનમાં વ્યસ્ત બની જતાં ક્યાંક એવું ન બને કે, નવરાત્રિ દરમિયાન કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીનો ગુજરાત પ્રવાસ પણ ઢીલમાં પડી જાય. નવરાત્રિ દરમિયાન પ્રિયંકા ગાંધીનો રોડ-શો અને માતાજીના મંદિરે દર્શનનો કાર્યક્રમ ગોઠવાઈ રહ્યો હતો તેવા સમયે રાજસ્થાનની ઉથલપાથલ આ કાર્યક્રમોને અસર કરી શકે છે. સૌથી મહત્વની ચિંતા સ્થાનિક નેતાગીરી એ દર્શાવી રહ્યા છે કે આ બધી અનિશ્ચિતતાઓ વચ્ચે તેઓ કાર્યકરો અને લોકો વચ્ચે પહોંચીને શું આયોજન કરી શકશે.